Dakor Ranchhodray Temple Holi 2024 : હોળી પર ડાકોરમાં મેળો યોજાય છે. દર વર્ષે હોળી પર લાખો ભક્તો પગપાળા ચાલી ડાકોર રણછોડ રાય મંદિરમાં દર્શન કરવા આવે છે. આ વખતે પણ મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચે તેવી અપેક્ષા છે. અમદાવાદના જશોદાનગરથી ડાકોરના રસ્તાઓ ભક્તોના જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદથી ગૂંજી ઉઠ્યા છે. પગપાળા ચાલતા ભક્તોન સુવિધા અને સુરક્ષા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ડાકોર પગપાળા જતા ભક્તોની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા
ડાકોર પગપાળા દર્શનાર્થે જતાં દર્શનાર્થીઓને વાહનોની અવર-જવરને કારણે અકસ્માતો અને અન્ય કોઈ પણ જાનહાની થવાનો ભય ન રહે તે અર્થે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 19 માર્ચ થી 26 માર્ચ, 2024ના રોજ રાતના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.
હોળી પર્વને ધ્યાનમાં રાખી ડાકોર પગપાળા દર્શનાર્થે જતા યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે તથા માર્ગ અકસ્માતો અને જાનહાની ટાળવા માટે કેટલાક રૂટ ઉપર વાહનોની અવર-જવર ઉપર 26 માર્ચ સુધી પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત વાહનોની સુગવડતા માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઇ છે, જેથી વાહનચાલકોને કોઈ અગવડ ન પડે.
અમદાવાદ – ડારોકના રોડ-રસ્તા પર વાહન ચલાવવા પર પ્રતિબંધ
જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા (લાલબેગી સર્કલ) સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે.
વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વિગત
અમદાવાદ વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા સુધીના માર્ગ પર (એ) વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા તરફ તથા (બી) જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.
તે ઉપરાંત હિરાપુર ચોકડીથી મહેમદાબાદ સુધીનો રોડ વાહનની અવરજવર માટે બંધ રહેશે. તેના વિકલ્પમાં હિરાપુર ચોકડીથી બારેજા થઈ નડિયાદ તરફ જઈ શકાશે
આ પણ વાંચો | હોળી : કપડાં પરથી કલરના ડાઘ દૂર કરવાની સરળ રીત, ડ્રાય ક્લિનનો ખર્ચ બચી જશે
આ સાથે આ જાહેરનામું ફાયરબ્રિગેડ,એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને કામગીરી દરમિયાન તેમજ ઠાકોર જતા પદયાત્રીઓ માટે જીવન જરૂરીયાતની તેમજ આવશ્યક ચીજવસ્તુઓ તથા તેને લગત સાધન-સામગ્રી લઈ જતા વાહનોને લાગુ પડશે નહી.





