અદાણી હિંડનબર્ગનો વિવાદ અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાને લઈને સત્તાધારી ભાજપને ઘેરવા ગુજરાત કોંગ્રેસે 6 ફેબ્રુઆરીએ અમદાવાદ એલઆઈસી ઓફિસની બહાર સહિત તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન અને “હાથ સે હાથ જોડો યાત્રા”ની જાહેરાત કરી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જીગ્નેશ મેવાણીએ શનિવારે પત્રકારોને જણાવ્યું કે, “આ બધું ગુજરાતમાંથી શરૂ થયું હોવાથી, ગુજરાત અને ભારત સરકારે LIC પોલિસીધારકોને ખાતરી આપવી જોઈએ કે આ કૌભાંડને કારણે તેઓને એક રૂપિયાનું નુકસાન થશે નહીં.”
મેવાણીએ મુખ્ય ન્યાયાધીશ, સંયુક્ત સંસદીય સમિતિ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને માર્કેટ રેગ્યુલેટર સેબીના નેજા હેઠળ સુપ્રીમ કોર્ટ દ્વારા અદાણી ગ્રૂપના શેરમાં શોર્ટ-સેલરના આરોપોની “તાત્કાલિક તપાસ” કરવાની માંગણી કરી હતી.
હિંડનબર્ગ રિસર્ચના ઘટસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરતાં મેવાણીએ કહ્યું કે, “આજે સમગ્ર દેશ એ હકીકતનો સાક્ષી છે કે બંદરો, એરપોર્ટ, ગેસ, ઉર્જા, હાઇવે, તમામ ટેન્ડરો અને મોનોપોલી અદાણી જૂથને આપવામાં આવે છે, જે આપણા બંધારણનું સ્પષ્ટપણે ઉલ્લંઘન છે.
“હિંડનબર્ગ રિસર્ચે જે ઘટસ્ફોટ કર્યો છે તે ખૂબ જ આઘાતજનક છે, કે જે કંપની કંઈપણ સર્જન કરતી નથી અને તેની પાસે કોઈ મેન્યુફેક્ચરિંગ, સર્વિસિસ, ટ્રેડિંગ અથવા ઓફિસ નથી – જ્યાં ઓફિસો છે, ત્યાં કોઈ સ્ટાફ અથવા પ્રોડક્શન નથી – ‘શેલ’ કંપનીઓનો ઉપયોગ કરીને, આંતરરાષ્ટ્રીય સ્તરે બોગસ કંપનીઓનું નેટવર્ક ઊભું કરીને અબજો રૂપિયાની કર ચોરી કરી રહી છે.
“તેમણે દેશના ઓછી આવક ધરાવતા જૂથો, મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગના લોકોને તેના શેરમાં રોકાણ કરવા હેતુ આકર્ષિત કરવા શેરના ભાવ વધારવામાં સફળ થયા છે, જેથી એલઆઈસી – જે સરકારી કંપની છે, નાગરિકો માટેની સંસ્થા છે તેણે તેમાં રોકાણ કર્યું છે. અદાણી ગ્રૂપને 76,000 કરોડ રૂપિયા અને SBI જેવી જાહેર ક્ષેત્રની બેન્કોએ 80,000 કરોડ રૂપિયાથી વધુની લોન આપી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે એલઆઈસી અને બેંકોએ અદાણી ગ્રુપમાં આશરે 1.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને આ રોકાણ દેશના 50 કરોડથી વધુ ગ્રાહકો, બેંક ખાતાધારકો અને એલઆઈસી પોલિસીધારકોના નાણાંમાંથી કરવામાં આવ્યું છે.
“આ કૌભાંડના પરિણામે, આ દેશના 50 કરોડ લોકોના જીવન સાથે ગેમ રમાઈ છે, અને તેમાં દેશના પ્રત્યેક ત્રણમાંથી એક વ્યક્તિ ભોગ બન્યો છે. આપણી અર્થવ્યવસ્થા ડૂબી જવાની, આપણી સકારીની બેંકો અને એલઆઈસી નાદાર થવાની સંભાવના સાથે એક ખતરનાક સ્થિતિ ઉભી થઇ છે, અને તેમ છતાં ગુજરાત સરકાર કે ગુજરાતના મુખ્યમંત્રી કે ભારત સરકાર કે ભારતના વડાપ્રધાન જનતાને આવી કંપનીના શેરમાં ફરી રોકાણ ન કરવાની ચેતવણી આપવા તૈયાર નથી.
“અદાણી સાથે ભોજન લેનારા અને તેમના પ્રાઈવેટ જેટમાં ઉડાન ભરનારા પીએમ તેમની વિરુદ્ધ એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કહ્યું કે, જ્યારે તેમની ધરપકડ કરવા માટે આસામથી પોલીસ મોકલવામાં આવે છે, પરંતુ બે વર્ષથી તપાસ કરી રહેલી સેબીએ આજદિન સુધી તે વિશે કોઈ રિપોર્ટ રજૂ કર્યો નથી અને ઈડી પણ એકદમ મૌન છે. આ દેશના 50 કરોડથી વધુ ખાતાધારકો પર તોળાઇ રહેલા જોખમની જવાબદારી કોણ લેશે? વિપક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે પ્રખ્યાત ઇડી ક્યારે અદાણીના દરવાજે પહોંચશે?”
વડગામના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, “6 ફેબ્રુઆરીના રોજ, અમે અમદાવાદની રિલીફ રોડ પર આવેલી LICની ઓફિસ સહીત ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરીશું.
આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાતમાં સરકારી ભરતીઓના પરીક્ષા પેપર લીક થવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
અરવલ્લીના ભિલોડા ખાતે પત્રકારોને સંબોધતા જગદીશ ઠાકોરે જણાવ્યું કે, “ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી વધુ સમયથી સત્તામાં છે અને આ સમયગાળા દરમિયાન 40 થી વધુ પેપર લીક થયા છે. ગરીબ વાલીઓ તેમના બાળકોના સારા શિક્ષણ માટે નાણાં ખર્ચી રહ્યા છે ત્યારે કેવી રીતે દરેક વખતે પેપર લીક થાય છે …આ મુદ્દો ઉઠાવવા માટે અમે 7 ફેબ્રુઆરીએ સાબરમતી આશ્રમથી કોચરબ આશ્રમ સુધી હાથ સે હાથ જોડો યાત્રા શરૂ કરીશું. પેપર લીકનો મુદ્દો હો કે LIC – જેમાં ગરીબ લોકો પાસેથી નાણાં ખંખેરવામાં આવે છે, તેનો ઉપયોગ નરેન્દ્ર મોદી સરકાર 4-5 ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે કરે છે. અમે ફેબ્રુઆરીના અંત સુધીમાં 100 જેટલી યાત્રાઓ પૂર્ણ કરવાની યોજના બનાવીએ છીએ,”
ઠાકોરે ઉમેર્યું હતુ કે, “ આ બાબત બહું જ વિચિત્ર છે, જો કોઈ વ્હોટ્સએપ પર નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક શબ્દ પણ લખે છે, તો તે વ્યક્તિને વિશ્વ સ્તરની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પકડી લેવાય છે જ્યારે 40 વખત પેપર લીક કરનારા લોકોને પકડી શકાતા નથી? ભલે વિધાનસભામાં અમારી પાસે ઓછા ધારાસભ્યો છે, પરંતુ અમે ગુજરાત સરકાર પાસે જવાબ માંગવાનું ચાલુ રાખીશું,”