મોરબીની ઝુલતા પુલ દૂર્ઘટનામાં રાજ્ય સરકારે કડક વલણ અપનાવી રહી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમ પરમાર શો-કોઝ નોટિસનો જવાબ નહીં આપે તો નગરપાલિકાને સુપરસીડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે, મોરબી નગરપાલિકાને ઝુલતા પુલ દૂર્ઘટના સંબંધિત શો-કોઝ નોટિસનો પ્રત્યુત્તર 16 ફેબ્રુઆરી સુધીમાં મોકલવાનો આદેશ કરાયો છે. એટલે કે મોરબી નગરપાલિકા પાસે હવે માત્ર બે દિવસ જ બચ્યા છે.
મોરબી નગરપાલિકા પ્રમુખે બુધવારે ખાસ બેઠક બોલાવી
રાજ્ય સરકાર દ્વારા શો-કોઝ નોટિસના પ્રત્યુત્તર તેને શા માટે રદ ન કરવી જોઈએ તેના કારણો રજૂ કરતા પ્રત્યુત્તર જવાબ મોકલવાની અંતિમ તારીખ ગુરુવાર છે, તેવી તાકિદ કર્યાના થોડાક કલાક બાદ મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમ પરમારે સોમવારે મોડી સાંજે એક પરિપત્ર જારી કરીને બુધવારે સિવિક બોડીની વિશેષ સામાન્ય સભાની બેઠક બોલાવી છે.
… તો સરકાર એકપક્ષી નિર્ણય લેશે
રાજ્ય સરકારના તાજેતરના પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો નગરપાલિકા 16 ફેબ્રુઆરી સુધીમાં શો-કોઝ નોટિસનો પ્રત્યુત્તર નહીં આપે, તો સરકાર માની લેશે કે સિવિક બોડી કોઈ રજૂઆત કરવા માંગતી નથી અને સરકાર એકપક્ષીય નિર્ણય લેશે.
મોરબી ઝુલતા પુલ હોનારત સંબંધિત શો-કોઝ નોટિસનો પ્રત્યુત્તર આપવા માટે મોરબી નગરપાલિકાના જનરલ બોર્ડે 23 જાન્યુઆરીના રોજ એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં એવું જણાવ્યું હતું કે, આ શો-કોઝ નોટિસનો જવાબ આપવા માટે જરૂરી મોરબીના હેંગિગ બ્રિજ દૂર્ઘટનાની તપાસ માટે સરકાર દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિંગેશન ટીમે (SIT) દસ્તાવેજો, રેકોર્ડ્સ અને સાહિત્ય જપ્ત કરી લીધા છે.
ઝુલતા પુલ હોનારતમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
30 ઓક્ટોબરના રોજ સાંજે મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઐતિહાસિક પુલ અચાનક તુટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ દુર્ઘટનામાં બ્રિજ પર રહેલા 150થી વધારે લોકોના ડુબી જવાથી કરુણ મોત થયા હતા.
ઓરેવા ગ્રૂપના પ્રમુખ જયસુખ પટેલ જેલ હવાલે
મોરબીના ઐતિહાસિક ઝુલતા પુલના રિપેરિંગ અને મેઇન્ટેનન્સની 15 વર્ષ માટેની જવાબદારી ખાનગી કંપની ઓરેવા ગ્રૂપને 7 માર્ચ, 2022ના રોજ આપવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, મોરબી પોલીસે ઝુલતા પુલ દુર્ઘટનાના ત્રણ મહિના બાદ ચાર્જ શીટ દાખલ કરી છે, જેમાં ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલને મુખ્ય આરોપી ગણાવ્યા છે. 1262 પાનાની આ ચાર્જ શીટમાં કુલ 10 વ્યક્તિઓને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. ધરપકડ થવાની બીકે જયસુખ પટેલે 31 જાન્યુઆરીએ અદાલતમાં આત્મસમર્પણ કર્યું અને હાલ તે જેલમાં છે.