Girnar Lili Parikrama 2025 : ગિરનાર લીલી પરિક્રમાનું ખાસ મહત્વ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પુનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા છે, જેમા મોટી સંખ્યામાં પરિક્રમા કરવા આવે છે. ગીર જંગલમાંથી પ્રસાર થતા રસ્તા પર પગે ચાલી ગિરનાર પર્વતની પરિક્રમા કરવામાં આવે છે. કહેવાય છે કે, ગિરનાર પર્વત પર 33 કોટી ભગવાનના બેસણાં છે. ગિરનાર લીલી પરિક્રમા માત્ર એક ધાર્મિક યાત્રા જ નહીં પણ કુદરતના ખોળે રહેવાનો, આસ્થા અને એડવેન્ચરનો અદભુત અનુભવ બની રહે છે.
ગિરનાર લીલી પરિક્રમા 2025 ક્યારે શરૂ થશે?
ગિરનાર લીલી પરિક્રમા હિંદુ પંચાગ મુજબ દર વર્ષે કારતક સુદ અગિયારસ થી પુનમ સુધી થાય છે. 5 દિવસની લીલી પરિક્રમ કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગિરનાર આવે છે. આ વખતે 1 નવેમ્બર, 2025 સોમવારે શરૂ થશે અને 5 નવેમ્બર ગુરુવારે સમાપ્ત થશે. ઘણી વખત પરિક્રમાવાસીઓની ભીડને ધ્યાનમાં રાખી 1 -2 દિવસ વહેલા પર ગિરનાર પરિક્રમા શરૂ થઇ જાય છે.
ગિરનાર લીલી પરિક્રમાનું અંતર કેટલું છે?
લીલી પરિક્રમા ગિરનાર પર્વતની ફરતે જંગલ માંથી પસાર થઇ કરવામાં આવે છે. ગિરનાર લીલી પરિક્રમા 36 કિમી હોય છે, જે પગે ચાલીને થાય છે. લીલી પરિક્રમા દરમિયાન ગીરના જંગલની અંદર જ શ્રદ્ધાળુઓ માટે જમવા અને સુવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
સાધુ, સંત અને સત્સંગનો ત્રિવેણી સંગમ
લીલી પરિક્રમામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી સાધુ સંતોથી લઇ સામાન્ય લોકો આવે છે. રાત્રે સંત સત્સંગ અને ભજન કાર્યક્રમ પણ યોજાય છે. લીલી પરિક્રમા દરમિયાન લોકોને ગીર જંગલની અંદર પ્રકૃતિના ખોળે રહેવાનો અને કુદરતી સૌંદર્યનો નજારો જોવાનો લાહવો મળે છે. (Photo: Gujarat Tourism)

ગિરનાર લીલી પરિક્રમાની શરૂઆત કયાંથી થાય છે?
ગિરનાર લીલી પરિક્રમા 5 દિવસન હોય છે. ગિરનાર પર્વતની તળેટીમાં સ્થિત પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરી ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત દામોદરજીના દર્શન કરીને લીલી પરિક્રમા શરૂ કરવાનું વિધાન છે. લીલી પરિક્રમામાં ઘણા પ્રસિદ્ધ મંદિરો અને સંતોના બેસણાં આવે છે. જ્યાં ભક્તો શ્રદ્ધા પૂર્વક શિશ નમાવી આગળ વધે છે. (Photo: Gujarat Tourism)
ગિરનાર લીલી પરિક્રમા કોણે શરૂ કરી હતી?
ગિરનાર પર્વત હિન્દુ અને જૈન લોકો માટે પવિત્ર તીર્થધામ છે. ગિરનાર પર્વત પર ભગવાન દત્તાત્રેય અંબાજી માતા સહિત ઘણા પ્રાચીન મંદિરો ઉપરાંત જૈન તીર્થંકરોના દેરાસર પણ આવેલા છે. ગિરનાર લીલી પરિક્રમા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. માન્યતા અનુસાર દ્વાપરયુગમાં શ્રી કૃષ્ણ ભગવાને બળદેવજી સાથે શ્રાપ માંથી મુક્તિ મેળવવા સૌથી પ્રથમવાર ગિરનાર પર્વતની પરિક્રમા હતી. કહેવાય છે કે, ગિરનાર પર્વત પર 33 કોટી દેવતાનો વાસ છે અને 84 ચોર્યાશી સિદ્ધોનું નિવાસ સ્થાન છે. ગિરનારને હિમાલય પર્વતનો દાદા કહેવામાં આવે છે. કહેવાય છે કે, ગિરનાર લીલી પરિક્રમા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
ગિરનાર પર્વત અને ધાર્મિક મહત્વ
ગિરનાર પર્વતનો ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. 3383 ફુટ ઉંચા ગિરનાર પર્વત હિન્દુ દેવી દેવતા અને જૈન તીર્થંકરોના ઘણા મદિરો આવેલા છે. ગિરનારનો સૌથી ઉંચો પર્વત ગુરુ શિખર છે જ્યાં ભગવાન દત્તાત્રેયના ચરણ પાદુકાના દર્શન થાય છે. 10000 પગથિયા ચઢીને ભક્તો ગુરુ શિખર પર પહોંચે છે.





