Ayodhya Ram Mandir Pran Pratistha: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી તૈયારી ચાલી રહી છે. અયોધ્યા રામ મંદિરને લઇ દરરોજ નવા અપડેટ આવી રહ્યા છે. રામ ભક્તો માટે ખાસ સમાચાર એ છે કે અયોધ્યા રામ મંદિર પણ સોનેથી મઢવામાં આવી રહી છે. અયોધ્યા રામ મંદિરના ગર્ભગૃહથી સહિત 14 સ્થળો સુવર્ણ દ્વાર સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. હવે ભગવાન રામ દરબારના સુવર્ણ દ્વાર જોઇ ભક્તો ખુશ ખુશ થઇ જશે.
રામ મંદિરમાં કેટલા સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા
અયોઘ્યા રામ મંદિરમાં ભક્તો દર્શન કરવા આતુર થયા છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યા નગરીને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. જેમાં અયોધ્યા રામ મંદિરનું સૌથી ખાસ છે. અયોધ્યા રામ મંદિરમાં 14 દરવાજાને સુવર્ણ દ્વારથી સુશોભિત કરવામાં આવ્યા છે.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્વિટર પર શેર કરાયેલા ફોટામાં લખ્યુ છે કે, ભગવાન રામ લલ્લા સરકારના ગર્ભગૃહમાં સુવર્ણ જડિત દ્વારની સ્થાપના સાથે જ ભૂતલ પર તમામ 14 સૂર્વણ દ્વારની સ્થાપનાનું કાર્ય સંપન્ન થયું છે.
અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરની વિશેષતાઓ:
અયોધ્યા રામ મંદિર પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવી રહ્યું છે.
રામ મંદિરની લંબાઈ (પૂર્વથી પશ્ચિમ) 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ હશે.
રામ મંદિર ત્રણ માળનું છે. દરેક માળની ઊંચાઈ 20 ફૂટ હશે. મંદિરમાં કુલ 392 સ્તંભ અને 44 દરવાજા હશે.
રામ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ (શ્રી રામ લલ્લા સરકાર દેવ)નું બાળ સ્વરૂપ અને પહેલા માળે શ્રી રામ દરબાર હશે.
રામ મંદિરમાં 5 મંડપ હશે: નૃત્ય મંડપ, રંગ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ અને કીર્તન મંડપ.
રામ મંદિરના સ્તંભો અને દિવાલો પર દેવી-દેવતાઓની મૂર્તિઓ કોતરવામાં આવી રહી છે.
રામ મંદિરમાં પ્રવેશ પૂર્વ બાજુથી, 32 સીડીઓ ચઢીને અને સિંહદ્વારથી થશે.
રામ મંદિરમાં અશક્ત અને વૃદ્ધો માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
રામ મંદિરની ચારે બાજુ એક લંબચોરસ દિવાલ હશે. ચારેય દિશામાં તેની કુલ લંબાઈ 732 મીટર અને પહોળાઈ 14 ફૂટ હશે.
રામ મંદિરના ચારે ખૂણામાં સૂર્ય ભગવાન, માતા ભગવતી, ગણપતિ અને ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરો બનાવવામાં આવશે. ઉત્તરમાં માતા અન્નપૂર્ણાનું મંદિર અને દક્ષિણમાં હનુમાનજીનું મંદિર હશે.
રામ મંદિર પાસે પૌરાણિક કાળનો સીતાકૂપ હાજર રહેશે.
રામ મંદિર સંકુલમાં અન્ય મંદિરો પણ હશે. જે મહર્ષિ વાલ્મીકિ, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને ઋષિપત્ની દેવી અહિલ્યાને સમર્પિત હશે.
દક્ષિણ-પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર ટીલા પર ભગવાન શિવના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને ત્યાં જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
રામ મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. જમીન પર સિમેન્ટ કોંક્રટી હશે નહીં.
રામ મંદિરની નીચે 14 મીટર જાડા રોલર કોમ્પેક્ટેડ કોંક્રીટ (RCC) નાખવામાં આવી છે. તેને કૃત્રિમ ખડકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
મંદિરને માટીના ભેજથી બચાવવા માટે 21 ફૂટ ઊંચો પ્લિન્થ ગ્રેનાઈટથી બનાવવામાં આવ્યો છે.
રામ મંદિર સંકુલમાં સ્વતંત્ર રીતે સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અગ્નિશામક માટે પાણીની વ્યવસ્થા અને સ્વતંત્ર પાવર સ્ટેશન બનાવવામાં આવ્યા છે, જેથી બાહ્ય સંસાધનો પર ન્યૂનતમ નિર્ભરતા રહે.
રામ મંદિરમાં 25,000ની ક્ષમતા ધરાવતું એક યાત્રાળુ સુવિધા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે, જ્યાં યાત્રાળુઓનો સામાન રાખવા માટે લોકર અને તબીબી સુવિધાઓ હશે.
રામ મંદિર પરિસરમાં બાથરૂમ, શૌચાલય, વોશ બેસિન, પાણીના નળ વગેરેની પણ સુવિધા હશે.
રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણપણે ભારતીય પરંપરા અનુસાર અને સ્વદેશી ટેકનોલોજીથી કરવામાં આવી રહ્યું છે. પર્યાવરણ-જળ સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુલ 70 એકર વિસ્તારમાંથી 70% વિસ્તાર હંમેશા માટે હરિયાળો રહેશે.
આ પણ વાંચો | અયોધ્યા રામ મંદિરના નિર્માણમાં ક્યા મટિરિયલનો ઉપયોગ કરાયો છે? મંદિર કેટલા વર્ષ સુધી ટકી રહેશે?
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ જાહેર
અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેકની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પહેલા ધાર્મિક વિધિઓ શરૂ થશે. 17 જાન્યુઆરીએ રામલલા પહેલીવાર મંદિરમાં પ્રવેશ કરશે, ત્યારબાદ બીજા દિવસે તેઓ ગર્ભગૃહમાં પ્રવેશ કરશે. મંદિર પરિસરમાં યજ્ઞ અને હવનનો પ્રારંભ થશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ધાર્મિક વિધિઓ શરૂ થશે અને 22 જાન્યુઆરી સુધી ચાલશે.