ગુજરાત બજેટ 2024 : ગુજરાત સરકાર દ્વારા 2024-25 નું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે, નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં કેટલીક મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ગિફ્ટ સિટીના વિસ્તરણથી લઈ અમદાવાદથી ગાંધીનગર રિવરફ્રન્ટને લંબાવવાની મહત્ત્વની જાહેરાતોનો પણ સમાવેશ થાય છે. તો જોઈએ શહેરી વિકાસ વિભાગ માટે શું મહત્ત્વની જોગવાઈઓ કરવામાં આવી છે.
ગુજરાત બજેટ 2024 રજૂ કરતા સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા “ઈઝ ઓફ લિવિંગ” પર ધ્યાન આપવું આવશ્યક છે.
તેમણે જણાવ્યું કે, શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં જળવાયુ પરિવર્તનના પડકારો સાથે પ્રાકૃતિક આપદાઓ તેમજ અગ્નિશમનની સેવાઓ પૂરી પાડવા તંત્રની સક્ષમતાને વધારવામાં આવશે. શહેરી ગરીબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓ માટે સમયબદ્ધ રીતે કામ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી વિવિધ યોજનાઓનો અસરકારક અને પારદર્શી રીતે અમલ કરી સ્થાનિક શહેરી સંસ્થાઓનો વહીવટ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ગુજરાત બજેટ 2024 – શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ માટેની મહત્ત્વની જોગવાઈ
• સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે 8634 કરોડની જોગવાઈ.• શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ 3041 કરોડની જોગવાઈ.• AMRUT 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે 2000 કરોડની જોગવાઈ.• અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે 1800 કરોડની જોગવાઈ.
• ૧૫માં નાણાપંચ અન્વયે શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે 1349 કરોડની જોગવાઈ.• પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા માટે 1323 કરોડની જોગવાઈ.• શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ/અંડર બ્રિજ બાંધવા માટે 550 કરોડની જોગવાઈ.• સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે 545 કરોડની જોગવાઈ.
• નગરપાલિકાઓના વીજબીલ પ્રોત્સાહન નિધિ અંતર્ગત 124 કરોડની જોગવાઇ.• મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોને પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત કરવા, એનર્જી ઓડિટ કરાવવા અને સંલગ્ન કામો માટે150 કરોડની જોગવાઈ.• મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોના વાર્ષિક દેખરેખ અને નિભાવ (O&M) માટે 100 કરોડની જોગવાઈ.
• મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા તથા નવા સાધનોની ખરીદી, દેખરેખ અને નિભાવ, તાલીમ અને સતત ક્ષમતા વિકાસ તેમજ આધુનિકીકરણ માટે 69 કરોડની જોગવાઈ.• શહેરી વિસ્તારોની કામગીરીમાં IT નો ઉપયોગ કરી તંત્રને સુદ્રઢ બનાવવા વિશેષ કેડરના વિસ્તરણ અને પુનઃરચના માટે 14 કરોડની જોગવાઈ.• ઇ-નગર પોર્ટલને ૨.૦ સુધી સંવર્ધિત કરવા અને મ્યુનિસિપલ સેવાઓની પહોંચમાં સુધારો કરવા માટે 50 નવા શહેર નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે 10 કરોડની જોગવાઈ.
• GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવામાં આવશે જેના માટે 52 કરોડની જોગવાઇ.• ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ.
ગુજરાત બજેટ 2024 – ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરાશે
ગુજરાત બજેટ 2024 સમયે કનુભાઈ દેસાઈ ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને “વોક ટુ વર્ક” “લિવ-વર્ક-પ્લે કમ્યુનિટી”ની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં ૪.૫ કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.
ગુજરાત બજેટ 2024 – અમદાવાદથી ગાંધીનગર રિવરફ્રન્ટ લંબાવવામાં આવશે
ગુજરાત બજેટ 2024 રજૂ કરતા સમયે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના પ્રવચનમાં કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીના દૂરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે. આ પ્રોજેકટના ફેઝ-૧માં ૧૧.૨ કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-૨માં ૫.૫ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે.
ફેઝ-૩માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-૪ અને ફેઝ-૫ અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આમ, રિવરફ્રન્ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થતાં તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને રળિયામણા રિવરફ્રન્ટમાં થશે.
આ પણ વાંચો – Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024 કયા વિભાગ માટે કેટલા કરોડ રુપિયાની જોગવાઇ કરાઇ, જાણો
ગુજરાત બજેટ 2024 – અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ લંબાવવામાં આવશે
નાણામંત્રીએ કહ્યું કે, અમદાવાદ-ગાંધીનગર મેટ્રોની કનેકટિવિટી વધારવા મેટ્રોરૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. જાહેર પરિવહનના સુદ્રઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું આધુનિકીકરણ કરવામાં આવી રહેલ છે. ચાલુ વર્ષે મૂકવામાં આવનાર ૨૦૦૦ નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસ.ટી. નિગમ દ્વારા વધુ ૨૫૦૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે.





