Cyclone Shakti : અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ વધુ તીવ્ર બન્યું છે અને આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે. આ વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી લગભગ 470 કિલોમીટર દૂર કેન્દ્રિત છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ કેટલાક ભાગોમાં હળવાથી ઝાપટાં પડી શકે છે. રાજ્ય માટે વધારે ચિંતાની વાત નથી.
હવામાન વિભાગ અનુસાર ઉત્તર બિહારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને કરા પડવાની આગાહી છે. પૂર્વી ઉત્તર પ્રદેશ, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
ચક્રવાત શક્તિ અંગે, IMD વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે સમાચાર એજન્સી ANI ને જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં 18 કિમી/કલાકની ઝડપે પશ્ચિમ તરફ ગતિ સાથે એક ભયંકર ચક્રવાત રચાયું છે. 6 તારીખે સવારે તે ગુજરાત તરફ આગળ વધવાનું શરૂ કરશે. ગુજરાતમાં વરસાદની ખૂબ જ ઓછી અસર થશે. આ ચક્રવાતથી ગભરાવાની જરૂર નથી… પવનની ગતિ લગભગ 40-55 કિમી/કલાકની રહેશે.
હવામાન વિભાગે શું કહ્યું
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે શક્તિ ચક્રવાત છેલ્લા 6 કલાક દરમિયાન 18 કલાક કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધ્યું અને 4 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 8.30 કલાકે દ્વારકાથી લગભગ 470 કિમી પશ્ચિમમાં, નલીયાથી 470 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં, કરાચીથી 420 કિમી દક્ષિણ પશ્ચિમમાં અને મસીરાહ (ઓમાન) થી 600 કિમી પૂર્વ ઉત્તર પૂર્વમાં કેન્દ્રિ થયું છે. તે પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે અને 5 ઓક્ટોબર સુધીમાં ઉત્તર પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે. ત્યારબાદ તે ફરી વળશે અને 6 ઓક્ટોબર 2025ની સવારથી પૂર્વ ઉત્તરપૂર્વ તરફ આગળ વધશે અને ધીમે-ધીમે નબળું પડશે.
આ પણ વાંચો – જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા, જાણો કેટલી સંપત્તિ છે?
માછીમારો માટે ચેતવણી
ચક્રવાત તોફાનની અસરને કારણે રવિવાર સુધી ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર કિનારા અને પાકિસ્તાન કિનારા પર દરિયાઈ સ્થિતિ ખૂબ જ તોફાની રહેવાની ધારણા છે. હવામાન વિભાગે માછીમારોને મંગળવાર સુધી ઉત્તરપશ્ચિમ અરબ સમુદ્ર, ઉત્તરપૂર્વ અરબ સમુદ્ર, મધ્ય અરબ સમુદ્ર અને ગુજરાત-ઉત્તર મહારાષ્ટ્ર દરિયાકાંઠે ન જવા ચેતવણી આપી છે.
શ્રીલંકાએ ચક્રવાતને શક્તિ નામ આપ્યું
ચક્રવાતનું નામ શક્તિ રાખવામાં આવ્યું છે, જે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો પર WMO/ESCAP પેનલ દ્વારા અપનાવવામાં આવેલા પરંપરા પ્રમાણે ચક્રવાતને શક્તિ નામ શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવ્યું છે. બંગાળની ખાડી અને અરબ સાગરની આસપાસના 13 દેશો દ્વારા ચક્રવાતના નામ સૂચવવામાં આવે છે.