Today Gujarat Latest News, 24th June 2024 : ગુજરાતના આજના લેટેસ્ટ સમાચાર વિશે વાત કરીએ તો, રાજ્યમાં સૌરાષ્ટ્ર, 0ક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત ઉતતર ગુજરાતના કેટલાક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, તો આ બાજુ અમરેલીના ખાંભામાં ગઈકાલે ઈલેક્ટ્રીક શોક લાગતા એક જ પરિવારના ત્રણ યુવકોના મોત થયા છે તો ઉત્તર ગુજરાતને સરકારે બે બ્રિજ નવા બનાવવાની મંજૂરી આપી મોટી ભેટ આપી છે. આ બાજુ રાજુલાના રામપરા ગામમાં સિંહના ટોળાએ આતંક મચાવતા ગ્રામજનો વન વિભાગના શરણે પહોંચ્યા છે. તો NEET પરીક્ષા પેપર લીકની તપાસ ગુજરાતના પંચમહાલ સુધી પહોંચતા સીબીઆઈ ટીમ ગોધરા પહોંચી છે. તો કરીએ આજના આવા લેટેસ્ટ સમાચાર પર એક નજર
ગુજરાતમાં આજે ક્યાં કેટલો વરસાદ
સૌપ્રથમ વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં આજ સવારથી મેઘરાજાએ રાજ્યના અનેક તાલુકાઓમાં મેઘ મહેર કરી છે. જો સવાર 6 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના વરસાદના ડેટા પર નજર કરીએ તો, સૌથી વધુ જામનગરના લાલપુરમાં વરસાદ નોંધાયો છે. જામનગરના લાલપુરમાં 65 મીમી, તો સુરતના ઓલપાડમાં 47 મીમી, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 42 મીમી, વલસાડ શહેરમાં 37 મીમી, ભાનવડમાં 36 મીમી, છોટા ઉદેપુરના સંખેડામાં 34 મીમી, વડોદરાના કરજણમાં 33 મીમી, ભરૂચના નેત્રંગમાં 30 મીમી, નર્મદાના નાંદોદમાં 28 મીમી, પંચમહાલના હાલોલમાં 26 મીમી, વડોદરાના ડબોઈમાં 25 મીમી, ભરૂચના અંકલેશ્વરમાં 24 મીમી, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 23 મીમી, વડોદરાના વાઘોડિયામાં 23 મીમી, તો પંચમહાલના જાંબુઘોડા, નર્મદાના તિલકવાડા અને ભરૂચના વાઘરામાં 22 મીમી વરસાદ નોંધાયો છે.

ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતમાં બે બ્રિજને મંજૂરી આપી
ગુજરાત સરકારે ઉત્તર ગુજરાતમાં બે બ્રિજ બનાવવાને લઈ મંજૂરી આપતા સ્થાનિકોને મોટી ભેટ મળી છે. સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે રૂ. 399 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં રાધનપુર-ચાણસ્મા રોડ – સ્ટેટ હાઇવે-55 ઉપર રાધનપુર નજીક બનાસ નદી ઉપર રૂ. 179 કરોડના અંદાજિત ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવા તેમણે સૈદ્ધાંતિક અનુમતિ આપી. તો આ અંતર્ગત મહેસાણા-હિંમતનગર ફોર લેન સ્ટેટ હાઇવે-55 ઉપર સાબરમતી નદી પર દેરોલ ખાતે રૂ. 220 કરોડના અંદાજિત ખર્ચે નવા સિક્સલેન બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવશે.

અમદાવાદ : બોઈલર બ્લાસ્ટ, બે ના મોત
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઓડવના અરિહંત એસ્ટેટમાં બોઈલર બ્લાસ્ટ થતા સ્થળ પર જ બે લોકોના મોત થયા છે. તો એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. બોઈલર બ્લાસ્ટ બાદ આગ લાગતા ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તો મૃતક અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીને ઈ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. પોલીસે તત્કાલીક સાવચેતીના ભાગરૂપે તપાસ શરૂ કરી દીધી હતી. સાથે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

અમરેલીના રાજુલા માં સિંહનો આતંક
આ બાજુ અમરેલીના રાજુલાના રામપરા 2 ગામમાં સિંહ નો આતંક જોવા મળ્યો છે. ગામમાં છેલ્લા 10-15 દિવસથી સિંહના ટોળા ગામમાં પ્રવેશી ઢોરને શિકાર બનાવી આતંક મચાવી રહ્યું છે. ગ્રામજનોએ આ મામલે વન વિભાગને પત્ર લખી મદદ માંગી છે. તો તમને જણાવી દઈએ કે, સિંહના ટોળાઓનો ગામની શેરીઓમાં ફરતો વીડિયો પણ વાયરલ થયો છે. ગામના સરપંચ સહિતના સ્થાનિકોએ સિંહ ગામમાં પ્રવેશવાને લઈ વન વિભાગની ઘોર નિષ્ક્રિયતા ગણાવી છે. શિકારની શોધમાં ગામમાં સિંહ ઘુસી આવે છે, સ્થાનિકો કહે છે કે, રાત્રે તો શ્વાન કરતા સિંહના આંટાફેરા વધી ગયા હોવાનું જણાવી રહ્યા છે. ગત રાત્રે બે મારણ કરી મેજબાની માણી.

અમરેલી : ઈલેક્ટ્રીક શોક થી એક જ પરિવારના ત્રણ યુવકના મોત
આ બાજુ અમરેલીના ખાંભાના હનુમાનપુર ગામે ગઈ કાલે ઈલેક્ટ્રીક શોક લાગતા ત્રણ યુવકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક જ પરિવારના બે સગા ભાઈ અને એક ભત્રીજાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નવા મકાનનો સ્લેબ ભરાતો હતો તે સમયે અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત થયા છે. મૃતકોમાં પથુભાઈ જીલુભાઈ બોરિયા, માનકુભાઈ જીલુભાઈ બોરિયા અને ભવદીપભાઈ બબાભાઈ બોરિયાનો સમાવેશ થાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાય લંપટ સાધુ વિવાદ યથાવત
ગઢડા સ્વામિનારાયણ મંદિર : હરિ ભક્તોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું : સ્વામિ નારાયણ સંપ્રદાયના હરિભક્તો લંપટ સાધુના વિરોધમાં આક્રમક બન્યા છે. તેમણે અધિક કલેક્ટરને આજે આવેદનપત્ર આપ્યું હતુ આ સિવાય ગઢડા પોલીસ સ્ટેશનમાં હરિભક્તો સામે નોંધાયેલ ફરિયાદ પરત ખેંચવા માંગ કરી છે. હરિભક્તોએ ચીમકી આપી છે કે, જો ફરિયાદ પાછી નહીં ખેચાય તો ગઢડા ખાતે મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચશે અને વિરોધ નોંધાવશે. આ સિવાય લંપટ સાધુને તત્કાલિક સંપ્રદાયમાંથી દૂર કરાવની માંગ કરી છે.

NEET પરીક્ષા પેપર લીક મામલો: સીબીઆઈ ટીમ ગોધરા પહોંચી
નીટ પરીક્ષા પેપર લીક મામલો : નીટ પરીક્ષા પેપર લીક અને પરીક્ષા ચોરી મામલે તપાસના તાર ગુજરાત પહોંચ્યા છે. સીબીઆઇની ટીમ ગુજરાતના પંચમહાલના ગોધરા પહોંચી છે. તમને જણાવી દઈએ કે, નીટ ની પરીક્ષામાં ચોરી કરાવવા ના ષડયંત્ર મામલે નોંધાયેલી ફરિયાદ ની વધુ તપાસ સીબીઆઇ ને સોંપવામાં આવી છે, જેને પગલે સીબીઆઇના પાંચ થી વધુ કર્મચારીઓ ની ટીમ ગોધરા સર્કિટ હાઉસ પહોંચી છે. હવે સીબીઆઇ દ્વારા સમગ્ર મામલે ગોધરા પોલીસ પાસેથી અત્યાર સુધીની તમામ તપાસના રિપોર્ટ મેળવી વધુ તપાસ હાથ ધરાશે.

નવસારી : નકલી ઘી બનાવતી ફેક્ટરીમાં દરોડા
નવસારી ભેળસેળ ઘી ના કારખાનામાં દરોડા : નવસારીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ભેળસેળ વાળુ ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં તંત્ર દ્વારા મે. શિવ ફૂડ પ્રોડક્ટ્સ, નવસારી ખાતે થી ભેળસેળ વાળા ઘી ના કુલ ૮ નમુના લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તપાસ માં પેઢી દ્વારા ઘી માં પામોલિન તેલ ની ભેળસેળ કરતા હોવાનું જાણવા મળેલ છે. ઘી નો અને પામોલીન તેલ નો આશરે 3000 કિગ્રા જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જેની અંદાજીત કિંમત રૂ. 14 લાખ થતી હોવાનું કહેવામાં આવે છે.






