અવિનાશ નાયર : અમદાવાદ મેટ્રોની સવારી માર્ચમાં દર મહિને 13.28 લાખ પાર કરવાની સાથે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ ગુરુવારે સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર 12 મિનિટે ટ્રેન દોડાવી દૈનિક ટ્રિપ્સની સંખ્યામાં લગભગ 36 ટકાનો વધારો કર્યો છે.
આ સાથે, દૈનિક ટ્રિપ્સની સંખ્યા વધીને 306 થઈ જશે, જે પહેલાની 227 ટ્રિપ્સ કરતાં લગભગ 36 ટકા વધુ છે. અગાઉ ટ્રેનો પીક અવર્સમાં 15 મિનિટ અને નોન-પીક અવર્સમાં 18 મિનિટના અંતરે દોડતી હતી.
જ્યારે GMRC એ પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ કોરિડોર પર ટ્રિપ્સની વહેંચણી શેર કરી નથી, તેના રાઇડરશિપ ડેટા દર્શાવે છે કે, પ્રવાસીઓનો મોટો હિસ્સો અપૂર્ણ પૂર્વ-પશ્ચિમ કોરિડોરનો ઉપયોગ કરે છે, જે હાલમાં વસ્ત્રાલ ગામને થત્તેજ સાથે જોડે છે. થલતેજ અને થલતેજ ગામ વચ્ચેના આ કોરિડોરનો 1.4 કિમીનો વિસ્તાર હજુ પણ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના તબક્કા 1ના ભાગ રૂપે બનાવવામાં આવી રહ્યો છે.
માર્ચમાં, પૂર્વ-પશ્ચિમ કોરિડોર કુલ રાઇડર્સશિપમાં 72 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં, આ કોરિડોર પર પેસેન્જર ટ્રાફિક અનુક્રમે 77 ટકા અને 75 ટકા હતો.
જાન્યુઆરી અને માર્ચ વચ્ચે, પૂર્વ-પશ્ચિમ કોરિડોર પર રાઇડર્સશિપમાં 13.6 ટકાનો વધારો થયો છે, જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોર પર 49 ટકાનો વધારો થયો છે, જેનો ઉત્તરીય ભાગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ધરાવે છે – IPL મેચોનું સ્થળ. સ્ટેડિયમમાં ચાલી રહેલી IPL મેચોને કારણે મેટ્રો મેચના દિવસોમાં સવારે 1.30 વાગ્યા સુધી ચાલે છે.
અમદાવાદ મેટ્રો, જે ન્યૂનતમ રૂ. 5 અને મહત્તમ રૂ. 25 વન-વે ભાડું વસૂલ કરે છે, જાન્યુઆરી અને માર્ચ વચ્ચે ટિકિટના વેચાણમાંથી તેની આવકમાં 21 ટકાનો વધારો થયો છે. માર્ચમાં, જ્યારે રાઇડર્સશિપ 13.28 લાખને વટાવી ગઈ હતી, ત્યારે મેટ્રો માટે ટિકિટના વેચાણમાંથી કમાણી રૂ. 2.03 કરોડ થઈ હતી.
આ પણ વાંચો – TOEFL ઉમેદવારો માટે સાત નવા પરીક્ષા કેન્દ્રો ખોલશે, આ શહેરમાં પણ પરીક્ષા આપી શકાશે
અમદાવાદ મેટ્રોના પ્રથમ 6.5 કિમીના પ્રથમ તબક્કાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 4 માર્ચ, 2019ના રોજ લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવ્યું હતું, જ્યારે બાકીના ભાગનું ઉદ્ઘાટન 30 સપ્ટેમ્બર, 2022ના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. ઉત્તર-દક્ષિણ કોરિડોર પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગાંધીનગરથી જોડતા પ્રોજેક્ટનો બીજો તબક્કો નિર્માણાધીન છે.