Biparjoy Cyclone : રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. દૂર સંચાર વિભાગના ગુજરાત લાયસન્સ સર્વિસ એરિયાઝ (GLSA) દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
તેમના જણાવ્યા પ્રમાણે બિપરજોય વાવાઝોડા દરમિયાન સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેને ધ્યાનમાં લઇ ટેલિકોમ સેવાઓએ આ મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત જો કોઈ નાગરિકે સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવા કામ ન કરે અથવા અસ્થાઈ રીતે બંધ હોય તો બીજા કોઈ પણ ટેલિકોમ ઓપરેટરની સેવાનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સેવાનો લાભ લેવા મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં 17 જૂન 2023ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
TAT(S)ની 18મી જૂને યોજાનાર મુખ્ય પરીક્ષા મોકૂફ, હવે 25 જૂને યોજાશે
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા આગામી 18 જૂનના રોજ યોજાનાર હતી. બિપરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખી હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂનના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી કુબેર ભાઈ ડિંડોરે જણાવ્યું છે. આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.
આ પણ વાંચો – સૌરાષ્ટ્ર- કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર, પૂરની ચેતવણી, છ પોઇન્ટમાં સમજો બિપરજોયની સ્થિતિ
47 હજારથી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મુકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી 100 ટકા પૂર્ણ થવાનો અંદાજ છે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17,739, જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47,113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.