Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની પૂર્ણાહૂતિ થઇ છે. 14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના માટે ભવ્ય રીતે ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું હતું. એક અંદાજ પ્રમાણે એક મહિનામાં લગભગ લાખો લોકોએ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી હોવાનો અંદાજ છે.
15મી જાન્યુઆરીના દિવસે સમારંભના અંતિમ દિવસે મહંતસ્વામી મહારાજ મોરની આકૃતિ વાળા સિંહાસન પર બેસીને નગરમાં આવ્યા હતા અને હરિભક્તોને દર્શન આપ્યા હતા. પ્રમુખસ્વામી નગરના કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજની વિરાટ મૂર્તિ, દિલ્લી અક્ષરધામની પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી લાખો લોકોને અભિભૂત કર્યાં છે.
14મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહંત સ્વામીના હસ્તે જન્મ શતાબ્દી મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પછી એક મહિના દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા, વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, સ્મૃતિ ઇરાની સહિત ઘણા રાજનેતાએ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી હતી. આ સિવાય વિદેશના પણ ઘણા લોકોએ મુલાકાત લીધી હતી.
15મી જાન્યુઆરીની સવારથી જ સ્વયંસેવકો દ્વારા બ્લોક ઉખેડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બે-ત્રણ દિવસમાં આ કાર્ય પૂર્ણ કરી દેવામાં આવે તેવી શકયતા છે.