/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/PM-Narendra-Modi-Gujarat-Visit-Program.jpg)
પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે (ફાઈલ ફોટો - સીઆર પાટીલ ટ્વીટર)
PM Narendra Modi Gujarat Visit Program : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસદમાં મહિલા અનામત બિલ પાસ થતાં મહિલાઓ દ્વારા PM મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. બે દિવસના પ્રવાસમાં PM મોદી ગુજરાતને 5,206 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 10 કલાકે સાયન્સ સીટી ખાતે સફળતાની સમિટ તરીકે વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણીમાં પણ ભાગ લેશે. ત્યારબાદ છોટા ઉદેપુર જિલ્લાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
પીએમ મોદી બુધવારે વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષની ઉજવણીમાં પણ ભાગ લેશે
પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.27 મી સપ્ટેમ્બર, 2023 ના રોજ અમદાવાદના સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે, અને ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કરશે.
તમને જણાવી દઈએ કે, 20 વર્ષ પહેલા, તા.28 મી સપ્ટેમ્બર 2003 ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં પ્રથમવાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત કરવામાં આવી હતી. આજે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ભારત અને વિશ્વમાં પણ સૌથી પ્રમુખ બિઝનેસ સમિટ તરીકે જાણીતી બની છે. આટલા વર્ષોથી વિશ્વભરના રાજ્યોના વડાઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ, થોટ લીડર્સ, શિક્ષણવિદો અને પ્રતિનિધિઓની હાજરી આ સમિટમાં જોવા મળી છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જે દેશના અન્ય રાજ્યો માટે પણ રોલ મોડલ રહી છે, તેણે છેલ્લા બે દાયકાઓમાં રાજ્ય માટે જે પ્રકારની વિકાસ અને વૃદ્ધિ હાંસલ કરી છે તે જોતાં, આ સમિટ આજની તારીખમાં પણ અજોડ અને અદ્વિતીય છે. 2003 માં નાના પાયે શરૂ થયેલી આ સમિટમાં, વર્ષ 2019 માં 135 થી વધુ રાષ્ટ્રોના 42 હજારથી વધુ પ્રતિનિધિઓની જબરદસ્ત ભાગીદારી જોવા મળી હતી.
આજે આ સમિટ સર્વસમાવેશક આર્થિક-સામાજિક વિકાસ માટે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક મંચ તરીકે વિકસિત થઈ છે. સક્રિય નીતિ સંચાલિત અભિગમ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ એટલે કે વેપાર માટેની સરળતા, વેપાર-ધંધા માટે અનુકૂળ વાતાવરણ અને મજબૂત ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓના કારણે ગુજરાત છેલ્લા બે દાયકાઓથી રોકાણ માટે સૌથી વધુ પસંદગીનું સ્થળ છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષોની ઉજવણી કરતા આ કાર્યક્રમમાં રાજદ્વારીઓ, અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ આપતી કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો સહભાગી થશે.
તમને એ પણ જણાવી દઈએ કે, કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું વિઝન અને વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષોને ઉજાગર કરતી એક ઓડિયો-વિઝ્યુઅલ ફિલ્મ એનામોર્ફિક સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. આ ‘વિકસિત ભારત@2047’ના વિઝનને અનુરૂપ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ની 10 મી આવૃત્તિની થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે.
પીએમ મોદી છોટા ઉદેપુર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે
પીએમ મોદી આવતીકાલે છોટાઉદેપુર જિલ્લામાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, સાથે રાજ્યના વિદ્યાર્થીઓ માટે રૂ. 1426 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ્સ અને અન્ય સુવિધાઓ, તથા ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ પણ કરવામાં આવશે.
વિગતે વાત કરીએ તો, આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે રૂ. 5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત rs. 4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવા જઇ રહ્યા છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યો
વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. 4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ યોજના અંતર્ગત રૂ. 1426 કરોડના કામોનું લોકાર્પણ અને રૂ. 3079 કરોડના કામોનું ખાતમુહુર્ત કરવામાં આવશે, જેમાં 9088 નવીન વર્ગખંડો, 50,300 સ્માર્ટ ક્લાસરૂમ્સ, 19,600 કોમ્પ્યુટર લેબ્સ, 12,622 વર્ગખંડોનું અપગ્રેડેશન તેમજ અન્ય શૈક્ષણિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ
આ સિવાય વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરશે. આ માટે રૂ. 60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત, રૂ. 277 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ, રૂ. 251 કરોડના ખર્ચે શહેરી વિકાસ વિભાગ તેમજ રૂ. 80 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. દાહોદ ખાતે રૂ. 23 કરોડના ખર્ચે નવોદય વિદ્યાલય તેમજ રૂ. 10 કરોડના ખર્ચે FM રેડિયો સ્ટુડિયોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આજે પીએમઓએ જણાવ્યું હતું કે, દિવસની શરૂઆતમાં, પીએમ મોદી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા "ભારતભરમાં 46 સ્થળોએ યોજાનાર રોજગાર મેળામાં, વિવિધ સરકારી વિભાગોમાં નવા જોડાયેલા કર્મચારીઓને લગભગ 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કરશે." નવા કર્મચારીઓ પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે.
અમિત શાહ અમૃતસરમાં NZCની બેઠકની અધ્યક્ષતા કરશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમૃતસરમાં ઉત્તરીય ક્ષેત્રીય પરિષદ (NZC) ની બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં પ્રદેશના તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજરી આપે તેવી અપેક્ષા છે. સૂત્રોએ જણાવ્યું કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર SYL (સતલજ યમુના લિંક) કેનાલ અને હરિયાણાની કોલેજોને પંજાબ યુનિવર્સિટી સાથે જોડાણનો મુદ્દો ઉઠાવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us