Gujarat Rain: ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. રવિવારે 7 જુલાઇને અષાઢી બીજના રોજ 19 તાલુકામાં નજીવો વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારે 7 જુલાઇના રોજ સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના આહવા અને સુબીરમાં સૌથી વધારે અડધો ઇંચ (11 મીમી)વરસાદ વરસ્યો છે. એટલે કે એકપણ તાલુકામાં 1 ઇંચ પણ વરસાદ નોંધાયો નથી.
રાજ્યામાં ક્યાં-ક્યાં વરસાદ વરસ્યો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ડાંગના આહવા,સુબીરમાં 11 મીમી, ઉમરપાડા,કપરાડામાં 10 મીમી, ચોર્યાસી,વાપીમાં 4 મીમી, ઓલપાડ, વઘઇ, ઉમરગામમાં 3 મીમી, જાફરાબાદ, નીઝર, ડેડિયાપાડામાં 2 મીમી અને કઠલાલ, જલાલપોર, ચીખલી, વાંસદા, ખેરગામ, ઉચ્છલ અને કુકરમુંડામાં 1 મીમી વરસાદ વરસ્યો છે. એટલે કે દિવસ દરમિયાન એક ઇંચ પણ વરસાદ વરસ્યો નથી.
ગુજરાતમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે જ્યારે ઉત્તર ભારતમાં વરસાદે આફત સર્જી છે. ચોમાસાનો વરસાદ પહાડો પર તબાહી મચાવી રહ્યો છે, યુપી-બિહારમાં પૂરનું સંકટ વધી છે. નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે ગંગા કાંઠાના જિલ્લાઓમાં ખેતરો અને મકાનો ડૂબવા લાગ્યા છે. બિજનૌર, મુરાદાબાદ, મુઝફ્ફરનગરથી પૂરની તસવીરો આવી રહી છે. ઉત્તરાખંડથી લઈને નેપાળ સુધી સ્થિતિ ખરાબ છે. ચમોલી-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે બંધ છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે અડધો રસ્તો ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. રસ્તામાં વાહનોની કતાર લાગી છે અને લોકો રસ્તો ખૂલવાની રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો – સુરત બિલ્ડીંગ ધરાશાયી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધી સાત થયો
ચારધામ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત
ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં 7-8 જુલાઈએ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રવિવારે ચારધામ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવી છે. ગઢવાલના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય યાત્રાળુઓની સલામતી માટે લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો પહેલેથી જ યાત્રા પર નીકળી ચૂક્યા છે, તેમને સલાહ આપવામાં આવી છે કે તેઓ જ્યાં પણ હોય ત્યાં સુધી રાહ જુઓ, જ્યાં સુધી હવામાન સ્વચ્છ ન થાય ત્યાં સુધી તેમની આગળની યાત્રા ફરી શરૂ ન થાય.
છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરાખંડના વિવિધ ભાગોમાં ભારે વરસાદને કારણે પહાડોમાં ભૂસ્ખલન થયું છે. પહાડો પરથી કાટમાળ પડવાને કારણે બદ્રીનાથ જતો હાઇવે ઘણી જગ્યાએ બંધ કરી દેવામાં આવ્યો છે.
આસમમાં પૂરથી 52 લોકોના મોત
સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર આસમમાં પૂરમાં 52થી વધુ લોકોના મોત થયા છે અને 30 જિલ્લામાં 24 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં કછાર, કામરૂપ, ધુબરી, નાગાંવ, ગોલપારા, બારપેટા, દિબ્રુગઢ, બોંગાઇગાંવ, લખીમપુર, જોરહાટ, કોકરાઝાર, કરીમગંજ અને તિનસુકિયાનો સમાવેશ થાય છે.





