અવિનાશ નાયર : કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ બુધવારે ગુજરાત વિધાનસભામાં દાવો કર્યો હતો કે, કચ્છમાં (છેલ્લા બે વર્ષમાં) 2.67 લાખ મેટ્રિક ટન ખનીજ ચોરી સામે રાજ્ય સરકાર દ્વારા માત્ર નોટિસ જ આપવામાં આવી છે.
ગૃહમાં અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન, મેવાણીએ કહ્યું, ‘પ્રશ્ન કાળ દરમિયાન મારા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં, સરકારે સ્વીકાર્યું છે કે, સત્તાવાર લીઝ વિસ્તાર (કચ્છમાં) બહાર 2.67 લાખ મેટ્રિક ટન ખનિજોની ચોરી કરવામાં આવી છે.’
‘ચોરી’ ક્યારે થઈ તે સમયગાળાનો ધારાસભ્યે ઉલ્લેખ કર્યો નથી.
તેમણે કહ્યું કે, “જ્યારે મેં પૂછ્યું કે શું પગલાં લેવામાં આવ્યા છે, તો રાજ્ય સરકાર કહે છે કે કોઈ એફઆઈઆર અથવા ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી, ન તો કોઈ ધરપકડ કરવામાં આવી છે. કોઈને દોષિત ઠેરવવામાં આવ્યા નથી. માત્ર નોટિસો જારી કરવામાં આવી છે.”
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ ગુજરાતમાં થઈ રહેલી ખનીજ ચોરી પર પ્રકાશ પાડ્યો હતો.
મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે, બોટાદ (તેમના વિધાનસભા મતવિસ્તાર)માં ખનીજ ચોરી પાછળ ખાણ માફિયાઓનો હાથ છે. મોટાભાગે રેતી અને બ્લેક ટ્રેપની ચોરી થઈ રહી છે. ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના અધિકારીઓ આ બાબતથી વાકેફ છે, પરંતુ એવું લાગે છે કે, તેઓ ખનીજ ચોરી કરનારાઓ સાથે મીલીભગતમાં છે,”
AAP ધારાસભ્યએ એવો પણ દાવો કર્યો હતો કે, સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ચૂનાના પથ્થરના ગેરકાયદેસર ખાણકામમાં સામેલ છે.
તેમણે કહ્યું, “જો દર ત્રણ મહિને આ ખાણોનું મેપિંગ કરવામાં આવે તો રાજ્ય સરકારને રોયલ્ટીનો લાભ મળશે.”
ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા મીડિયાને મોકલવામાં આવેલ લેખિત જવાબ દર્શાવે છે કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ગેરકાયદે ખનન, વાહનો જપ્ત કરવા અને સંગ્રહખોરીને લગતા કેસોની સંખ્યામાં 22.5 ટકાનો વધારો થયો છે.
7,734 કેસની સરખામણીમાં, જ્યાં 2018-19માં રૂ. 109.88 કરોડની વસૂલાત કરવામાં આવી હતી, 2022-23માં (ફેબ્રુઆરી 2023 સુધી) કેસ વધીને 9,476 થઈ ગયા છે, જ્યાં ગેરકાયદેસર રીતે રોકાયેલા લોકો પાસેથી કુલ રૂ. 199.07 કરોડની વસૂલાત કરવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાતમાં વરસાદની આગાહી! 20 માર્ચ સુધીમાં આ વિસ્તારોમાં વરસાદની સંભાવના
તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ચોરાયેલ ખનીજ વહન કરતા વાહન દીઠ રૂ. 5,000 ચાર્જ કરે છે અને વાહનના પ્રકારને આધારે રૂ. બે લાખ સુધીની કમ્પાઉન્ડ ફી વસૂલવામાં આવી શકે છે. ગેરકાયદેસર ખાણકામના કેસોની કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટર અને મામલતદાર દ્વારા કરવામાં આવે છે.