/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Yuvrajsinh-Jadeja.jpg)
આપ નેતા યુવરાજસિંહ જાડેજા ડમી ઉમેદવાર ખંડણી કેસ (ફાઈલ ફોટો)
Yuvrajsinh Jadeja: આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ હાલના સમયમાં સતત વધી રહી છે. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે ગુજરાત પોલીસે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. ભાવનગર પોલીસે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને પ્રશ્નપત્ર લીક કૌભાંડના વ્હિસલ બ્લોઅર યુવરાજસિંહ જાડેજાની તાજેતરના ડમી ઉમેદવાર પરીક્ષા કૌભાંડના સંદર્ભમાં કલાકો સુધી પૂછપરછ કર્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. જાડેજા પર કૌભાંડના આરોપીઓ પાસેથી 1 કરોડ રૂપિયા પડાવવાનો આરોપ છે.
શુક્રવારે રાત્રે 11 વાગ્યે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવા કેસમાં અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. જાડેજા ઉપરાંત તેના બે સાળા અને અન્ય ત્રણ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
SOGએ 19 એપ્રિલે જાડેજાને પૂછપરછ માટે બોલાવ્યા હતા
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ભાવનગરે શરૂઆતમાં 19 એપ્રિલના રોજ જાડેજાને પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેમણે "તબીબી સમસ્યા" જણાવી બે દિવસનો સમય માંગ્યો હતો. ભાવનગર એલસીબીએ 14 એપ્રિલના રોજ ભાવનગર જિલ્લામાં સરકારી ભરતીની પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષાઓમાં બેસવા માટે ડમી ઉમેદવારોને મોકલવામાં આવતા રેકેટમાં કથિત સંડોવણી બદલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ગયા રવિવારે રાજ્ય સરકાર દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા માટે ડમી ઉમેદવારો પણ મોકલ્યા હતા. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, ભાવનગર જિલ્લાના રહેવાસી શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પી.કે. દવે અને બલદેવ રાઠોડે કથિત રીતે સરકારી ભરતી પરીક્ષા અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ઉમેદવારોની બનાવટી હોલ ટિકિટો અને પરીક્ષા આપવા માટે ડમી ઉમેદવારોનો ઉપયોગ કર્યો હતો. તેણે કથિત રીતે 2012 થી ઘણા ઉમેદવારોને સરકારી સેવામાં ભરતી કરવામાં મદદ કરી હતી.
પરીક્ષાના નામે 5-10 લાખ રૂપિયા લેતા હતા, ડમી ઉમેદવારને આપતા હતા 25 હજાર
એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, ત્રણેય આરોપી ડમી ઉમેદવારને પરીક્ષા આપવા માટે સુવિધાના નામે 5 લાખથી 10 લાખ રૂપિયા લેતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દરેક પરીક્ષા માટે ડમી ઉમેદવારોને 25,000 રૂપિયા ચૂકવતો હતો. ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે રાત્રે નોંધાયેલી એફઆઈઆર મુજબ, ભાવનગર એસઓજીના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.બી. ભરવાડે જણાવ્યું હતું કે, ભરતનગર કેસમાં દવેની પૂછપરછ દરમિયાન તેમને ખબર પડી કે, જાડેજાને ડમી ઉમેદવાર કૌભાંડમાં સંડોવાયેલા લોકોની માહિતી મળી હતી.
જાડેજાએ એક વિડિયો બતાવ્યો, જેમાં દવે એક મિત્ર ઘનશ્યામ લાધવાને રિશિત નામના વિદ્યાર્થી માટે ડમી ઉમેદવાર તરીકે ભરે છે અને તેને કહે છે કે તે, દવેનો પર્દાફાશ કરશે. એફઆઈઆરમાં જાડેજાના સાળા શિવુભા અને કાનભા, લાધવા, બિપિન ત્રિવેદી અને રાજુ નામના વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 386, 388 અને 120બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. FIR મુજબ, જાડેજાએ કથિત રીતે દવે પાસેથી શરૂઆતમાં 70 લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં જાડેજાએ દવેને ત્રણ નામની પુષ્ટિ કરવા કહ્યું, રાજન દવે, રાકેશ બરૈયા અને પાર્થ પંડ્યા. જેમણે તેમના માટે કામ કર્યું. અંતે 45 લાખમાં સોદો નક્કી થયો હતો.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરી છે
29 માર્ચે દવેએ કથિત રીતે લાધવાને 45 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી આપી હતી. 5 એપ્રિલના રોજ, જાડેજાએ કથિત રીતે લાધવા સાથેના કોલ પર દવેને ખાતરી આપી હતી કે પ્રેસ કોન્ફરન્સમાં તે જે સાત નામોનો ઉલ્લેખ કરશે, તેમાં તેમનું નામ નહીં આવે. દવેને બાદમાં જાણ કરવામાં આવી હતી કે, ઋષિત પરનો વીડિયો જાડેજા દ્વારા "બળજબરીથી" શૂટ કરવામાં આવ્યો હતો અને તમામ નામો પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો - સુરત: વધુ 2 કોર્પોરેટરો ભાજપમાં જોડાતા AAPની બેઠક સંખ્યા 27 થી ઘટીને 15 પર આવી ગઈ
FIR મુજબ જાડેજાએ પ્રદીપ બરૈયા પાસે પૈસાની પણ માંગણી કરી હતી. બરૈયા સાથે રૂ. 55 લાખનો સોદો થયો હતો, જેણે 4 એપ્રિલ સુધીમાં રકમ ચૂકવી દીધી હોવાનું કહેવાય છે. ભાવનગર એલસીબીની માહિતી મુજબ પોલીસે ડમી ઉમેદવાર કૌભાંડમાં અત્યાર સુધીમાં એક કિશોર સહિત 14 લોકોની ધરપકડ કરી છે. એલસીબીએ જણાવ્યું હતું કે, પી.કે.દવે અને પ્રદીપ બરૈયા બંને રિમાન્ડ પર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us