Rajkot Gaming Zone Fire : સોમવારે રાજકોટ TRP ગેમિંગ ઝોન ફાયર સાઇટ પરથી મળી આવેલા મૃતદેહમાંથી સાત સળગેલા મૃતદેહોની ઓળખ ડીએનએ સેમ્પલ દ્વારા કરવામાં આવી છે.
શનિવારે લાગેલી આગમાં સાત સગીર સહિત 28 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી એક સિવાય ગુમ થયેલા તમામ લોકોના અવશેષો મળી આવ્યા છે.
અન્યની આજ રાત સુધીમાં ઓળખ થવાની શક્યતા
એક વરિષ્ઠ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી કે, “કેટલાક ડીએનએ નમૂનાઓ આજે (સોમવારે) ઓળખવામાં આવ્યા છે. ડીએનએ પૃથ્થકરણની પ્રક્રિયા ચાલી રહી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, બાકીના નમૂનાઓ શક્ય તેટલી વહેલી તકે, સંભવતઃ આજની રાત સુધીમાં પુષ્ટિ કરવામાં આવશે.”
ઘટનાસ્થળેથી અત્યાર સુધી મળી આવેલા મૃતદેહો એટલા બળી ગયા હતા કે, તેમની ઓળખ કરવી મુશ્કેલ હતી અને તેથી પીડિતોની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
દાઝી ગયેલી ઇજાઓની પ્રકૃતિને કારણે સરકારે ડીએનએ ટેસ્ટીંગ માટે ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ડીએનએ સેમ્પલ મોકલ્યા હતા.
રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, “મૃતદેહ પર વીંટી અને બંગડીઓ જેવા કેટલાક ઓળખ પુરાવા હોવા છતાં, સરકારે વૈજ્ઞાનિક ઓળખ માટે ડીએનએ પૃથ્થકરણ કરવાનું નક્કી કર્યું છે, જેથી મૃતદેહને સોંપવામાં કોઈ ભૂલ ન થાય.” કેટલાક સખત પેશીના નમૂનાઓને ઓળખવામાં લગભગ 36-48 કલાકનો સમય લાગવાનો અંદાજ છે.
સાત લોકોની ઓળખ થઈ
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જે સાત મૃતકોની ઓળખ થઈ છે તેમાં (1) વિશ્વરાજસિંહ જાડેજા, (2) જિગ્નેશ ગઢવી (3) આશાબેન કાથડ (4) ઓમદેવસિંહ ગોહિલ (5) સત્યપાલસિંહ જાડેજા (6) સુનિલભાઈ સિદ્ધપુરા અને સ્મિત વાળાનોસમાવેશ થાય છે. અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાતે મૃતદેહ ઓળખ બાદ તેમના પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવી છે.
આગની તપાસ કરવા અને મંગળવાર સુધીમાં પ્રાથમિક રિપોર્ટ સોંપવા માટે વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. રાજકોટમાં આગની ઘટના બાદ ગુજરાત સરકારે અધિકારીઓને રાજ્યભરના તમામ ગેમિંગ ઝોનમાં તપાસ કરવા આદેશ આપ્યો છે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ગેમિંગ ઝોન બંધ રહેશે.
બાર એસોસિએશન કેસ નહીં લડે
રાજકોટની દુર્ઘટનામાં 28 ના મોત મામલે રાજકોટ બાર એસોસિએશન પણ આરોપીઓને સકતમાં સખત સજા થાય તે માટે પ્રયત્ન કરશે. અને અગ્નિકાંડમાં પાંસ સભ્યો ગુમાવનાર પ્રદિપસિંહ ચૌહાણની સાથે રહી આખી બોડી વકીલાતનામુ રજુ કરશે.
સ્પે સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીને જવાબદારી સોંપાઈ
રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત મામલે રાજ્ય સરકારે સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણીની નિમણૂક કરી છે.
ગુજરાત હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધો
ગુજરાત હાઈકોર્ટમાં પણ આજે રાજકટ અગ્નિકાંડ મામલે સુઓમોટો દાખલ થયા બાદ સુનાવણી થઈ હતી. જેમાં હાઈકોર્ટે સરકાર અને કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. કહ્યું હતુ કે, 28 લોકોના મોત બાદ ખબર પડી કે પરવાનગી નથી લીધી, ચાર વર્ષથી ગેમિંગ ઝોન ચાલતો હતો. શું અંધ હતી, કે સૂઈ રહ્યા હતા. આ મામલે 3 જૂન સુધીમાં દરેક મ્યુનિસિપલ કમિશ્નરે જવાબો રજૂ કરવા જણાવ્યું છે, તો એસઆઈટીને 72 કલાકમાં રિપોર્ટ રજુ કરવાનુ કહ્યું છે. હવે આ મામલે 6 જૂને સુનાવણી થશે.
આ પણ વાંચો – રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ : રમતની મજા વચ્ચે કોના વાંકે નિર્દોષોને મળી મોતની સજા, 25થી વધુ જિંદગી હોમાઈ
કયા અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
રાજકોટ આગ દુર્ઘટના બાદ સીએમ દ્વારા તપાસના આદેશ આપ્યા હતા, જેમાં હાલમાં પ્રથામિક તપાસમાં જવાબદાર 7 જેટલા અધિકારીઓને તત્કાલીન ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના બે અધિકારીઓ (1) મદદનીશ ઈજનેર જયદીપ ચૌધરી, તો (2) ટાઉન પ્લાનર ગૌતમ જોશી, બે પીઆઈ (3) વીઆર પટેલ અને (4) પીઆઈ એનઆર રાઠોડ. તો માર્ગ અને બાંધકામ વિભાગના બે અધિકારીઓ (5) એડિશનલ એન્જિનિયર પારસ કોઠિયા અને (6) ડેપ્યુટી એન્જિનિયર એમઆર સુમાન તથા ફાયર વિભાગના અધિકારી (7) રોહિત વિગોરા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટ અગ્નિકાંડ કેસ : રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી
રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ કાંડના મામલે મોટા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ જા ની વરણી કરાઈ છે. આ પહેલા રાજકોટમાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા.