Rajkot Terrorist Arrest Update : ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ સોમવારે ત્રણ કારીગરોની ધરપકડ કરી હતી, જેઓ મૂળ પશ્ચિમ બંગાળના છે અને રાજકોટમાં જ્વેલરી બનાવવાના ઉદ્યોગમાં કામ કરતા હતા, તેઓની અલ કાયદા સાથે કથિત જોડાણ બદલ ધરપકડ કરવામાં આવી હતી.
ATSએ જણાવ્યું હતું કે ત્રણેય શખ્સોને સોમવારે સવારે રાજકોટમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા અને રાત્રે ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેણે મંગળવારે તેને 14 દિવસની ATS કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
શંકાસ્પદ ત્રણ આતંકવાદી કોણ છે?
અબ્દુલ સુકુર અલી, અમન મલિક અને સૈફ નવાઝ તરીકે ઓળખાતા ત્રણેય વ્યક્તિઓ 20 વર્ષના છે અને અપરિણીત છે. ATSએ જણાવ્યું કે અલી અને નવાઝ બર્ધમાન જિલ્લાના વતની છે, જ્યારે મલિક પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો વતની છે.
આતંકવાદીઓ પાસેથી શું મળ્યું?
ATS અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમના સેલફોનમાં સંગ્રહિત “કટ્ટરવાદી સાહિત્ય” સાથે ત્રણ શખ્સો પાસેથી દેશની બનાવટની સેમી-ઓટોમેટિક પિસ્તોલ, 10 કારતૂસ અને પાંચ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે, મલિક ડિસ્ટ્રિક્ટ ગાર્ડન પાસે રોકાયો હતો, જ્યારે અન્ય લોકો રાજકોટના સોનીબજારમાં આવેલી બે જ્વેલરીની દુકાનોમાં રોકાયા હતા.
ત્રણે આતંકવાદી અલકાયદા અને એક-બીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા?
મીડિયા સાથે વાત કરતા એટીએસના પોલીસ અધિક્ષક (એસપી) ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, ત્રણેય શખ્સો “અલ કાયદા સાથે જોડાયેલા” હતા.
“એક વર્ષથી વધુ સમયથી, અમાન મલિક ટેલિગ્રામ અને કન્વર્સેશન જેવી સોશિયલ મીડિયા એપ્સ દ્વારા વિદેશી હેન્ડલર્સ અબુ તલ્હા અને ફુરસન સાથે સંપર્કમાં હતો અને અલ કાયદા તન્ઝીમ (સંપ્રદાય)માં સામેલ થયો હતો. આ પછી અમન ટેલિગ્રામ દ્વારા કટ્ટરવાદી વિચારધારા ધરાવનાર મુઝમ્મિલ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો. બાદમાં તેને સેમી-ઓટોમેટિક પિસ્તોલ ખરીદવામાં મદદ કરી અને તેને જેહાદમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યો.
“ત્યારબાદ, અમાન તેના પરિચિતો અબ્દુલ સુકુર અલી અને સૈફ નવાઝના સંપર્કમાં આવ્યો, જેઓ સમાન કટ્ટરવાદી માનસિકતા ધરાવતા હતા, અને તેમને અલ કાયદા તનઝીમમાં જોડાવાનું આમંત્રણ આપ્યું અને તેમાં જોડાવા માટે કેટલીક સુવિધા આપી.”
ત્રણેયનો અલકાયદા સાથે શું સંબંધ છે, તેનો ખુલાસો જાહેર કરવાનો ઇનકાર કરતા, એસપીએ કહ્યું કે, અબુ તલ્હા બાંગ્લાદેશમાં સ્થિત હોવાનું માનવામાં આવે છે. જો કે, તેમણે ઉમેર્યું હતું કે, અબુ તલ્હા અને ફરસાન મલિકના આકાઓના સાચા નામ ન હોઈ શકે.
જાટે જણાવ્યું હતું કે, “જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ (JMB) અને અંસારુલ્લા બાંગ્લા ટીમ, અન્ય લોકો સિવાય, અલ કાયદાના બાંગ્લાદેશી સહયોગી છે. જો કે, આ તબક્કે, ત્રણેય કઇ સંસ્થામાંથી કામ કરતા હતા તે અમે હાલ જાહેર કરી શકતા નથી, કારણ કે તેમની પાસેથી મળી આવેલી સામગ્રીનું ફોરેન્સિક પૃથ્થકરણ હજુ ચાલુ છે.” JMB એ બાંગ્લાદેશ અને ભારત સહિતના દેશોમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન છે.
રાજકોટ ભારતમાં જ્વેલરી-ઉત્પાદન ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળથી હજારો કારીગરો આ ઉદ્યોગમાં કામ કરે છે. જાટે કહ્યું, “અમન એક વર્ષથી રાજકોટમાં કામ કરતો હતો, જ્યારે અબ્દુલ સુકુર અને સૈફ સાત-આઠ મહિના પહેલા જ રાજકોટ આવ્યા હતા.”
આતંકીઓ અલકાયદા માટે શું કામ કરતા હતા?
તેમણે વધુમાં ઉમેર્યું, “આતંકીઓએ હથિયારોના ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તેના હેન્ડલર્સ પાસેથી સૂચનાઓ પ્રાપ્ત કરવાની હતી, અમે તેમની Google સર્ચ હિસ્ટ્રી જોઈ, તેમાં જાણવા મળ્યું કે, તેણે AK-47 રાઇફલ અને ગ્લોક (પિસ્તોલ) જેવા ઓટોમેટિક ફાયરઆર્મ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણકારી-ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી.” અહીં ત્રણેયનું પ્રાથમિક કામ કટ્ટરપંથી વિચારધારા ધરાવતા લોકોની ઓળખ કરવાનું અને તેમને અલ કાયદામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનું હતું.
કયા ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી?
ATSએ જણાવ્યું હતું કે, આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા અને આર્મ્સ એક્ટની કલમ 121A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, કારણ કે તેમની પાસે માન્ય હથિયારનું લાઇસન્સ ન હતું.
જ્યારે IPC ની કલમ 121 યુદ્ધ છેડવા અથવા લડાવવાનો પ્રયાસ કરવા અથવા કેન્દ્ર સરકાર સામે યુદ્ધ છેડવા માટે ઉત્તેજન આપવા માટે મૃત્યુ દંડની જોગવાઈ કરે છે, કલમ 121A 10 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ કરે છે.
આ પણ વાંચો – ગુજરાત એટીએસને વધુ એક સફળતા : રાજકોટથી ત્રણ શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
એટીએસ હવે શું કરશે?
ગુજરાત એટીએસે શંકાસ્પદ આતંકવાદીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ માંગ્યા હતા, હવે એટીએસ ત્રણે આતંકવાદીઓ અન્ય કોના કોના સંપર્કમાં હતા? તેમની સાથે ગુજરાતમાં અન્ય કોણ લોકો સામેલ છે? રાજકોટ સિવાય સૌરાષ્ટ્ર? ગુજરાતમાં તેમનો ટાર્ગેટ શું હતો? હથિયાર કેવી રીતે મેળવ્યું? તેમને ફંડીંગ કેવી રીતે અને કોણ કરતું હતું? જેવા અનેક મામલે તપાસ કરવામાં આવશે, જેને પગલે વધુ ધરપકડ થવાની સંભાવના છે.





