Surendranagar Accident : સુરેન્દ્રનગર જિલ્લાથી એક રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે માલવણથી ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, કારમાં સવાર ત્રણ યુવાનોના મોત થયા છે. પોલીસે મામલો હાથ પર લઈ યુવાનોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના માલવણથી ધ્રાંગધ્રા રોડ પર વહેલી સવારે કાર એક ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે, કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા છે. જ્યારે કારમાં સવાર બે લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે.
ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. સ્થાનિકોની મદદથી કારમાં સવાર યુવાનોને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસ અનુસાર, બે લોકોના સ્થળ પર જ મોત થયા હતા, જ્યારે એકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ અકસ્માત માલવણથી પાંચ સાત કિમી દુર અદાણી સીએનજી પેટ્રોલ પંપ નજીક સર્જાયો હતો.
પોલીસે મીડિયાને જણાવ્યું કે, ત્રણ યુવાનોના નામ સહિતની ઓળખ કરવામાં આવી છે, જેમાં (1) જાવેદખાન ખેરવા, હજરતશા ખેરવા અને વસીમખાન ગેડિયા હોવાનું સામે આવ્યું છે, હાલમાં ત્રણના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે, પરિવારને જાણ કરવાની તજવીજ સહિત અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો – જસદણ ચોટિલા રોડ અકસ્માત : બાખલવડ પાસે કાર ચાલકે બાઈકને ફંગોળ્યું, બે માસૂમ બાળકી સહિત 3 ના મોત
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ શંખેશ્વર નજીક કાર અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં આગ લાગી જતા બે લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. તો 13 માર્ચે જસદણ ચોટિલા રોડ પર કાર ચાલકે બાઈક ચાલકને ફંગોળ્યા હતા. જેમાં મામા અને બે માસૂમ ભાણી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ સિવાય શુક્રવારે અમદાવાદના શિવરંજનીમાં એક કાર ચાલકે એક્ટિવા પર સવાર યુવતીને ઢસડી હતી, જેમાં યુવતી ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં જવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.





