ગુજરાત વિધાનસભામાં પહેલીવાર હાર્દિક પટેલે કર્યો સવાલ, પોતાની જ સરકારને ઘેરી, સ્પીકરે પણ કર્યા વખાણ

gujarat Assembly budget session : હાર્દિક પટેલે (Hardik Patel) ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં જુની અને આર્થિક રીતે નબળી શાળાઓ (Gujarat School) ને લઈ પ્રશ્ન ઉઠાવ્યો, કહ્યું - શું સરકાર આવી શાળાઓને પોતાની વીંગમાં સમાવવા તૈયાર છે.

Written by Kiran Mehta
Updated : March 02, 2023 11:11 IST
ગુજરાત વિધાનસભામાં પહેલીવાર હાર્દિક પટેલે કર્યો સવાલ, પોતાની જ સરકારને ઘેરી, સ્પીકરે પણ કર્યા વખાણ
હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યો (ફોટો - એક્સપ્રેસ)

અદિતી રાજા, ગોપાલ કટેશિયા, કમલ સૈયદ : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં બુધવારે (1 માર્ચ, 2023) ધારાસભ્ય હાર્દિક પટેલે પહેલીવાર સવાલ કરીને પોતાની જ સરકારને ઘેરી લીધી હતી. તેમણે ભાજપ સરકારની નીતિ અંગે સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું કે, શું સરકાર 75-100 વર્ષ જૂની, હેરિટેજ વેલ્યુ અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતી શાળાઓને તેની પાંખ હેઠળ લેવા તૈયાર છે? સ્પીકર શંકર ચૌધરીએ હાર્દિક પટેલની પ્રશંસા કરી તેને સારો પ્રશ્ન ગણાવ્યો હતો.

એક મહિનામાં બીજી વખત રાજ્ય સરકારની નીતિ પર સવાલ ઉઠ્યા

વાસ્તવમાં, ગુજરાત સરકાર આર્થિક રીતે બિનઉપયોગી શાળાઓની સંખ્યા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. એક મહિનામાં આ બીજી ઘટના છે જ્યારે હાર્દિક પટેલે રાજ્ય સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ હાર્દિકે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે અમદાવાદ જિલ્લામાં તેમના મતવિસ્તાર વિરમગામ સહિત કેટલાક વિસ્તારોમાં ઉગાડવામાં આવતી દેશી કપાસની જાતો માટે ફેર એવરેજ ક્વોલિટી (FAQ) પરિમાણોમાં ફેરફાર અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો અને તેને ખેડૂતોનું શોષણ ગણાવ્યું હતું.

કૃષિ મંત્રીને લખેલા પત્રમાં હાર્દિકે જણાવ્યું હતું કે, કપાસની જાતો માટેના FAQ માપદંડો, જે લાંબા સમયથી નક્કી કરવામાં આવ્યા હતા, તે હવે બદલવામાં આવ્યા છે અને વેપારીઓ ઓછા ભાવ ચૂકવી રહ્યા છે અને ખેડૂતોને સમયસર ચૂકવણી કરવામાં આવી રહી નથી.

ભાજપના વધુ બે ધારાસભ્યોએ પણ સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા છે

હાર્દિક ઉપરાંત ભાજપના અન્ય બે ધારાસભ્યોએ પણ ખેડૂતોને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારના નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા હતા. વડોદરા જિલ્લાના સાવલીના કેતન ઇનામદારે તાજેતરમાં બરોડા ડેરીના સંચાલનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને વિરોધ કર્યો હતો અને પશુપાલકો માટે ન્યાયની માંગ કરી હતી. આ પછી ઉપપ્રમુખ અને પ્રભારી પ્રમુખ જી.બી. સોલંકીએ રાજીનામું આપ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ ઇનામદારની પ્રશંસા કરી હતી અને તેમને પશુપાલકોના હિતમાં બોલનાર ધારાસભ્ય તરીકે ગણાવ્યા હતા.

આ પણ વાંચોગુજરાતની તમામ શાળામાં ધોરણ 1થી 8માં ગુજરાતી હવે ફરજિયાત, જો ગુજરાતી વિષય ન ભણાવ્યો તો 2 લાખ દંડ

આ દરમિયાન, સુરતના વરાછાના કિશોર કાનાણીએ જાન્યુઆરીમાં સરકારને પત્ર લખીને સરકારી યોજના હેઠળ વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી લોનના વિતરણમાં વિલંબની ફરિયાદ કરી હતી. આ સાથે કાનાણીએ સુરતમાં ભારે ટ્રાફિકનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જે બાદ લક્ઝરી બસોના સમયને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ધારાસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને ભાજપની અંદરના જૂથો વચ્ચેના શીત યુદ્ધના પરિણામ તરીકે જોવામાં આવી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ