scorecardresearch

જામજોધપુર : રૂ. 20 લાખની લૂંટનો મામલો, યાર્ડમાં નોકરી કરતા ઇસમે ઘડ્યો પ્લાન, જુઓ કેવી રીતે લૂંટને અંજામ આપ્યો

Jamjodhpur robbery : જામજોધપુર માર્કેટ યાર્ડના વેપારી પાસેથી 20 લાખની લૂંટનો પ્લાન યાર્ડમાં નોકરી કરતા વ્યક્તિએ જ બનાવ્યો હતો, તેણે અન્ય ત્રણ કુખ્યાત અપરાધીઓને સાથે રાખી રેકી કરી લૂંટને અંજામ આપ્યો.

Jamjodhpur robbery
જામજોધપુર 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો (ફોટો – એક્સપ્રેસ)

જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવનાર વેપારી સાથે 20 લાખની લૂંટ થઈ હતી. આ મામલે પોલીસ ફરિયાદ બાદ પોલીસે લૂટારૂનું પગેરૂ મેળવવા ચક્રોગતિમાન કરી દીધા હતા. આ મામલે પોલીસને શંકા હતી કે, કોઈ જાણભેદુએ ઘટનાને અંજામ આપ્યો છે, આ મામલે તપાસ કરતા પોલીસને સફળતા મળી અને યાર્ડમાં જ નોકરી કરતા એક ઈસમે વેપારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું અને લૂંટનો ભેદ ઉકેલાયો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેપારી યુવાન ગત તા.14 ના રોજ બપોરના સમયે એચ ડી એફ સી બેંકમાંથી 20 લાખી રોકડ ઉપાડીને તેના બાઈક પર જતો હતો, ત્યારે યામાહા એફઝેડ પર આવેલા બે શખ્સોએ લાખોની રોકડ ભરેલો થેલો લૂંટી લીધો હતો. આ બનાવમાં એલસીબીની ટીમે સુરતના અને એક લાલપુરના શખ્સને રૂ.18,50,000 ની રોકડ અને બાઇક તથા મોબાઇલ સહિત ઝડપી લઇ અન્ય બે શખ્સોની શોધખોળ આરંભી છે.

કેવી રીતે લૂંટો પ્લાન ઘટ્યો?

મળતી વિગત મુજબ, જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં યમુના ટે્રડીંગ પેઢી ધરાવતા ભૌતિકભાઈ પ્રવિણભાઈ રામોલિયા નામનો વેપારી યુવાન ગત તા.14 ના રોજ એચડીએફસી બેંકમાંથી રૂ.20 લાખ લઇ બાઈક પર જતો હતો, ત્યારે યાર્ડના મુખ્ય ગેઈટ પાસે પહોંચ્યો તે સમયે યામાહા એફ ઝેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પલકવારમાં વેપારી પાસેથી લાખોની રોકડ ભરેલા થેલીની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં.

આ બનાવમાં જામજોધપુર પોલીસે જિલ્લામાં નાકાબંધી કરાવી હતી. પોલીસ અધિક્ષ પ્રેમસુખ ડેલુની સૂચના દ્વારા લુંટનો ભેદ ઉકેલવા કરાયેલા આદેશના પગલે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ, પી.એમ. મોરી તથા એલસીબી-એસઓજી અને પેરોલ ફર્લો તથા જામજોધપુર પોલીસની જુદી જુદી ટીમો બનાવી જામજોધપુર, ઉપલેટા, જેતપુર-ગોંડલ, સુરત, ધોરાજી, જામકંડોરણામાં તપાસ આરંભી હતી. દરમિયાન ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સની મદદથી ગુનામાં વપરાયેલ એફ ઝેડ બાઇક સુરતના ખાટોદરામાંથી ચોરી કરાયું હોવાનું જાણવા મળ્યું હતું.

જાણભેદુએ અન્ય ત્રણની મદદથી લૂંટને અંજામ આપ્યો

એલસીબીની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતુભા જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, હરદીપ ધાંધલ, ફીરોજ ખફી, રાકેશ ચૌહાણને મળેલી બાતમી તથા નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમારના ટેકનિકલ એનાલિસીસના આધારે સુરતના દસ્તગીર શકીલ કુરેશી અને લાલપુર તાલુકાના નાની રાફુદડનો નરશી રવશી ખાણધર દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યું હોવાનું અને તે પૈકીનો દસ્તગીર ધોરાજી-જામકંડોરણા તરફથી કાલાવડ બાજુ આવતો હતો ત્યારે કાલાવડના ટોડા ગામના પાટીયા પાસેથી એલસીબીની ટીમે આંતરીને દસ્તગીરને દબોચી લીધો હતો. તેની પાસેથી રૂ.18,50,000 મળી આવ્યા હતાં અને આ રકમ જામજોધપુરમાંથી વેપારી પાસેથી ચીલ ઝડપ કર્યાની કેફીયત આપી હતી. તેમજ આ ગુનામાં ઉપલેટા તાલુકાના ભાયાવદરનો ધવલ અશોક સિનોજીયા તેમજ જામજોધપુરનો દિલીપ વિઠ્ઠલ કાંજીયા સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ભાયાવદરના ધવલ અશોક સિનોજીયાની ધરપકડ કરી હતી.

પાંચ દિવસ પહેલા જ જેલમાંથી આરોપીઓ છૂટ્યા હતા

આરોપી નરશી ખાણધર અને દસ્તગીર કુરેશીએ થોડા દિવસો પહેલા જામજોધપુર આવી ધવલ સિનોજીયા અને દિલીપ કાંજીયા સાથે મળીને જામજોધપુરના યાર્ડના વેપારીઓ બેંકમાં પૈસા ઉપાડવા જતા હોય છે. તેથી તે સમયે લુંટ ચલાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ લૂંટને અંજામ આપવા નરશી અને દસ્તગીરે સુરતના ઉધના ખટોદરામાંથી યામાહા એફઝેડ બાઈકની ચોરી આચરી હતી અને લૂંટ ચલાવવા માટે બાઈકની નંબર પ્લેટના છેલ્લાં આંકડાઓ તોડી નાખ્યા હતાં.

શકીલ સામે અનેક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા

આ બાજુ જામજોધપુર યાર્ડ અને બેંકની આજુબાજુમાં ધવલ અને દિલીપે રેકી કરી અને વેપારી ભૌતિક વધુ પૈસા લઇને જતો હોવાનું નરશી ખાણધર તથા દસ્તગીર કુરેશીને બાતમી આપી હતી. ત્યારબાદ ચારેય શખ્સોએ એકસંપ કરી લૂંટને અંજામ આપ્યો હતો. એલસીબીની ટીમે ઝડપેલા દસ્તગીર શકીલ કુરેશી વિરૂધ્ધ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવા, સુરતના ખટોદરા, સુરતના આઠવા લાઈન, સુરતના ખટોદરા, મધ્યપ્રદેશનું ઉદયનગર દેવાસ અને ખરગોન પોલીસ સ્ટેશનમાં છ ગુનાઓ નોંધાયેલા છે.

નરશી વિરુદ્ધ અનેક ગુના તો દિલિપ સામે 1 ગુનો

જ્યારે નરશી રવજી ખાણધર વિરૂધ્ધ મધ્યપ્રદેશના બરવામાં, સુરતના ખટોદરામાં, ભાણવડમાં, લાલપુરમાં, ઉદયનગર દેવાસમા અને ખરગોનમાં છ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે દિલીપ ઉર્ફે મુન્નો વિઠલ કાંજિયા વિરૂધ્ધ મધ્યપ્રદેશના ભીમનગાવ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે.

દિલીપ સીનોજીયા જામજોધપુર યાર્ડમાં નોકરી કરે છે

એલસીબીની ટીમે જામજોધપુર યાર્ડના તીરૂપતિ ટે્રડર્સમાં નોકરી કરતા દિલીપ ઉર્ફે મુન્નો વિઠલ કાંજીયા અને લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામના નરશી રવજી ખાણધરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. એલસીબીની ટીમે દસ્તગીર અને ધવલ પાસેથી રૂા.18,50,000 ની રોકડ, રૂા.25 હજારની કિંમતનું ચોરાઉ બાઈક અને રૂા.7000 ની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા.18,82,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Web Title: Jamjodhpur rs 20 lakh robbery case yard worker plans how loot carried out

Best of Express