/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Munnar-Best-Tourist-Places-.jpg)
મુન્નારને કેરળનું સ્વર્ગ કહેવાય છે.
Best Tourist Places At Munnar In Kerala : કેરળના મુન્નરને દક્ષિણ ભારતનું કાશ્મિર કહેવામાં આવે છે. કેરળ ભારતના દક્ષિણ ભાગમાં દરિયા કિનારે આવેલું સુંદર રાજ્ય છે. કેરળમાં સુંદર દરિયો, ઉંચા પર્વત, નદી - ધોધ અને ભરપૂર કુદરતી સોંદર્ય ધરાવે છે, જેને જોવા દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. મુન્નરને ભગવાનનું ધામ પણ કહેવાય છે. અહીં આવનાર લોકોને અદભૂત આનંદ અને શાંતિની અનુભૂતિ થાય છે.
મુન્નર ત્રણ પર્વતોનો સંગમ
મુન્નર મુથિરાપુઝા, નલ્લથન્ની અને કુંડલા - ત્રણ પર્વતોની હારમાળાના સંગમથી મુન્નાર રચાયેલું છે. સમુદ્રની સપાટીથી 1600 મીટરની ઉંચાઇએ પર સ્થિત આ હિલ સ્ટેશન દક્ષિણ ભારતમાં ભૂતકાળમાં બ્રિટિશ સરકારનું એક સમયનું સમર રીસોર્ટ હતું. વિશાળ ચાના બગીચા, મનોરમ્ય શહેરો, પહોળા રસ્તા અને હોલિડેની સુવિધાઓ મુન્નરને લોકપ્રિય રીસોર્ટ સિટી બનાવે છે.
અહીં જંગલો અને ઘાસના મેદાનોમાં મળી આવતી એક્સોટિક વનસ્પતિ પૈકી એક નીલકુરિંજી છે. આ ફૂલ દર બાર વર્ષે એક વાર નીલા રંગમાં પહાડો પર છવાઇ જાય છે, જે હવે 2030માં ખીલશે. મુન્નારમાં દક્ષિણ ભારતનું સૌથી ઉંચું શિખર - આનમુડી છે, તેની ઉંચાઇ 2695 મીટર જેટલી છે. આનમુડી ટ્રેકિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.
મુન્નર અને આસપાસના ફરવા લાયક સ્થળ
ઇરવિકુલમ નેશનલ પાર્ક (Eravikulam National Park)
મુન્નારની નજીક આવેલું ઇરવિકુલમ નેશનલ પાર્ક જોવા લાયક સ્થળ છે. આ પાર્ક તેના લુપ્તપ્રાય પ્રાણી - નિલગિરી થાર માટે જાણીતું છે. 97 ચોરસ કિમી ક્ષેત્રમાં ફેલાયેલું આ પાર્ક ભાગ્યે જ જોવા મળતા પતંગિયા, પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી પ્રજાતિઓનું ઘર પણ છે. આ સ્થળ ટ્રેકિંગ કરવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/kerala-munnar-hill-station.jpg)
ઇરવિકુલમ નેશનલ પાર્કમાં ધુમ્મસથી ઢંકાયેલા ચાના બગીચાનું અદભૂત દ્રશ્ય જોઇ પ્રવાસીઓ આનંદીત થઇ જાય છે. નીલાકુરિંજીના ફૂલો ખીલે છે ત્યારે પર્વતોએ જાણે વાદળી ચાદર ઓછી હોય તેવું પ્રતિત થાય છે.
આનમુડી શિખર (Anamudi Peak)
ઇરવિકુલમ નેશનલ પાર્કની અંદર આનમુડી શિખર (Anamudi Peak) આવેલું છે. આનમુડી શિખર દક્ષિણ ભારતનું સૌથી ઉંચું શિખર છે, જેની ઉંચાઇ 2700 મીટર કરતા વધુ છે. અહીં ટ્રેકિંગ કરવા માટે સ્થાનિક વહીવટી વિભાગ પાસેથી મંજૂરી લેવી પડે છે.
માટ્ટુપેટ્ટી (Mattupetty)
મુન્નાર શહેરથી લગભગ 13 કિમી દૂર માટ્ટુપેટ્ટી આવેલું છે, જે પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળ છે. સમુદ્રની સપાટીથી 1700 મીટર ઉંચું આવેલું માટ્ટુપેટ્ટી તેના પથ્થરના ડેમના સંગ્રહ અને સુંદર તળાવ માટે જાણીતું છે. અહીં પ્રવાસઓ તળાવમાં બોટિંગની મજા માણે છે. આ સાથે પ્રવાસી આજુબાજુના પહાડો અને કુદરતી સૌંદર્યને માણે છે. માટ્ટુપેટ્ટી ઇન્ડો-સ્વિસ લાઇવસ્ટોક પ્રોજેક્ટ દ્વારા ચલાવાતું ડેરી ફાર્મ માટે પણ જાણીતું છે. અહીં પ્રવાસીઓને વિવિધ પ્રકારની ગાયનું સંવર્ધન જોઇ શકે છે.
પલ્લિવાસલ (Pallivasal)
મુન્નારથી લગભગ 3 કિમી દૂર પલ્લિવાસલ આવેલું છે. પલ્લિવાસલ કેરળમાં સૌ પ્રથમ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું સ્થળ છે. પલ્લિવાસલમાં અત્યંત સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળે છે. પ્રવાસીઓમાં આ સ્થળ પિકનિક ડેસ્ટિનેશન તરીકે જાણીતું છે.
ચિન્નકનાલ અને આનયિરંગલ (Chinnakanal & Anayirangal)
મુન્નાર નજીક ચિન્નકનાલમાં પ્રખ્યાત વોટરફોલ છે, જેને પાવર હાઉસ વોટરફોલ કહેવામાં આવે છે. અહીં પાણી સમુદ્રની સપાટીથી 2000 મીટરની ઉંચાઇથી જળધોધ રૂપે નીચે પથ્થર પર પડે છે. ચિન્નકનાલથી લગભગ 7 કિમી દૂર આનયિરંગલ આવેલું છે. અહીં તમે લીલાછમ ચાના બગીચા જોઇ શકો છો. વિશાળ તળાવમાં બોટિંગથી પ્રવાસનો આનંદ બેવડાઇ જશે. આનયિરંગલ ડેમ ચાના બગીચા અને ગાઢ જંગલોથી ઘેરાયેલ છે.
ટોપ સ્ટેશન (Top Station)
મુન્નારથી લગભગ 32 કિમી ટોપ સ્ટેશન આવેલું છે, જે સમુદ્રની સપાટીથી 1700 મીટરની ઉંચાઇ પર આવેલું છે. તે મુન્નાર-કોડાઇકેનાલ રોડ પરનું સૌથી ઉંચું સ્થળ છે. મુન્નાર આવનાર પ્રવાસીઓ પાડોશી રાજ્ય તમિલનાડુના કુદરતી રમણીય દ્રશ્યને માણવા ટોપ સ્ટેશનની મુલાકાત લે છે. આ સ્થળ નીલાકુરિંજીના ફૂલો ખીલવાને કારણે પર્વત પર નીલી ચાદર પાથરી હોય તેવા દ્રશ્ય માણવા માટેનું એક ઉત્તમ પ્રવાસ સ્થળ છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/kerala-munnar-summer-vacation-places.jpg)
ચાનું મ્યુઝિયમ (Tea Museum)
મુન્નાર ચારના વાવેતરની શરૂઆત અને વિકાસનો સમૃદ્ધ વારસો ધરાવે છે. પ્રવાસીઓને ચા ઉદ્યોગ વિશે માહિતી મળે તે હેતુસર થોડાક વર્ષો પહેલા ટાટા ટી દ્વારા ટી મ્યુઝિમ બનાવામાં આવ્યું છે. ટી મ્યુઝિયમમાં કેરળના ઉંચા પહાડોમાં ચાના વાવેતરની શરૂઆત, વિકાસ - જાળવણીની રસપ્રદ માહિતી આપતી પ્રદર્શની મૂકવામાં આવી છે.
આ પણ વાંચો | અમદાવાદની નજીકના ટોપ 5 હિલ સ્ટેશન, ઉનાળાની ગરમીમાં ઠંડો અહેસાસ, વિકેન્ડમાં ફરવા માટે બેસ્ટ ડેસ્ટિશન
મુન્નાર કેવી રીતે પહોંચવું
કેરળના મુન્નાર પહોચવા માટે સૌથી નજીકના રેલ્વે સ્ટેશન અલુવા 108 કિમી અને અને અંગામાલી 109 કિમી આવેલા છે. સૌથી નજીકનું એરપોર્ટ કોચિન ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અલુવા-મુન્નાર રોડ મારફતે તે 108 કિમી અંતર કાપી મુન્નાર પહોંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us