Gujarat Asiatic lions census : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ વર્ષ બાદ થયેલી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. જેમાં ગુજરાતમાં વસવાટ કરતા એશિયાટીક સિંહની વસ્તીમાં વધારો થયો છે. આ સાથે રાજ્યમાં સિંહોના વસવાટ માટેનો વિસ્તારમાં પણ નોંધપાત્ર રીતે વધ્યો છે. ગુજરાતમાં એશિયાટિક સિંહોની વસ્તી વધીને 891 સુધી પહોંચી ગઈ છે.
ગુજરાતમાં સિંહોની વસ્તી અને વિસ્તાર વધ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિંહ વસ્તી ગણતરી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યના ગીર અભ્યારણ્ય અને આસપાસના વિસ્તારોમાં પાંચ વર્ષ બાદ 16મી સિંહ વસ્તી ગણતરી કરવામાં આવી હતી. સિંહ વસ્તી ગણતરીમાં સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈને સિંહની સંખ્યા 891 સુધી પહોંચી ગઈ છે. બીજી તરફ સિંહના વસવાટના વિસ્તારોમાં પણ નોંધ પાત્ર વધારો થયો છે. ગણતરી દરમિયાન સિંહોના વર્તન, વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સરકારે આપેલી માહિતી પ્રમાણે સિંહનો વસવાટ હવે ગીર અભ્યારણ્ય પુરતો સીમીત રહ્યો નથી. સિંહનો વિસ્તાર અભ્યારણ્યના સીમાડા વટાવીને ફેલાતો જાય છે. સિંહો હવે ગીરના પરંપરાગત વિસ્તારમાંથી બહાર નીકળીને નવા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે.
કયા જિલ્લામાં થઈ વસ્તી ગણતરી
સરકારે આપેલા આંકડા પ્રમાણે તાજેતરમાં તા.10 થી 13 મે-2025 દરમિયાન થયેલી 16મી સિંહ વસ્તી ગણતરીમાં અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના 11 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાઈ હતી.
1936થી 2025 સુધી સિંહ ગણતરીના આંકડા
વર્ષ સિંહની સંખ્યા 1936 287 1950 219-279 વચ્ચે 1955 290 1963 285 1968 177 1974 180 1985 204 1990 284 1995 304 2001 327 2005 359 2010 411 2015 519 2020 674 2025 891
આ પણ વાંચોઃ- ગુજરાત સરકાર પ્રથમવાર ધરોઈ ડેમ ખાતે એડવેન્ચર મહોત્સવનું આયોજન કરશે
દરપાંચ વર્ષે થાય છે સિંહ વસ્તી ગણતરી
ગુજરાતના ગીર જંગલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા વિશ્વવિખ્યાત એશિયાટિક સિંહોની વસ્તી ગણતરીનું આયોજન વર્ષ 2025માં થઈ છે. સરકાર દ્વારા દર પાંચ વર્ષે એશિયાટિક સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે.





