ગુજરાત રાજકારણ : રાજ્યમાં ભાજપે સતત ત્રીજી વખત તમામ 26 લોકસભા બેઠકો જીતવાનો દાવો કર્યો છે. આ દરમિયાન સમાચાર એવા છે કે, વડોદરાના ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. ત્યારબાદ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.
ભીખાજી દુધાજી ઠાકોરે અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, તેઓ અંગત કારણોસર 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડે
રંજનબેનને ટિકિટ મળ્યા બાદ વડોદરા ભાજપ સંગઠનમાં ડખો શરૂ થયો હતો
રંજનબેનને વડોદરામાંથી ત્રીજી વખત ટિકિટ મળતાં સ્થાનિક સ્તરે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાએ ખુલ્લો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરી દીધા. આ પછી, શહેરમાં ટિકિટ બદલવાની માંગ કરતા અનામી પોસ્ટરો પણ શહેરમાં દેખાયા હતા.
પીએમ મોદીએ વડોદરા સીટ છોડ્યા બાદ રંજનબેન સાંસદ બન્યા
તમને જણાવી દઈએ કે, વર્ષ 2014 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ છોડ્યા બાદ રંજનબેન અહીંથી ચૂંટણી જીત્યા હતા. આ પછી 2019 માં પણ પાર્ટીએ તેમને વડોદરાથી ઉમેદવાર બનાવ્યા અને તેઓ જીતીને લોકસભામાં પહોંચ્યા હતા.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસે ગુજરાતના વધુ 11 ઉમેદવારો જાહેર કર્યા, અમિત શાહ સામે સોનલ પટેલ ચૂંટણી લડશે
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024 માટે તારીખોની જાહેરાત કરી દીધી છે. જેમાં સાત તબક્કામાં ભારતમાં ચૂંટણી યોજાશે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 07 મે 2024 ના રોજ મતદાન થવાનું છે. ભાજપે ગુજરાતની કુલ 26 બેઠકોમાં અત્યાર સુધીમાં 22 ઉમેદવાર ના નામની જાહેરાત કરી હતી, જેમાંથી વડોદરાના રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠના ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે, જેથી હવે ભાજપે આ બે બેઠકો સહિત અન્ય ચાર એમ છ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી રહેશે.





