/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/drinking-coconut-water-is-safe-or-not-for-Diabetitic-patients.jpg)
ડાયાબિટીસના દર્દીએ નાળિયેર પાણીનું સેવન કરવું જોઈએ? કેટલી માત્રામાં?
ડાયાબિટીસ (Diabetes) ના દર્દીઓ માટે આહાર અને પીણાંનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણીવાર તેઓ મૂંઝવણમાં હોય છે કે કયા પીણાં તેમના માટે ફાયદાકારક છે અને કયા નહીં. નાળિયેર પાણી એક કુદરતી અને તાજગીભર્યું પીણું છે, અને તેના સ્વાસ્થ્ય લાભો જાણીતા છે. પરંતુ શું તે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય છે? અહીં જાણો
નાળિયેર પાણીના ફાયદા (Coconut Water Benefits In Gujarati)
નાળિયેર પાણી અનેક પોષક તત્વોથી ભરપૂર છે, જેમ કે પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, અને આયર્ન. તેમાં ઓછી કેલરી, ઝીરો ફેટ અને કોલેસ્ટ્રોલ હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફાયદા છે.
- બ્લડ સુગર કંટ્રોલ: કેટલાક અભ્યાસો સૂચવે છે કે નાળિયેર પાણી ઇન્સ્યુલિન પ્રતિકાર સુધારીને ડાયાબિટીસના દર્દીઓને મદદ કરી શકે છે. તેમાં મેગ્નેશિયમ હોય છે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરવામાં મદદ કરે છે. જોકે તેમાં કુદરતી ખાંડ હોય છે, પરંતુ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે (55 થી ઓછો), તેથી તે બ્લડ સુગરમાં અચાનક ઉછાળો લાવતું નથી.
- હાઇડ્રેશન: ડાયાબિટીસના દર્દીઓમાં ડિહાઇડ્રેશનની સમસ્યા સામાન્ય હોય છે. નાળિયેર પાણી શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે.
- પોષક તત્વોનો સ્ત્રોત: તે ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરમાં પ્રવાહીનું સ્તર જાળવવામાં મદદ કરે છે.
- પાચન સુધારે: નાળિયેર પાણીમાં ફાઇબર પણ હોય છે, જે પાચન સંબંધિત સમસ્યાઓ જેવી કે પેટ ફૂલવું, અપચો અને એસિડિટીને અટકાવવામાં મદદ કરે છે.
- કિડની સ્વાસ્થ્ય: કેટલાક અહેવાલો મુજબ, નાળિયેર પાણી કિડનીમાં પથરી બનતી અટકાવવામાં પણ મદદ કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીએ નાળિયેર પાણીનું સેવન કેટલી માત્રામાં કરવું?
ડાયાબિટીસના દર્દીઓ નાળિયેર પાણી પી શકે છે, તેમાં નેચરલ સુગર હોવાથી વધુ પડતું સેવન બ્લડ સુગર લેવલને અસર કરી શકે છે. નિષ્ણાતો સામાન્ય રીતે દિવસમાં એક ગ્લાસ (લગભગ 200-250 મિલી) નાળિયેર પાણી પીવાની ભલામણ કરે છે. જોકે દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ હોય છે, તેથી તમારા ડૉક્ટર અથવા આહાર નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ તમારી બ્લડ સુગરના સ્તર, દવાઓ અને એકંદર સ્વાસ્થ્યના આધારે યોગ્ય માત્રા સૂચવી શકશે.
દરરોજ સવારે નારિયેળ પાણી ખાલી પેટ પીવાથી શરીર પર શું અસર થાય?
કોણે સાવચેતી રાખવી જોઈએ?
- કિડનીની સમસ્યા: જો તમને કિડની સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા પોટેશિયમ ઘટાડતી દવાઓ લેતા હો, તો નાળિયેર પાણી પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે અને તે શરીરમાં પોટેશિયમનું સ્તર વધારી શકે છે.
- લો બ્લડ પ્રેશર : નાળિયેર પાણી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે પહેલાથી જ લો બ્લડ પ્રેશરની દવા લેતા હો, તો તે બ્લડ પ્રેશરને વધુ ઘટાડી શકે છે, જેનાથી ચક્કર આવવા અથવા નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
- પાચન સમસ્યાઓ: કેટલાક લોકોને નાળિયેર પાણી પીધા પછી પેટમાં ખેંચાણ અથવા ઝાડા જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us