/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/PM-Narendra-Modi-Gujarat.jpg)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે
PM Narendra Modi in Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે બપોરે 2.30 કલાકે તેઓ રાજકોટ પહોંચશે. પ્રધાનમંત્રી મોદી રાજકોટથી સૌરાષ્ટ્ર માટેના 2030 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. તો જોઈએ પીએમ મોદી ગુજરાત પ્રવાસમાં કયા કયા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે અને શું છે તેમનો કાર્યક્રમ.
પીએમ મોદી કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 2.30 કલાકે રાજકોટ ખાતે પહોંચી વિવિધ પ્રોજેક્ટોના લોકાર્પણ બાદ શહેરના રેડકોર્સ મેદાન ખાતે જનસભા સંબોધશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે. પીએમ મોદી ગાંધીનગરમાં કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે. તેઓ બીજા દિવસે 28 જુલાઈએ ગાંધીનગરમાં સિમિકોન ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેશે, અને વિવિધ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ બપોરે 1.30 કલાકે સરકાર અને સંગઠનના મંત્રી કાર્યકરો સાથે ભોજન કરશે.
રાજકોટમાં ગુજરાતના ચોથા ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ
રાજકોટમાં 2534 એકર વિસ્તારમાં ફેલાયેલું મોટું એરપોર્ટ બનાવવામાં આવ્યું છે, જેનો રનવે 3 કિમી લાંબો અને 45 મીટર પહોળો છે, કહેવાય છે કે, કોઈ પણ સમયે 14 જેટલા વિમાનને આ સમાવી શકે છે. આ એરપોર્ટ 1405 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં દર એક કલાકે 2500 જેટલા મુસાફરોનું સંચાલન કરી શકાશે.
સૌની યોજના અંતર્ગત વિકાસ કાર્ય
સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત લાખો લોકોને પીવાનું પાણી અને લાખો ખેડૂતોને સિંચાઈનું પાણી પુરૂ પાડવામાં મદદ મળી છે. આ અંતરગત વધુ 394 કરોડના ખર્ચે વિકાસલક્ષી કાર્યકરવામાં આવ્યું છે, જેમાં ભાદર-1 અને આજી 1 અ ફોફળ 1ના ફિડર વિસ્તરણ થકી હજારો લોકોને પાણી પુરૂ પાડી શકાશે, જેનું મોદી લોકાર્પણ કરશે.
રાજકોટમાં પ્રથમ મલ્ટીલેવલ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ
રાજકોટમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે મહાનગર પાલિકા દ્વારા 234 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ મલ્ટીલેવલ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જેને પગલે લાખો લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે. રાજકોટના કાલાવડ રોડ કે કે વી ચોક ખાતે 1152 મીટર લાંબા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે
અમૃત 1 યોજના અંતર્ગત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ
રાજકોટમાં રૈયાધાર ખાતે 30 કરોડના ખર્ચે 50 મિલિયન ક્ષમતાવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોઠારિયા ખાતે 25 કરોડના ખર્ચે 15 મિલિયનની ક્ષમતાવાળા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
અદ્યતન લાયબ્રેરીનું ઉદ્ધાટન
રાજોકોટ ખાતે 9 કરોડના ખર્ચે એક અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયના લગભગ 33 હજારથી વધુ પુસ્તકો હશે, આ સિવાય બાળકો માટે 1930 રમકડાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us