Arvind Kejriwal meets Sharad Pawar: આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ પર ભાજપ શાસિત કેન્દ્રના અધ્યાદેશ સામે સમર્થન મેળવવાની આશાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શરદ પવારને મળ્યા હતા. શરદ પવારે આ બેઠક બાદ કહ્યું કે દેશમાં સંકટ છે અને આ કોઈ મુદ્દો દિલ્હી સુધી સીમિત નથી, એનસીપી અને મહારાષ્ટ્રની જનતા કેજરીવાલનું સમર્થન કરશે.
મુંબઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે ચૂંટાયેલી સરકારોને અધ્યાદેશનો ઉપયોગ કરીને કામ કરવાની મંજૂરી આપવામાં આવી રહી નથી, જે દેશ માટે સારું નથી.
શરદ પવારે કહ્યું કે કેજરીવાલને ટેકો આપવા માટે અમે અન્ય નેતાઓ સાથે પણ વાત કરીશું. આપણે તમામ બિન-ભાજપ પક્ષોને એક સાથે લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો તમામ બિન-ભાજપી પક્ષો એક સાથે આવી જાય તો દિલ્હીમાં સેવાઓને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકારના અધ્યાદેશ પર લાવવામાં આવનાર બિલને રાજ્યસભામાં પસાર થતું અટકાવી શકાય છે.
આ પણ વાંચો – મોદી સરકાર સામે એજન્સીઓના દુરુપયોગ, ભૂમિ અને કૃષિ કાયદા સહિત વિવિધ મુદ્દે વિપક્ષ એક સાથે મેદાનમાં
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની જનતા વિરુદ્ધ મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા કાળા અધ્યાદેશને આપણે બધાએ સંસદમાં રોકવો પડશે. આ મુદ્દે હું આજે મુંબઈમાં એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને મળ્યો હતો. એનસીપી અને પવાર સાહેબ રાજ્યસભામાં દિલ્હીની જનતાને ટેકો આપશે. હું દિલ્હીની જનતા વતી એનસીપી અને પવાર સાહેબનો હૃદયથી આભાર માનું છું. અમે લોકશાહીને બચાવવા માટે સાથે મળીને લડીશું.
આ મામલે શરદ પવારે કહ્યું કે અધ્યાદેશ સંસદીય લોકતંત્ર માટે ખતરો છે. એ સુનિશ્ચિત કરવું આપણું કર્તવ્ય છે કે બધા બિન-ભાજપી દળ અરવિંદ કેજરીવાલનું સમર્થન કરે. હવે સંસદીય લોકતંત્રના અસ્તિત્વ માટે લડવાનો સમય આવી ગયો છે.