Gujarat Assembly Election: 12 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાત મુલાકાત દરમિયાન જે રીક્ષા ડ્રાઈવર (rickshaw driver) ના ઘરે લંચ કર્યું હતુ તે રીક્ષા ડ્રાઈવર તો પીએમ મોદીનો ફેન છે. ઓટો ડ્રાઈવર વિક્રમ દંતાણી (vikram dantani) એ કહ્યું કે, યુનિયન દ્વારા તેને કેજરીવાલને આમંત્રણ આપવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે, તેણે કેજરીવાલને ડિનર કરાવી ઘરે મોકલી દીધા. વિક્રમ દંતાણીએ કહ્યું કે, હું ન તો આમ આદમી પાર્ટીનો માણસ છુ, ન તો મારે તેમની સાથે કોઈ લેવાદેવા છે.
ન્યૂઝ ચેનલ ઈન્ડિયા ટીવી સાથે વાત કરતા વિક્રમ દંતાણીએ કહ્યું, “અમારા ગ્રુપમાં મેસેજ આવ્યો અને મને તેમને ડિનર માટે ઈન્વાઈટ કરવાનું કહેવામાં આવ્યું. હું શરૂઆતથી જ ભાજપ સાથે જોડાયેલો છું. જ્યારથી હું મારો મત આપી રહ્યો છું ત્યારથી હું ભાજપ સાથે જોડાયેલો છું. હું શરૂઆતથી જ મોદીજીનો ફેન છું.”
ઓટો ડ્રાઈવર વિક્રમે કહ્યું કે, તેને ખબર નહોતી કે, આટલું બધું રાજકારણ થશે. તેણે કહ્યું, “મેં તેમને સામાન્ય નાગરિકની જેમ ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. મને ખબર નહોતી કે, તેઓ આના પર આટલું રાજકારણ કરશે. ભોજન લીધા બાદ આમ આદમી પાર્ટીનો કોઈ સભ્ય જોવા મળ્યો ન હતો. અમે મોદી સાહેબના ફેન છીએ અને હંમેશા તેમને મત આપીએ છીએ.
તમને જણાવી દઈએ કે, 12 સપ્ટેમ્બરે કેજરીવાલે ઓટો ડ્રાઈવરો સાથે મુલાકાત કરી હતી અને તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન શહેરના ઘાટલોડિયા વિસ્તારના ઓટો ડ્રાઈવર વિક્રમ દંતાણીએ કેજરીવાલને તેમના ઘરે ડિનર માટે વિનંતી કરી હતી. વિક્રમ દંતાણીએ કેજરીવાલને કહ્યું કે, હું તમારો ફેન છું. સોશિયલ મીડિયા પર મેં જોયેલા વીડિયોમાં તમે પંજાબમાં એક ઓટો ડ્રાઈવરના ઘરે ભોજન કરવા ગયા હતા. તો શું તમે મારા ઘરે જમવા આવશો?
તમને જણાવી દઈએ કે, જ્યારે કેજરીવાલ ઓટો ડ્રાઈવરના ઘરે ડિનર માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન પોલીસ અધિકારીઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. કેજરીવાલ એ વાત પર મક્કમ હતા કે તેઓ એ જ ઓટોમાં જમવા જશે. ગુજરાત પોલીસના અધિકારીઓએ સુરક્ષાના કારણોસર અરવિંદ કેજરીવાલને ઓટોમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેજરીવાલે કહ્યું કે તેમને કોઈ સુરક્ષા જોઈતી નથી.