Pramukh Swami ji Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની આજથી શરૂઆત થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ અને પૂજાપાઠ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના માટે ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું છે.
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં PM મોદીએ પરિભ્રમણ કર્યું
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં PM મોદીએ પરિભ્રમણ કર્યું હતું. પ્રમુખ સ્વામીની મૂર્તિના ચરણોમાં વંદન કર્યું હતું. આ નગરમાં અદભૂત ઝાંખીઓ ઉભી કરાઈ છે જ્યાં આઝાદીના અમૃત મહોત્સવના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. PM મોદીએ પ્રમુખ સ્વામી વંદના પરિસરની પરિક્રમા કરી અને તેમણ વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી હતી. પ્રમુખ સ્વામી મહારાજની દિન ચર્યા વિશેની ઝાંખીનો તેમણે પરિચય મેળવ્યો હતો. તેમજ પ્રમુખ સ્વામી નગરમાં તૈયાર કરાયેલા જ્યોતિ ઉદ્યાન જેવા વિવિધ પ્રતિકૃતિઓ નીહાળી છે. PM મોદીએ પ્રમુખ સ્વામીનગરીમાં તૈયાર કરાયેલી અક્ષરધામ પ્રતિકૃતિની પરિક્રમા કરી હતી. આ પ્રતિકૃતિમાં 48 મૂર્તિ ગણેશજીની છે.
પ્રમુખસ્વામી મહારાજ મારા માટે પિતાતુલ્ય છે – નરેન્દ્ર મોદી
આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાથી, સાક્ષી અને સત્સંગી બનવાનો મોકો મળ્યો એ મારું સદ્ભાગ્ય છે. મેં જેટલો સમય અહીં વિતાવ્યો છે તે દરમિયાન દિવ્યતાની અનુભૂતિ થઈ છે.આ કાર્યક્રમ દિવ્યતાની અનુભૂતિ છે, અહીં ભારતનો રંગ દેખાય છે. PM મોદીએ જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજ મારા પિતાતુલ્ય છે. દુનિયાભરમાંથી લોકો મારા પિતાતુલ્ય પ્રમુખસ્વામીને શ્રદ્ધાજંલિ આપવા માટે આવશે. આ નગરમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના જોવા મળે છે. આપણા સંતોએ વિશ્વને જોડવાનું કાર્ય કર્યું છે.
અમદાવાદ એરપોર્ટ પર પીએમનું સ્વાગત
વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મંત્રી જગદિશ વિશ્વકર્મા અને અમદાવાદના મેયર કિરીટ પરમારે સ્વાગત કર્યુ હતું.
આ પણ વાંચો – PM મોદીએ ગુજરાતમાં રેકોર્ડ જીતનો શ્રેય આ બે નેતાઓને આપ્યો, જાણો ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં શું કહ્યું?
અ
દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે
મહોત્સવ સ્થળે દરરોજ બપોરે 2.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રવિવારે સવારે 9.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ મળશે. રોજ રાત્રે 10.00 વાગ્યે મહોત્સવ સ્થળ બંધ થશે.
બાળકો માટે બાળનગરી
મહોત્સવનું એક વિશિષ્ટ આકર્ષણ એટલે બીએપીએસ બાળનગરી. આ બાળનગરી એટલે બાળકો દ્વારા વિચારાયેલી, બાળકો માટે બનાવાયેલી, બાળકો દ્વારા સંચાલિત એક એવી નગરી કે જ્યાં વિવિધ પ્રસ્તુતિઓ બાળકોને વધુ સારા વ્યક્તિ બનવાની પ્રેરણાથી છલકાવી દેશે. 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિ રત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવી બાળકોને મોજ કરાવશે અને તેમની સુશુપ્ત શક્તિઓ ખીલવવાની પ્રેરણા આપશે.
ગ્લો ગાર્ડન
મહોત્સવ સ્થળે અદભુત રંગબેરંગી ડિઝાઈન તેમજ પ્રેરક સંદેશ સાથે તૈયાર કરવામાં આવેલ પ્રમુખ જ્યોતિ ઉદ્યાન એટલે કે ગ્લો ગાર્ડન 2100 સ્વયંસેવકોની દિવસ-રાતની મહેનતથી અદભુત રીતે સજાવવામાં આવ્યો છે. 10 એકર વિસ્તારમાં ફેલાયેલા આ ગ્લો ગાર્ડનમાં અંદરથી પ્રકાશિત થાય તેવાં, સ્વયંસેવકોએ હાથે બનાવેલાં વિશાળ કદનાં આઠ હજારથી વધુ ફૂલો ઝગમગી ઊઠ્યાં છે. કુલ 2100થી વધુ સ્વયંસેવકોએ છેલ્લાં 6 મહિનાથી વધુ સમય મહેનત કરીને આ ગ્લો ગાર્ડન વિકસાવ્યું છે. ગ્લો ગાર્ડનમાં 150થી વધુ વિવિધ સંદેશાઓ લઈને જાત મહેનતથી રચવામાં આવેલ વિશાળકાય પ્રાણીઓ, પક્ષીઓ વગેરે સૌની આંખોને જકડી રાખશે. ગ્લો ગાર્ડન પ્રકૃતિમાં શ્રદ્ધા, પરમાત્મામાં શ્રદ્ધા, શાસ્ત્રોમાં શ્રદ્ધા, ગુરુમાં શ્રદ્ધા, રાષ્ટ્રમાં શ્રદ્ધા અને વિશ્વમાં શ્રદ્ધા જેવા વિષયોની રચનાત્મક પ્રસ્તુતિ કરે છે.