/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Building-collapse-ahmedabad-bhavnagar.jpg)
જુનાગઢ બાદ ફરી એકવાર ગુજરાતમાં બિલ્ડીંગ ધરાશાયી થવાની બે ઘટનાઓ સામે આવી છે, જેમાં અમદાવાદમાં એક 30 વર્ષિય વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ભાવનગરમાં એક મહિલાનું મોત થયું છે.
સૌપ્રથમ અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદના મકરબા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક નિર્માણાધીન બિલ્ડીંગની દિવાલ ધરાશાયી થતાં 30 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ (AFES) ને સવારે 2 વાગ્યાની આસપાસ ફોન આવ્યો કે, સંકલ્પ બંગ્લોઝ પાસે આવેલી ત્રણ માળની ઇમારતની દિવાલ ધરાશાયી થઇ છે.
AFES વિભાગીય ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, “જ્યારે અમે સ્થળ પર પહોંચ્યા ત્યારે અમે જોયું કે વ્યક્તિ બેભાન હતો અને કાટમાળ નીચે ફસાયેલો હતો. દિવાલ કેમ ધરાશાયી થઈ તે પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.”
પીડિતાની ઓળખ વેજલપુરના રહેવાસી શ્યામલાલ જોરિંગ ડોડિયા તરીકે થઈ હતી. કાટમાળ નીચેથી તેમને બહાર કાઢ્યા બાદ, ફાયર અધિકારીઓ તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
સોલા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર સોનિયા ચાવલાએ જણાવ્યું હતું કે, “દર્દીને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મૃત્યુ પામ્યા હશે કારણ કે તેને મૃત લાવવામાં આવ્યા હતા. અમે સવારે પોસ્ટમોર્ટમ કર્યું અને તેના સંબંધીઓને શોધવા માટે પોલીસનો સંપર્ક કર્યો છે કારણ કે, હજુ સુધી કોઈ મૃતદેહનો દાવો કરવા નથી આવ્યું.”
ભાવનગરમાં કોમ્પલેક્ષની બાલ્કની ધરાશાયી થતા એક મહિલાનું મોત
તો આ બાજુ ભાવનગરમાં માધવહીલ કોમર્શિયલ બિલ્ડીંગની બાલ્કની તૂટી જતા 15થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાં એક મહિલાનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યારે 15થી વધુ લોકોને નાની-મોટી ઈજા થઈ હતી
ઘટનાની જાણ જાણ થતા ફાયર ટીમ અને પોલીસ બંને ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, ઘાયલોને તુરંત સ્થાનિકોની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, અને કાટમાળ નીચે દટાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું હતું.
સૂત્રો અનુસાર, આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. આ કોમ્પલેક્ષ ત્રણ માળનું છે, જેમાં ઉપરથી બિલ્ડીંગની ગેલરી ધરાશાયી થતા નીચે આવેલી બીઓબી બેન્ક સહિત 10 જેટલી દુકાનોને પણ નુકશાન પહોંચ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જુનાગઢમાં એક જુનુ મકાન ધરાશાયી થયું હતું, જેમાં ચાર લોકોના દટાઈ જતા મોત થયા હતા, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા, ત્યારબાદ પરિવારની મહિલાએ પણ આઘાતમાં આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us