ગુજરાત વિધાનસભામાં નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ 2023-24માં કાયદા અને ન્યાય વિભાગ માટે કુલ 2014 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.કાયદો અને ન્યાયતંત્રને સુદ્રઢ – મજબૂત કરવા માટે આગામી વર્ષોમાં રાજ્યમાં 100 જેટલી અદાલતો સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છેવાડાના માનવી સહિત સમાજના દરેક વર્ગની વ્યકિતને સરળતાથી તથા પારદર્શી રીતે ન્યાય મળી રહે તે એક બંધારણીય અધિકાર છે. માળખાકિય સુવિધાઓના વિકાસ અને ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રક્રિયામાં સરળતા લાવવા માટે ન્યાયતંત્ર અને સરકાર પ્રયત્નશીલ છે.
રાજ્યમાં 100 નવી અદાલતો સ્થાપવામાં આવશે
રાજ્યમાં ન્યાયિક વ્યવસ્થા સુદ્રઢ કરવા આગામી વર્ષોમાં 75 ડીસ્ટ્રીકટ જજની કોર્ટ તેમજ 25 સિનિયર સિવિલ જજની કોર્ટ સ્થાપવામાં આવશે. જુદી જુદી કોર્ટમાં ચલાવવામાં આવતા દાવાઓ અને તેની પ્રક્રિયાને લગતા દસ્તાવેજો પર કોર્ટ ફી લગાડવાની જોગવાઇ છે. આ વ્યવસ્થામાં ફેરફાર કરી સરળ અને તર્ક સંગત બનાવવામાં આવશે.
- જુદાજુદા સ્તરે કોર્ટ બિલ્ડીંગના બાંધકામો તેમજ જાળવણી માટે 211 કરોડની જોગવાઇ.
- ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકોના મકાનો માટે 179 કરોડની જોગવાઇ.
- ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ અને બીજી અદાલતોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન થકી વ્યવસ્થામાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે 28 કરોડની જોગવાઇ.
- વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત 5 કરોડની જોગવાઇ.