Valsad Humsafar Express train fire : વલસાડ રેલવે સ્ટેશન નજીક હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં એન્જિન નજીકના બે ડબ્બામાં અચાનક આગ લાગી હતી. રેલવે તંત્ર દ્વારા સમયસૂચકતાથી ટ્રેન રોકી દઈ મુસાફરોને સહિસલામત બહાર કાઢવામાં આવ્યા, અને તંત્ર દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે વલસાડ રેલવે સ્ટેશન નજીક છીપવાડ ગરનાળા પાસે હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન પહોંચી હતી તેજ સમયે અચાનક એન્જિન નજીક જનરેટર ડબ્બામાં અચાનક આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી, પાછળના બી1 ડબ્બાને પણ આગની લપેટમાં લઈ લીધો. જોકે, રેલવે તંત્રની સમય સૂચકતાથી ટ્રેનને રોકી મુસાફરોને સહિસલામત બહાર કાઢી લેવામાં આવતા જાનહાની ટળી હતી.
રેલવે સૂત્રો અનુસાર, હમસફર એક્સપ્રેસ ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન નજીક હતી ત્યારે જ એન્જિનની પાછળ જનરેટર કોચમાં આગ લાગી હતી, તુરંત ટ્રેન ઉભી કરી, પાછળ બી1 ડબ્બામાં બેઠેલા પેસેન્જર અને અન્ય પેસેન્જરોને બહાર ઉતારવામાં આવ્યા હતા. આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, અને પાછળના બી1 કોચને પણ આગની લપેટમાં લઈ લીધો.
તંત્રએ ફાયર વિભાગને જાણ કરતા, નગરપાલિકા સહિતની ચાર ફાયર ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનશીબે કોઈ જાનહાની થઈ નથી. ફાયર વિભાગે દોઢ કલાકની મહેનતથી આગ પર કાબુ મેળવ્યો, હાલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, અઠવાડીયા પહેલા દાહોદ નજીક જેકોટ રેલવે સ્ટેશન નજીક મેમુ ટ્રોનમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. કોઈ જાનહાની થઈ ન હતી. તંત્રની સમયસૂચકતાથી એક ડબ્બામાં ધુમાડો નીકળતા જ મુસાફરોને સહિસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.





