/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Rahul-Gandhi-defamation-case.jpg)
રાહુલ ગાંધી માનહાનિ કેસ - સુરત કોર્ટનો ચૂકાદો - રાહુલ ગાંધી દોષિત ઠેરવ્યા (ફોટો - એક્સપ્રેસ)
Rahul Gandhi defamation case : સુરત જિલ્લા અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની કથિત "મોદી અટક (સરનેમ)" ટિપ્પણી બદલ 2019ના ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. થોડી ક્ષણો પછી, કોર્ટે તેમને જામીન આપ્યા, અને 30 દિવસના સમયગાળા માટે તેના આદેશ પર સ્ટે આપ્યો, જેથી કોંગ્રેસ નેતા હાઈકોર્ટમાં અપીલ કરી શકે.
ચુકાદા પછી તરત જ, રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને ટાંક્યા. "મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે, અહિંસા તેને પ્રાપ્ત કરવાનું માધ્યમ છે."
13 એપ્રિલ, 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં લોકસભાની ચૂંટણીની રેલીમાં કરેલી ટિપ્પણી બદલ ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ પર ગાંધી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રેલી દરમિયાન કહ્યું હતું કે, "બધા ચોરો, પછી તે નીરવ મોદી હોય, લલિત મોદી હોય કે નરેન્દ્ર મોદી હોય, શા માટે તેઓના નામમાં મોદી છે."
ગુરુવારે સંસદની બહાર કોર્ટના આદેશ પર પ્રતિક્રિયા આપતા, કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે, કોંગ્રેસ ગાંધીના "વલણ"ને કારણે "પીડિત" થઈ રહી છે. તેમણે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, "રાહુલ ગાંધી જે પણ કહે છે તે હંમેશા કોંગ્રેસ પાર્ટી અને સમગ્ર દેશને નકારાત્મક અસર કરે છે."
શુક્રવારે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માએ માનહાનિના કેસમાં અંતિમ દલીલો સાંભળી હતી.
ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કોર્ટ સમક્ષ અંતિમ દલીલો કરી હતી કે, “અમે આજે રાહુલ ગાંધીને 23 માર્ચે સુરત જિલ્લા કોર્ટમાં હાજર રહેવાનો સંદેશ મોકલીશું. મોટે ભાગે, તે કોર્ટમાં હાજર રહેશે. અમને શનિવારે પુષ્ટિ મળી જશે."
ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 499 અને 500 (બદનક્ષી સાથે વ્યવહાર) હેઠળ દાખલ કરાયેલા કેસમાં તેમનું નિવેદન નોંધવા માટે ગાંધી ઓક્ટોબર 2021માં સુરતની કોર્ટમાં છેલ્લે હાજર થયા હતા.
શું છે સમગ્ર મામલો?
વર્ષ 2019માં, ગુજરાતમાં રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનને લઈને તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, ‘…એવું શું છે કે બધા ચોરોની અટક મોદી છે.’ કર્ણાટકમાં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવતા, ગુજરાત ભાજપના નેતા અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે ફોજદારી માનહાનિની ​​ફરિયાદ નોંધાવી હતી અને કેસ નોંધવામાં આવ્યો હતો. તેમની ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ નિવેદન દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માત્ર કોઈ ખાસ વ્યક્તિની જ નહીં પરંતુ સમગ્ર મોદી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. રાહુલ ગાંધીના આ નિવેદનથી સમાજમાં મોદી સમુદાયના લોકોના સન્માનને ઠેસ પહોંચી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us