ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીઓ વિશે માહિતી સાર્વજનિક કરવાનો નિર્દેશ આપતા કેન્દ્રીય માહિતી પંચના આદેશને પડકારતી ગુજરાતી યુનિવર્સિટીની પિટિશનને માન્ય રાખીને સુનાવણી કરતા એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે આ કેસમાં ગુજરાત યુનિવર્સિટીની પિટિશન પર સુનાવણી કરતા પીએમ નરેન્દ્ર મોદીની ડિગ્રીની માહિતી સાર્વજનિક કરવાના કેન્દ્રીય માહિતી પંચના નિર્દેશને રદ કર્યો છે. ઉપરાંત આ કેસમાં PM નરેન્દ્ર મોદીની ‘ડિગ્રી’ની માહિતી શોધવા માટે અરજી કરનાર આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને નાણાંકીય દંડ પણ ફટકાર્યો છે.
અરવિંદ કેજરીવાલને દંડ
ઉપરાંત હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈશ્ણવે RTI એક્ટ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રીની માહિતી માંગનાર આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને 25000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને આ રકમ ચાર સપ્તાહની અંદર ગુજરાત સ્ટેટ લિગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરવાનો નિર્દેશ આપ્યો છે.
ઉલ્લેખનિય છે કે, યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે “માહિતી સાર્વજનિક કરવા” માટે નિર્દેશ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી વખતે ગુજરાત યુનિવર્સિટી વત્તી ભારતના સોલિસિટર જનરલ અને સિનિયર એડવોકેટ તુષાર મહેતા હાજર રહ્યા હતા.
યુનિવર્સિટી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેતાએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે “જિજ્ઞાસાને જાહેર હિત સાથે સરખાવી શકાય નહીં” અને “અમારા કોઈપણ વિદ્યાર્થી માટે આરટીઆઈ કાયદા હેઠળ ડિગ્રીની માહિતી જાહેર કરવા માટે નિર્દેશ કરવાા સિદ્ધાંત” અંગે વાંધો ઉઠાવ્યો હતો.
તુષાર મહેતાએ એવી પણ માંગણી કરી હતી કે, આ કેસમાં થયેલો ખર્ચ પણ વસૂલવામાં આવે, નહીંત્તર આપણે RTI એક્ટના દષ્પરિણામ ભોગવીશું”.
શું છે સમગ્ર મામલો
વર્ષ 2016માં અરવિંદ કેજરીવાલે RTI એક્ટ હેઠળ અરજી કરીને PM મોદીની શૈક્ષણિક લાયકાત વિશે માહિતી માંગી હતી. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC) એ દિલ્હી યુનિવર્સિટ અને ગુજરાત યુનિવર્સિટીને આદેશ જારી કરીને કેજરીવાલને માંગેલી માહિતી પૂરી પાડવા નિર્દેશ કર્યો હતો. તેના જવાબમાં ગુજરાત યુનિવર્સિટીએ કહ્યું હતું કે મોદીએ ડિસ્ટન્સ એજ્યુકેશનમાંથી એમએની ડિગ્રી મેળવીછે. કેજરીવાલે ડિગ્રીની નકલ પણ માંગી હતી. જે બાદ આ સમગ્ર વિવાદ ઉભો થયો હતો. તો બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ CICના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે મોદીની ડિગ્રીની નકલ સોંપવાના આદેશ પર સ્ટે આપ્યો હતો.
હાઇકોર્ટના ચુકાદા પર કેજરીવાલનું ટ્વિટ – ‘અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક’
ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે. જેમાં કેજરીવાલે લખ્યું છે કે શું દેશને એ જાણવાનો પણ અધિકાર નથી કે તેમના પીએમ કેટલું ભણેલા છે? અદાલતમાં તેમણે ડિગ્રી દેખાડવાનો ઉગ્ર વિરોધ કર્યો. શા માટે? અને તેમની ડીગ્રી જોવાની માંગણી કરનારને દંડ થશે? આ શું થઈ રહ્યું છે? અભણ કે ઓછું ભણેલા પીએમ દેશ માટે ખૂબ જ ખતરનાક છે.