/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/baahubali-Rana-Daggubati-12.jpg)
8 - 9 કલાકની ઓફિસ જોબમાં સતત બેસી રહેવાથી લોકોની કેલરી બર્ન થતી નથી, જેના કારણે તેમનું વજન ઝડપથી વધવા લાગે છે. (express photo)
આજના સમયમાં મોટાભાગના લોકો નોકરી કે કોઇને કોઇ કામગીરી કરે. જેમાંથી મોટાભાગના લોકો ઓફિસમાં બેસીને ડેસ્ક જોબ કરતા હોય છે. 8 - 9 કલાકની ઓફિસ જોબમાં સતત બેસી રહેવાથી લોકોની કેલરી બર્ન થતી નથી, જેના કારણે તેમનું વજન ઝડપથી વધવા લાગે છે. ઉપરાંત 8-9 કલાકની નોકરી કર્યા પછી લોકો એટલા થાકી જાય છે કે તેઓ ઇચ્છે તો પણ તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખી શકતો નથી. આવી સ્થિતિમાં સ્થૂળતાની સમસ્યા સતત વધવા લાગે છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ લેખમાં અમે તમને ઓફિસ સંબંધિત બધી ખોટી આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વજન વધવા માટે જવાબદાર છે. આ આદતોને બદલીને તમે સ્થૂળતાની સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.
ખુરશીમાં લાંબા સમય સુધી બેસી રહેવું
ઘણા લોકો ઓફિસમાં કામ કરતા હોય ત્યારે લાંબા સુધી ખુરશીમાં બેસી રહે છે, ઘણી વખત તો કોઇ ટાસ્કમાં એટલા ફસાયેલા હોય છે કે પોતાની નોકરીનો સમય સમાપ્ત થયા બાદ જ તેઓ ખુરશીમાંથી ઉભા થાય છે. આમ લાંબા સમય સુધીમાં સતત બેસવું રહેવું પણ વજન વધવાનું એક મુખ્ય કારણ છે. ખુરશીમાં બેસી રહેવાથી કેલરી બર્ન થતી નથી. ઉપરાંત ઓફિસમાં કામકાજ કરતી વખતે ખુરશીમાં બેઠા બેઠાં લોકો કંઇને કંઇ ખાતા હોય છે, જે એનર્જીમાં કન્વર્ટ થવાના બદલે શરીરમાં ચરબી સ્વરૂપે જમા થવા લાગે છે. આથી ઓફિસમાં કામકાજ દરમિયાન પણ ફિઝિકલ એક્ટિવ રહેવું જરૂરી છે. જેની માટે દર બે કલાકે 5 થી 10 મિનિટ બ્રેક લઇને ખુરશીમાંથી ઉભા થવુ અને ચાલવું કે સ્ટ્રેચિંગ કરવું જોઇએ. તેનાથી સ્થુળતાની સમસ્યા દૂર થવાની સાથે સાથે બોડીમાં બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય રીતે થશે.
સૂર્યપ્રકાશથી દૂર રહેવું:
ઘણા લોકો વહેલી સવારે ઓફિસ જવા નીકળી જાય છે અને મોડી રાત સુધી કે સાંજ સુધી ત્યાં જ રહે છે. આવી સ્થિતિમાં તેઓ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવી શકતા નથી. અથવા તો સૂર્યપ્રકાશનું એક કિરણ પણ ઘણા લોકોના ડેસ્ક સુધી પહોંચતું નથી. તમને જાણીને નવાઈ લાગશે કે તમારું વજન વધવાનું આ પણ એક મહત્વનું કારણ હોઈ શકે છે. કુદરતી પ્રકાશ માનવ શરીરના વજનને નિયંત્રિત કરવાની પ્રક્રિયાને અસર કરી શકે છે. સૂર્યપ્રકાશમાંથી આપણને વિટામિન ડી મળે છે. એક સંશોધન અનુસાર વિટામિન ડી શરીરની ચરબી ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
પાણી પીવાનું ભૂલી જવું:
સ્વસ્થ રહેવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે, તમે આ વાત જાણતા જ હશો. જો કે, મોટાભાગના લોકો એ વાતથી અજાણ છે કે વજન વધવા માટે પાણીની ઉણપ પણ જવાબદાર હોઈ શકે છે. ઓફિસમાં કામ કરતી વખતે, મોટાભાગના લોકો પાણી પીવાનું ભૂલી જાય છે, જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ જાય છે. શરીરમાં પાણીની ઉણપને કારણે તમારું એનર્જી લેવલ ઓછું થઈ જાય છે, સાથે જ તમને વધુ ભૂખ પણ લાગે છે. આવું એટલા માટે છે કારણ કે આપણું મગજ સમજી શકતું નથી કે તેને ખોરાકની જરૂર છે કે પાણીની. આ કારણે તમે વધુ ખોરાક જમો છો જે વજન વધારવાનું કામ કરે છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે શરીરમાં પાણીની જરૂરિયાનને જરાય નજર અંદાજ કરવીનહીં.
વધારે ચિંતા કરવીઃ
ઘણા લોકો વધારે ચિંતા કરતા હોય છે અને તેનાથી સ્થુળતાની સમસ્યા લાગુ પડી શકે છે. હકીકતમાં ચિંતા કરવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન્સ વધવા લાગે છે અને સ્ટ્રેસથી વ્યક્તિને વધારે ભૂખ લાગે છે, પરિણામે લોકો વધારે જમવા લાગે છે. આવી સ્થિતિમાં બોડીમાં ઇન્સ્યુલિનનું લેવલ વધવા લાગે છે અને બ્લડ સુગર લાગુ પડે છે. જે તમારા આરોગ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. સુગર લેવલ ઘટવાથી તમને ચરબી યુક્ત કે મીઠી ચીજ થવાનું મન થાય છે, જેની સીધી અસરે શરીરનું વજન વધવા લાગે છે.
બપોરે ભોજન ન કરવું કે ઉતાવળમાં જમવું
સમયસર ભોજન ન કરવું અને વધતી સ્થૂળતા વચ્ચે પણ સીધો સંબંધ છે. ઘણી વખત ઓફિસમાં લોકો કામના કારણે ભોજન છોડી દે છે અથવા સમયસર લંચ વગેરે નથી કરતા. જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો તમને જણાવી દઈએ કે તમારી આ આદત તમારા વજન પર ઉંડી અસર કરે છે. તે જ સમયે, ઘણા લોકો સમય બચાવવા માટે ઉતાવળમાં ખોરાક લે છે, જેના કારણે વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે. વારંવાર ખાવાથી પાચનતંત્ર પર અસર થાય છે, તમારું ભોજન યોગ્ય રીતે પચતું નથી, જેના કારણે તમને સ્થૂળતાની સમસ્યા લાગુ થઈ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us