ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષે ‘નો રિપિટ’ થિયરી અપનાવતા ચૂંટણી લડવા માટે ઉત્સુક મોટાભાગના નેતાઓની ટિકિટ કપાતા અંદરખાને ઉગ્ર રોષ દેખાઇ રહ્યો છે. ટિકિટ કપાતા ભાજપના ઘણા નેતાઓ નારાજ થયા છે અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તૈયારી કરી છે. આવા 7 ઉમેદવારોએ બળવો પોકારીને ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરફથી ફોર્મ ભરીને ભાજપ સામે જ મુશ્કેલીઓ ઉભી કરી છે.
અપક્ષ ચૂંટણી લડનાર ભાજપના આવા 7 બળવાખોર ઉમેદવારોમાં વડોદરાની વાઘોડિયા બેઠકના દંબગ ધારાસભ્ય તરીકે જાણીતા મધુ શ્રીવાસ્તવ, નાંદોદના હર્ષદ વસાવા, કેશોદના અરવિંદ લાડાણી, પાદરા બેઠકના દિનેશ પટેલ, બાયડના ધવલસિંહ ઝાલા, મહીસાગરના જયપ્રકાશ પટેલ અને ધાનેરા બેઠકના માવજી દેસાઇનો સમાવેશ થાય છે.
મધુ શ્રીવાસ્તવ (વાઘોડિયા)
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે તેના જ સભ્ય મઘુ શ્રીવાસ્તવ મોટી મુશ્કેલી બન્યા છે. મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે વડોદરાની વાઘોડિયા બેઠક પર ચૂંટણી કરવાની તૈયારી કરી દીધી છે. મઘુ શ્રીવાસ્તવની ઓળખ દબંગ ધારાસભ્ય તરીકેની છે. તેઓ વર્ષ 1995થી ચૂંટણી લડી રહ્યા છે અને જીતી રહ્યા છે. તેઓ સાતમી વખત વિધાનસભાની ચૂંટણી લડવા માટે અતિ ઉત્સાહી હતા જો કે ભાજપે ટિકિટ ન આપતા તેમની આ આશા પર પાણી ફરી વળ્યુ છે.

ભાજપે આ વખતે વાઘોડિયા બેઠક પર જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છે. વાઘોડિયા બેઠક પર ટિકિટ કપાયાના અહેવાલની સાથે જ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દબંગાઇ પર ઉતરી આવ્યા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના સંકેત આપ્યા હતા. આ બળવાખોર દબંગ ધારાસભ્યને મનાવવામાં પણ સીઆર પાટીલ નિષ્ફળ રહ્યા છે.
અરવિંદ લાડાણી (કેશોદ)

જૂનાગઢની કેશોદ વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવારનો જંગ તેના જ પૂર્વ સભ્ય અરવિંદ લાડાણી સાથે થશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા અરવિંદ લાડાણી પક્ષમાંથી રાજીનામું આપીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. તેઓ પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી કડવા પાટીદાર સમાજના આગેવાન ગણાય છે તેમણે અપક્ષ ઉમેદવાર તરીક ફોર્મ ભરતા ભાજપને ત્યાં મોટો ફટકો પડવાની આશંકા છે. આ વખતે ભાજપે કેશોદમાં દેવાભાઇ માલમને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
જયપ્રકાશ પટેલ (લુણાવાડા)

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ભાજપના જ અન્ય એક નેતા જયપ્રકાશ પટેલ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડશે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી રોષે ભરાયેલા ભાજપના સભ્ય જયપ્રકાશ પટેલે પણ પોતાના જ પક્ષ સામે મોરચો માંડ્યો છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ફરવાની સાથે જ તેમણે ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપ્યુ છે. જયપ્રકાશ પટેલ અગાઉ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અને મહીસાગર જિલ્લાના ભાજપ પ્રમુખ રહી ચૂક્યા છે. આ વખતે તેમણે વિધાનસભા ઇલેક્શનમાં ચૂંટણી લડવા ટિકિટ માંગી હતી જો કે ભાજપે હાલના ધારાસભ્ય જીજ્ઞેશ સેવકને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. નોંધનિય છે કે, જયપ્રકાશ પટેલ વર્ષ 2007માં સંતરામપુર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી હારી ગયા હતા.
દિનેશ પટેલ (પાદરા)
વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે જ મોરચો માંડનાર પક્ષના નેતાઓમાં દિનેશ પટેલનો સમાવેશ થાય છે. વડોદરાની પાદરા બેઠક પર ભાજપના જ સભ્ય દિનેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી શાસકપક્ષ સામે મુ્શ્કેલી ઉભી કરી છે. તેઓ વર્ષ 1998થી પાદરા ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે જોકે તેમાં માત્ર બે જ વખત- પ્રથમવાર વર્ષ 2007માં અને બીજી વાર 2012માં ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2017ની ચૂંટણીમાં હારી ગયા હતા. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પાદર બેઠક પર ત્યાંની નગર પાલિકાના અધ્યક્ષ ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપતા દિનેશ પટેલ નારાજ થયા છે અને હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની સાથે જ તેમણે ભાજપ માંથી રાજીનામું આપી દીધુ છે. પાદરમાં દિનેશ પટેલની સામે ભાજપના ભાજપ ચૈતન્યસિંહ ઝાલા, કોંગ્રેસના જશપાલસિંહ પઢિયાર છે.
ધવલસિંહ ઝાલા (બાયડ)
બાયડની વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો સામનો તેમના જ સભ્ય ધવલસિંહ ઝાલા સાથે થશે. ટિકિટ ન મળતા ધવલસિંહ ઝાલાએ બાયડ બેઠક પર ચૂંટણી લડવા અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ભર્યુ છે. ભાજપે આ વખતે બાયડ બેઠક પર ભીખીબેન પરમારને ટિકિટ આપી છે.

નોધનિય છે કે, ધવલસિંહ ઝાલાએ વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બાયડ બેઠક પર ચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ત્યારબાદ વર્ષ 2019માં અલ્પેશ ઠાકોર સાથે રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યુ હતુ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા.
માવજી દેસાઇ (ધાનેરા)

ભાજપે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક પર કટ્ટર હરિફાઇનો સામનો કરવો પડશે. ભાજપે ટિકિટ ન આપતા માવજી દેસાઇએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. તેઓ રબારી સમાજના મોટા આગેવાન મનાય છે અને આ વખતે ચૂંટણીમાં ટિકિટ કપાતા આ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યા છે. વર્ષ 2071માં માવજી દેસાઇએ ભાજપ તરફથી ચૂંટણી લડી હતી જો કે 2000 મતોથી હારી ગયા હતા. આ વખતે ભાજપે ધાનેરા બેઠક પર માર્કેટયાર્ડના ચેરમેન અને કમિટી મેમ્બરના સભ્ય ભગવાન પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
હર્ષદ વસાવા (નાંદોદ)

નર્મદા જિલ્લામાં નાંદોદ બેઠક પર હર્ષદ વસાવાએ વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ફરીને પોતાના પક્ષ ભાજપ સામે જ મોરચો માંડ્યો છે. ભાજપે આ વખતે નાંદોદ બેઠક પર ડોક્ટર દર્શના દેશમુખને ટિકિટ આપતા હર્ષદ વસાલા નારાજ થયા છે. અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઝંપલાવતા તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યુ છે. હર્ષદ વસાવા વર્ષ 2017માં કોંગ્રેસના પીડી વસાવા સામે ચૂંટણીમાં હારી ગયા હતા.
બળવાખોરોને મનાવવામાં પાટીલ નિષ્ફળ
ભાજપે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં નો-રિપિટ થિયરી પર ભાર મૂક્યો છે જેના કારણે હાલના ધારાસભ્ય અને ટિકિટ મળશે તેવી પ્રબળ ઇચ્છા રાખનાર નેતાઓને પડતા મૂકાતા પક્ષમાં અંદરખાને ભડકો થયો છે. ટિકિટ કપાતા ભાજપના ઘણા નેતાઓ નારાજ થયા છે અને તેમાંથી ઘણા નેતાઓએ ખુલ્લેઆમ પોતાનો વિરોધ દર્શાવીને અપક્ષ ઉમેદવાર તરીક ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ચૂંટણીમાં નારાજ ઉમેદવારોને મનાવવાની અને ડેમેજ કન્ટ્રોલને રોકવાની જવાબદારી ભાજપના મોટા નેતાઓને સોંપવામાં આવી હતી જો કે તેઓ સ્પષ્ટપણે નિષ્ફળ રહ્યા હોવાનું દેખાય છે. આવા બળવાખોર નેતાઓને મનાવવામાં સીઆર પાટીલ પણ નિષ્ફળ રહ્યા છે. સીઆર પાટીલે આવા બળવાખોર નેતાઓ જો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે તો તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરાશે તેવી ચીમકી આપી હતી. આ ધમકીથી ડર્યા વગર અને દબાણમાં આવ્યા વગર આ ચૂંટણીમાં ભાજપના આ 7 નેતાઓએ પોતાના જ પક્ષ સામે મોરચો માંડ્યો છે. હવે તેઓ જીતશે કે હારશે તે આગામી સમયમાં જોવાનું રહ્યું.





