Gujarat Rain News : ગુજરાતમાં ચોમાસુ બરાબર જામેલુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અનેક નાની મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. તો કેટલાક ડેમ પણ છલકાઈ ગયા છે. આજે અમદાવાદમાં ધીમી ધારે ઝીણા ઝીણા વરસાદ અને ધુમ્મસથી વાતાવરણ અહલાદક જોવા મળી રહ્યું છે. તો રાજ્યમાં આજે વરસાદની ગતિ ધીમી જોવા મળી રહી છે. મહિસાગરના વીરપુરમાં માત્ર એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય 39 તાલુકામાં એક ઈંચથી પણ ઓછો વરસાદ જોવા મળ્યો છે.
અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વાતાવરણ અહલાદક જોવા મળી રહ્યું છે. ચાંદખેડા, એસજી હાઈવે, ગોતા, સોલા, ન્યુ રાણીપ, નવરંગપુરા, તથા એસપી રીંગ સહિતના વિસ્તારોમાં ધીમો ધીમો ઝરમર વરસાદ શરૂ થયો હતો. કાળા ડિબાંગ વાદળા છતા વરસાદની ધીમી ગતિ છે. છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પરંતુ વરસાદ ઓછો જોવા મળી રહ્યો છે.
આજે ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ
જો આજના વરસાદની સ્થિતિની વાત કરીએ તો, સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં આજે 49 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. પરંતુ વરસાદનું જોર ઓછુ જોવા મળી રહ્યું છે. માત્ર મહિસાગરના વીરપુરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય સંતરામપુરમાં 21 મીમી, સાબરકાંઠાના તલોદ અને દાહોદના ગરબાડામાં 18 મીમી, છોટા ઉદેપુરમાં 13 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય 44 તાલુકામાં 10 મીમી કે તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં રવિવારે બે જિલ્લામાં રેડ એલર્ટ, 8 જિલ્લામાં ભારેથી અતીભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આજે મેઘરાજા ધીમી ગતીએ વરસાદ વરસાવી રહ્યા છે. પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલ રવિવારે બે જિલ્લામાં ભારે મેઘ મહેર જોવા મળી શકે છે. હવામાન વિભાગ અમદાવાદ અનુસાર, મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટા ઉદેપુરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આ બે જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અમદાવાદ સહિત અન્ય 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ અને નર્મદાનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ પડ્યો
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૪ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૩ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૬૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૯ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૩ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.
ક્યાં કેટલા લોકોને સુરક્ષિત સ્થળાંતર કરાયા
રાજ્યભરમાં વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવનને અસર પહોંચી છે. જેને ધ્યાને લઈ છેલ્લા બે દિવસમાં કુલ ૧૪,૫૫૨ નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા છે, જેમાં સુરત જિલ્લામાં ૩,૭૦૭ નાગરિકો, નવસારીમાં ૨,૯૭૮, વડોદરામાં ૧,૮૭૭, પોરબંદરમાં ૧,૫૬૦, જુનાગઢમાં ૧,૩૬૪, ભરૂચમાં ૧,૦૧૭, તાપીમાં ૯૧૮, આણંદમાં ૬૦૪, દેવભુમિ દ્વારકામાં ૩૦૪, વલસાડમાં ૧૫૦, પંચમહાલમાં ૫૬ જ્યારે નર્મદા જિલ્લામાં ૧૭ નાગરિકોને સ્થળાંતરીત કરાયા.
રેસક્યુ ઓપરેશન
આ ઉપરાંત ભારે વરસાદના કારણે પોતાના વિસ્તારમાં ફસાઈ ગયેલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસમાં કુલ ૧,૬૧૭ નાગરિકોનું રેસ્ક્યું કરવામાં આવ્યા છે. જેમાં આણંદ જિલ્લામાં ૫૪૦ નાગરિકો, સુરતમાં ૩૫૩, વડોદરામાં ૨૬૨, જામનગરમાં ૧૫૧, પોરબંદરમાં ૧૨૧, તાપીમાં ૧૦૬, દેવભુમિ દ્વારકામાં ૫૯, ભરૂચમાં ૧૧ તથા નવસારી અને કચ્છમાં ૭ નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.
નવસારીની પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવી
આજે નવસારીની પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. જેના પરિણામે નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત ૨૨૦૦ લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવસારી તાલુકાના અડદા ખાતે કનાઈ ખાડીમાં પાણી વધતા ફસાયેલા સાત લોકોનું નવસારી ફાયર ટીમ દ્વારા સલામ રીતે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થાને સ્થળાંતરીત કરવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત આશ્રિતોના વ્યક્તિઓને સુરક્ષિત રીતે ખસેડીને સ્થળાંતર કરવામાં આવ્યા હતા, જ્યાં અસરગ્રસ્ત આશ્રિતો ભોજન, પીવાના પાણી, જરૂરી દવા, સુવા માટે ગાદલા, ચાદરો સહિતની આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પણ વાંચો – Gujarat Rain : રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો, શુક્રવારે 3 તાલુકામાં જ એક ઇંચથી વધારે વરસાદ
આ ઉપરાંત સુરતના મહુવા તાલુકામાં બે કલાકમાં સાડા ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ હતી. પૂર્ણા નદીમાં જળસ્તર ભયજનક સપાટી વટાવી જતાં પ્રસાશન દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત વિસ્તારોના લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું હતું. જેમાં મહુવા તાલુકાના મહુવા, રાણત, બુધલેશ્વર અને મિયાપુર ગામમાંથી કુલ ૧૭૧ લોકોની પ્રાથમિક શાળા અને શોપિંગ સેન્ટર ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા તેમના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.





