Delhi Odd-Even Scheme : વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી સરકારે રાજધાનીમાં ઓડ-ઇવન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. એક સપ્તાહ સુધી ઓડ-ઇવન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત 13 થી 20 નવેમ્બર સુધી દિલ્હી સરકાર દ્વારા નિર્ધારિત સંખ્યા વાળી ગાડી રસ્તા પર આવી શકશે. આ સિવાય દિલ્હીમાં તમામ પ્રકારના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પ્રદૂષણ અંગે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક અંગે માહિતી આપતા પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હીની સરકારી અને ખાનગી કચેરીઓમાં 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ આપવા અંગેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. પ્રદુષણને ધ્યાનમાં રાખીને શાળાઓને ધોરણ 10 અને 12 સિવાયના તમામ વર્ગના વિદ્યાર્થીઓને 10 નવેમ્બર સુધીમાં ઓનલાઇન ભણાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
શું છે દિલ્હી સરકારની ઓડ-ઇવન ફોર્મ્યુલા?
દિલ્હી સરકારની ઓડ-ઇવન ફોર્મ્યુલા લોકોને પ્રદૂષણથી બચાવવા અને વાતાવરણમાં વાહનોના ઉત્સર્જનને ઘટાડવા માટેનું એક પગલું છે. આ અંતર્ગત જે ગાડીઓના નંબર ઓડ નંબર પર સમાપ્ત થાય છે તે ઓડ ડેટ પર દોડી શકશે અને જે ગાડીઓના નંબર ઇવન નંબર પર સમાપ્ત થાય છે તે ઇવન ડેટ પર દોડી શકશે. આવી સ્થિતિમાં 13 નવેમ્બરથી 20 નવેમ્બર વચ્ચે 13, 15, 17, 19 તારીખે રસ્તાઓ પર ઓડ નંબરવાળા વાહનો દોડશે. 14, 16, 18 અને 20 નવેમ્બરના રોજ બેકી નંબરવાળા વાહનોને બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે.
આ પણ વાંચો – પ્રદુષણથી દિલ્હી-એનસીઆરની હાલત ખરાબ, AQI ખતરનાક સ્તરે પહોંચ્યો
જીઆરએપી-3માં આપવામાં આવેલી છૂટ પણ પાછી ખેંચી લેવાઇ
પત્રકારો સાથેની વાતચીતમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે BS-3 પેટ્રોલ વાહનો અને BS-IV ડીઝલ વાહનો પર જે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તે જીઆરએપી-4માં પણ ચાલુ રહેશે. એલએનજી, સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રક અને આવશ્યક ચીજવસ્તુઓના આવશ્યક સેવાના વાહનોને બાદ કરતાં અન્ય ટ્રકોને દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જીઆરએપી-3માં ફ્લાયઓવર, ઓવરબ્રિજ અને પાવર ટ્રાન્સમિશન પાઇપલાઇનના નિર્માણ કાર્યને છૂટ આપવામાં આવી. હવે તેમના પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પવનની ગતિ ઉપર પણ વાત કરી
પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે આગાહી મુજબ આવતીકાલે 7 નવેમ્બરે પવનની ગતિ 12 કિમી/કલાકની રહેશે અને જો ગતિ 10 થી 12 કિમી/કલાકની ઝડપે પહોંચી જાય છે તો એવી સંભાવના છે કે અહીં જમા પ્રદૂષણનું સ્તર વિખેરાઇ શકે છે. આવી જ રીતે 8 નવેમ્બરે પવનની ઝડપ 8-10 કિમી પ્રતિ કલાક રહેશે. એવી આશા છે કે 7 અને 8 નવેમ્બરે પવનની ગતિમાં વધારો થશે જેનાથી પ્રદૂષણનું સ્તર ઘટશે.





