Stage Zero Lung Cancer Symptoms Treatment: કેન્સર એક ગંભીર રોગ છે, જો સમયસર ખબર ન પડે, તો તે જીવલેણ સાબિત થાય છે. અભિનેત્રી શર્મિલા ટાગોરને પણ સ્ટેજ ઝીરો ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. જો કે તેમને સમયસર કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું અને તેના લીધે કિમોથેરપી વગર જ તેમણે કેન્સરને હરાવ્યું છે. તમને જણાવી દઈએ કે શર્મિલા ટાગોર વિતેલા સમયની સદાબહાર અભિનેત્રી રહી ચૂકી છે, તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે.
અભિનેત્રી શર્મિલા ટાગોરની પુત્રી સોહા અલી ખાને એવો ઘટસ્ફોટ કર્યો છે કે તેની માતા શર્મિલા ટાગોરને સ્ટેજ ઝીરો ફેફસાંનું કેન્સર હોવાનું નિદાન થયું હતું અને કેન્સરના કોષો કોઇ પણ કીમોથેરાપી વિના જ દૂર થઇ ગયા હતા અને હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. ચાલો અમે તમને જણાવીએ કે શું છે ઝીરો લંગ કેન્સર અને કેવી રીતે સારવાર કરવામાં આવે છે.
દિલ્હીની બીએલકે-મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મેડિકલ ઓન્કોલોજીના સિનિયર ડિરેક્ટર ડો.સજ્જન રાજપુરોહિતે જણાવ્યું હતું કે, “ઝીરો લંગ કેન્સરનો અર્થ એ છે કે કેન્સર ફેફસાંના સ્તર સુધી મર્યાદિત છે અને તેણે રક્ષણાત્મક અવરોધને તોડ્યો નથી, જેને આપણે બેસલ મેમ્બ્રેન કહીએ છીએ. તે વિવિધ કોષ અને પેશીઓના પ્રકારોને અલગ પાડે છે. આવી સ્થિતિમાં, કેન્સર જોખમી નથી અને તેને મટાડવાની સંભાવના પણ વધારે છે.
What Is Zero Lung Cancer? : સ્ટેજ ઝીરો ફેફસાનું કેન્સર એટલે શું?
યુએસ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, આ એક એવી સ્થિતિ છે જેમાં કેટલાક અસામાન્ય દેખાતા કોષો રચાય છે જે કેન્સર ટિશ્યુ જેવા દેખાય છે, પરંતુ તે ફક્ત એક જ જગ્યાએ થાય છે જ્યાંથી તે શરૂ થયા હતા. આ પ્રકારના કોષ શરીરના અન્ય અંગોમાં ફેલાતા નથી, પરંતુ જો તેની સમયસર કાળજી લેવામાં ન આવે તો તે સમય સાથે કેન્સરનું કારણ બની શકે છે અને પછીથી શરીરમાં ફેલાય છે. આ સ્થિતિને સ્ટેજ ઝીરો કેન્સર કહેવામાં આવે છે. તે શરીરના જુદા જુદા ભાગોમાં થઈ શકે છે.
સ્ટેજ ઝીરો કેન્સર માટે ટેસ્ટ
સામાન્ય રીતે, સ્ટેજ ઝીરો કેન્સરના લક્ષણો સામાન્ય રીતે જોઈ કે સમજી શકાતા નથી. જો કે, ઘણી વ્યક્તિઓને ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અથવા છાતીમાં દુખાવો થતો નથી જે સામાન્ય રીતે ફેફસાના કેન્સરના પછીના તબક્કામાં થાય છે. આ ઉપરાંત કેટલાક મેડિકલ ટેસ્ટ દ્વારા સ્ટેજ ઝીરો કેન્સરની જાણકારી મેળવી શકાય છે. જ્યારે સ્ટેજ ઝીરો કેન્સરની જાણ થાય ત્યારે તેની પણ તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ, જેનાથી કેન્સરની સારવાર વહેલી શરૂ થાય છે અને તેના સાજા થવાની શક્યતા વધારે છે.
બ્રોન્કોસ્કોપી
બ્રોન્કોસ્કોપી એવા કિસ્સાઓમાં કરવામાં આવે છે જ્યાં વધુ તપાસની જરૂર હોય. આ પ્રક્રિયામાં ફેફસાંની સીધી તપાસ કરવા અને બાયોપ્સી માટે પેશીઓના નમૂનાઓ એકત્રિત કરવા માટે શ્વાસ નળીના માર્ગમાં લવચીક ટ્યુબ દાખલ કરવામાં આવે છે.
બાયોપ્સી
અસામાન્ય કોષો કેન્સરગ્રસ્ત છે તેની પુષ્ટિ કરવા માટે કોષોનો એક નાનો નમૂનો લેવામાં આવે છે. આ ટેસ્ટ સ્ટેજ ઝીરો ફેફસાના કેન્સરનું સચોટ નિદાન કરવા અને યોગ્ય સારવારની યોજના બનાવવા માટે મહત્વપૂર્ણ છે.
સ્ટેજ ઝીરો કેન્સરની સારવાર
સ્ટેજ ઝીરો કેન્સરની સારવાર સામાન્ય રીતે શસ્ત્રક્રિયા, કિરણોત્સર્ગ ઉપચાર અથવા બંનેના સંયોજન દ્વારા કરવામાં આવે છે. સ્ટેજ ઝીરોના કેન્સરમાં કીમોથેરાપીની જરૂર હોતી નથી. કેન્સરના ગંભીર કેસોમાં કિમોથેરાપી જરૂરી છે.





