/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/dhordo.jpg)
કચ્છના ધોરડોને (Dhordo) વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું (તસવીર - પીએમ નરેન્દ્ર મોદી એક્સ)
Dhordo Best Tourism Village Awarded : ગુજરાતને વધુ એક સિદ્ધિ મેળવી છે. કચ્છના ધોરડોને (Dhordo) વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ એવોર્ડ ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વ પર્યટન સંગઠન એટલે કે UNWTOએ ઉત્કૃષ્ટ પ્રવાસન ગામ 2023ની જાહેરાત કરી છે. કચ્છનાં સફેદ રણનું ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’એવોર્ડથી ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે. ઉઝબેકિસ્તાનના સમરકંદ ખાતે 19 ઓક્ટોબરના રોજ UNWTOના ઉપક્રમે યોજાયેલી 'બેસ્ટ ટૂરિઝમ વિલેજ-2023' એવોર્ડ સેરેમની કાર્યક્રમ દરમિયાન ભારતમાંથી એકમાત્ર ધોરડોને 'બેસ્ટ ટૂરિઝમ વિલેજ'નો એવોર્ડ આપવામાં આવ્યો છે.
UNWTO દ્વારા 2021થી આ એવોર્ડ એનાયત
યુનાઈટેડ નેશન્સના વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO) દ્વારા વર્ષ 2021થી આ એવોર્ડ એનાયત કરવામા આવે છે. UNWTO વૈશ્વિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રમોટ કરે છે. આ સન્માન એવા ગામોને આપવામાં આવે છે જે ગ્રામીણ વિસ્તારોના વિકાસ અને લેન્ડસ્કેપ્સ, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાનિક મૂલ્યો અને ખાદ્ય પરંપરાઓના જાળવણીમાં અગ્રેસર છે.
UNWTO નામાંકન કરાયેલા ગામોનું મૂલ્યાંકન સાંસ્કૃતિક અને કુદરતી સંસાધનો, સાંસ્કૃતિક સંસાધનોના પ્રમોશન અને સંરક્ષણ, આર્થિક ટકાઉપણું, સામાજિક સ્થિરતા, પર્યાવરણીય ટકાઉપણું, પ્રવાસન સંભવિત અને વિકાસ અને મૂલ્ય શૃંખલા એકીકરણ સહિતના 9 ક્ષેત્રોને આવરી લેતા માપદંડોના આધારે સ્વતંત્ર સલાહકાર બોર્ડ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા
કચ્છના ધોરડોને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનું ગૌરવ સન્માન મળ્યું તેની પ્રસન્નતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે કચ્છના ધોરડોને તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કુદરતી સૌંદર્ય તરીકે ઉજવવામાં આવે છે તે જોઈને એકદમ રોમાંચિત છું. આ સન્માન માત્ર ભારતીય પ્રવાસનની ક્ષમતા જ નહીં પરંતુ ખાસ કરીને કચ્છના લોકોનું સમર્પણ પણ દર્શાવે છે. ધોરડો સતત ચમકતું રહે અને વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષતું રહે એવી લાગણી વ્યક્ત કરી હતી.
Absolutely thrilled to see Dhordo in Kutch being celebrated for its rich cultural heritage and natural beauty. This honour not only showcases the potential of Indian tourism but also the dedication of the people of Kutch in particular.
May Dhordo continue to shine and attract… https://t.co/cWedaTk8LGpic.twitter.com/hfJQrVPg1x— Narendra Modi (@narendramodi) October 20, 2023
આ પ્રસંગે વડાપ્રધાને 2009 અને 2015માં તેમણે લીધેલી ધોરડોની મુલાકાતોની કેટલીક તસવીરો શેર કરી હતી. તેમજ બીજા લોકોને ધોરડોની મુલાકાત લેવા પ્રેરણા મળે તે માટે લોકોને તેમની ધોરડોની જૂની મુલાકાતોની યાદો #AmazingDhordoનો ઉપયોગ કરી શેર કરવા આહવાન કર્યું હતું.
આ પણ વાંચો - PM નરેન્દ્ર મોદીએ કહ્યું- નમો ભારત ટ્રેન ભવિષ્યના ભારતની ઝલક છે, જાણો ભાષણની ખાસ વાતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ સિદ્ધિ બદલ ટ્વિટ કરીને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છના ધોરડોમાં રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે આજે ગુજરાતને અને કચ્છને વૈશ્વિક ટુરિઝમના નકશામાં આગવું સ્થાન મળ્યું છે તે ગુજરાત માટે આનંદની વાત છે.
કચ્છના સફેદ રણનું તેજ સમગ્ર વિશ્વમાં ચમકી ઉઠ્યું છે. વર્લ્ડ ટ્રુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ તરીકેનું સન્માન પ્રાપ્ત થયું એ ગુજરાત અને ભારત માટે અત્યંત ગૌરવની વાત છે. ચાંદનીમાં ખીલેલા સફેદ રણનું આલ્હાદક દ્રશ્ય અને ધોરડોમાં જોવા મળતી ભાતીગળ સંસ્કૃતિનો આનંદ… pic.twitter.com/ZkKDYUowJn
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 20, 2023
તેમણે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પ્રાકૃતિક સ્થળોની જાળવણી, સાંસ્કૃતિક વૈવિધ્યતા, સ્થાનિક મૂલ્યો, ભોજન પરંપરા જેવા વિવિધ માપદંડોને ધ્યાને રાખીને ધોરડોની પસંદગી કરવામાં આવી છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવીને "વસુધૈવ કુટુમ્બકમ"નો મંત્ર સાકાર કરી રહ્યા છે. આ સિદ્ધિ બદલ ગુજરાત પ્રવાસન વિભાગ અને લાખો ગુજરાતીઓને પણ મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ધોરડોના રણોત્સવમાં 2022-23માં અંદાજે 2.42 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા
ધોરડોના રણોત્સવમાં વર્ષ 2022-23માં અંદાજે 2.42 લાખથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા હતા. ગુજરાત સરકારે ધોરડોને વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે સતત કામ કર્યું છે. રાજ્ય સરકાર દર વર્ષે અહીં રણોત્સવનું પણ આયોજન કરે છે જે 4 મહિના સુધી ચાલે છે. રણોત્સવ એ ભારત અને વિદેશના પ્રવાસીઓમાં ખૂબ જ પ્રિય પ્રસંગ છે, જ્યાં વિશ્વભરના લોકો ધોરડો અને તેની આસપાસના કુદરતી સૌંદર્યને વર્ષ 2006થી રેકોર્ડ સ્તરે માણવા આવે છે. એટલું જ નહીં, રણ ઉત્સવ એ ધોરડોની સૌથી વધુ આવક પેદા કરતી આર્થિક પ્રવૃત્તિઓમાંની એક છે.
કચ્છના રણમાં આવેલું ધોરડો એ વિશ્વના સૌથી રસપ્રદ કુદરતી સ્થળોમાંનું એક છે. થાર રણમાં હાજર વિશાળ સોલ્ટ માર્શ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષક દૃશ્ય પ્રદાન કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us