Moraiya VS Sabudana Khichdi Nutritional Comparison | નાસ્તા (breakfast) માં શું ખાવું તે હંમેશા એક પ્રશ્ન રહે છે, ખાસ કરીને જ્યારે આપણે પૌષ્ટિક અને હેલ્ધી શોધી રહ્યા હોઈએ. શ્રાવણ મહિનાના ઉપવાસના તોડા દિવસ બાકી છે ત્યારે ભારતીય ઘરોમાં, ફરાળી વાનગીઓ તરીકે મોરૈયા ખીચડી (Moraiya Khichdi) અને સાબુદાણા ખીચડી (Sabudana Khichdi) ખૂબ જ બનાવામાં આવે છે. પરંતુ આ બંનેમાંથી નાસ્તા માટે કઈ વધુ ફાયદાકારક છે? અહીં જાણો
મોરૈયા ખીચડી (Moraiya Khichdi) અને સાબુદાણા ખીચડી (Sabudana Khichdi) ફરાળી વાનગી છે. પરંતુ આ બંનેમાંથી નાસ્તા માટે કઈ વધુ ફાયદાકારક છે? અહીં જાણો
મોરૈયા ખીચડી (Moraiya Khichdi)
મોરૈયાની ખીચડી ખાવાના ફાયદા
- હાઈ ફાઇબર: મોરૈયો એક ગ્લુટેન-ફ્રી અનાજ છે જે પોષક તત્ત્વોથી ભરપૂર છે, મોરૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે, કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત આપે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ વજન કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ થાય છે.
- ગ્લુટેન-ફ્રી: જે લોકોને ગ્લુટેન ઇનટોલરન્સ હોય અથવા જેઓ ગ્લુટેન-ફ્રી આહાર લેવા માંગતા હોય તેમના માટે મોરૈયો એક ઉત્તમ વિકલ્પ છે.
- ડાયાબિટીસમાં સારી : મોરૈયાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે.
- વિટામિન્સ અને મિનરલ્સ: તેમાં પ્રોટીન, બી-કોમ્પ્લેક્સ વિટામિન્સ અને અન્ય આવશ્યક ખનિજો જેવા કે આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે હોય છે, જે શરીરને ઊર્જા પૂરી પાડે છે અને એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- વજન કંટ્રોલ કરવાની ટિપ્સ : ઓછી કેલરી અને વધુ ફાઈબરને કારણે મોરૈયા ખીચડી વજન ઘટાડવા માટે એક સારો વિકલ્પ છે.
સાબુદાણા ખીચડી (Sabudana Khichdi)
સાબુદાણા ટેપિયોકાના છોડના મૂળમાંથી મેળવવામાં આવે છે. તે કાર્બોહાઇડ્રેટનો સારો સ્ત્રોત છે.
સાબુદાણા ખીચડી ખાવાના ફાયદા
- એનર્જી : સાબુદાણા મુખ્યત્વે સ્ટાર્ચથી બનેલા હોય છે, જે શરીરમાં ઝડપથી ઊર્જા પૂરી પાડે છે. ઉપવાસ પછી કે કસરત પછી તરત ઊર્જાની જરૂર હોય ત્યારે તે ફાયદાકારક છે.
- પાચનમાં સરળ: સાબુદાણા પાચનમાં ખૂબ જ હળવા હોય છે, તેથી પેટ સંબંધિત સમસ્યાઓ હોય ત્યારે કે માંદગીમાં પણ તેનું સેવન કરી શકાય છે.
- ગ્લુટેન-ફ્રી: સાબુદાણા પણ ગ્લુટેન-ફ્રી હોય છે, જે ગ્લુટેન સંવેદનશીલતા ધરાવતા લોકો માટે યોગ્ય છે.
- હાડકાં માટે ફાયદાકારક: તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા ખનિજો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
- મહિલાઓ માટે ફાયદાકારક: કેટલીક ન્યુટ્રિશનિસ્ટ્સ માને છે કે સાબુદાણા મહિલાઓના સ્વાસ્થ્ય માટે, ખાસ કરીને માસિક ધર્મ, ગર્ભાવસ્થા અને મેનોપોઝ દરમિયાન ફાયદાકારક છે. તે હોર્મોનલ અસંતુલન અને વધુ પડતા રક્તસ્રાવની સમસ્યામાં રાહત આપી શકે છે.
મોરૈયા ખીચડી VS સાબુદાણા ખીચડી, કઈ વધુ પૌષ્ટિક?
નાસ્તા માટે બંને ખીચડીના પોતાના ફાયદા છે, પરંતુ જો આપણે એકંદર પોષણ મૂલ્યની વાત કરીએ, તો મોરૈયા ખીચડી સાબુદાણા ખીચડી કરતાં વધુ પૌષ્ટિક ઓપ્શન સાબિત થાય છે.
- ફાઇબર: મોરૈયામાં સાબુદાણા કરતાં ફાઇબરનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધુ હોય છે, જે પાચન અને વજન નિયંત્રણ માટે વધુ ફાયદાકારક છે.
- પ્રોટીન: મોરૈયામાં સાબુદાણા કરતાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે.
- ગ્લાયકેમિક ઇન્ડેક્સ: મોરૈયાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે બ્લડ સુગર લેવલને વધુ સારી રીતે કંટ્રોલ કરે છે. સાબુદાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાથી તે બ્લડ સુગર ઝડપથી વધારી શકે છે.
પરંતુ તેનો અર્થ એ નથી કે સાબુદાણા ખીચડી ખરાબ છે. સાબુદાણા ખીચડી તુરંત એનર્જીનો સારો સ્ત્રોત છે અને પાચનમાં સરળ છે, જે તેને અમુક પરિસ્થિતિઓમાં યોગ્ય વિકલ્પ બનાવે છે.
જો તમે સવારના નાસ્તામાં લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવા માંગતા હો, વજન નિયંત્રિત કરવા માંગતા હો અથવા ડાયાબિટીસ હોય, તો મોરૈયા ખીચડી વધુ સારો વિકલ્પ છે. જ્યારે, જો તમને ત્વરિત ઊર્જાની જરૂર હોય અથવા પાચન સંબંધિત સમસ્યાઓ હોય, તો સાબુદાણા ખીચડી પણ સારો વિકલ્પ બની શકે છે.
બંને ખીચડીને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેમાં શીંગદાણા, બટેટા, લીમડો, લીલા મરચાં અને શાકભાજી ઉમેરી શકાય છે. યોગ્ય માત્રામાં ઘીનો ઉપયોગ પણ તેના પોષણ મૂલ્યને વધારે છે. તમારા ડાયટની જરૂરિયાતોને આધારે તમે બંનેમાંથી કોઈ પણ ખીચડી પસંદ કરી શકો છો.





