Ajay Jadeja : જામનગરના રાજવી પરિવારે પૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાને પારિવારિક ગાદી સોંપવાની જાહેરાત કરી છે. વર્તમાન રાજવી પરિવારના વડા જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ રાજવી પરિવાર સાથે જોડાયેલા અજય જાડેજાને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. એક પત્ર દ્વારા આ જાહેરાત કરી હતી.
ભારત તરફથી 15 ટેસ્ટ મેચ અને 196 વન ડે રમનાર 53 વર્ષીય જાડેજા રાજવી જામનગર પરિવારના વંશજ છે. તેમનો જન્મ 1971માં જામનગરમાં થયો હતો. ત્યારે તેને નવાનગર તરીકે ઓળખવામાં આવતું હતું. તેમના પિતા દૌલતસિંહજી જાડેજા શત્રુશલ્યસિંહજીના પિતરાઈ ભાઈ છે.
પત્રમાં શું કહ્યું?
શત્રુશલ્યસિંહજીએ પત્રમાં જણાવ્યું છે કે એવું માનવામાં આવે છે કે પાંડવો વનવાસમાંથી વિજયી થઈને પાછા ફર્યા તે દિવસે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ શુભ દિવસે મેં મારી મૂંઝવણનો ઉકેલ લાવી દીધો છે, કારણ કે અજય જાડેજાએ મારા ઉત્તરાધિકારી બનવાનું સ્વીકાર્યું છે. અજય જાડેજા જામનગરની પ્રજાની સેવાની જવાબદારી ઉઠાવે તે જામનગરની પ્રજા માટે ખરેખર વરદાનરુપ છે. હું અજય જાડેજાનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું.
અજય જાડેજા રણજીત સિંહજી અને દુલીપસિંહજીના પરિવારમાંથી આવે છે
જામનગરના રાજવી પરિવારને ક્રિકેટ સાથે જૂનો નાતો છે. અજય જાડેજા ક્રિકેટર રહી ચૂક્યા છે એટલું જ નહીં મહારાજા રણજીતસિંહજી અને દુલીપસિંહજી પણ આ પરિવારના છે. તેમના નામ પર રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી છે.

આ પણ વાંચો – કડી તાલુકામાં મોટી દુર્ઘટના, દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોનાં મોત
વર્ષ 2000માં અજય જાડેજાનું નામ ફિક્સિંગમાં આવ્યું હતું. તેમના પર 5 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ કારણે ક્રિકેટ કારકિર્દીનો અંત આવી ગયો હતો. જોકે બાદમાં દિલ્હી હાઇકોર્ટે આ પ્રતિબંધ હટાવી લીધો હતો. જાડેજા 2023ના વન ડે વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાનના મેન્ટર હતા. અફઘાનિસ્તાનની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અજય જાડેજાના પિતા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા
અજય જાડેજાના પિતા સ્વ. દોલતસિંહ જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેઓ જામનગર સંસદીય બેઠક પર વર્ષ 1971, 1980 અને 1984માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા.