Bageshwar Dham Sarkar: દેશભરમાં ચર્ચાસ્પદ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ફોન કોલમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી (Threat Call) ની માહિતીના આધારે છતરપુર પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલના દિવસોમાં છત્તીસગઢની રાજધાની રાયપુર (Raipur, Chhattisgarh) માં રામ કથા કહી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાલમાં આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ધીરેન્દ્ર શાસ્ત્રીના ભાઈ લોકેશ ગર્ગને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી
મળતી માહિતી મુજબ, ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલા બાગેશ્વર ધામના વડા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને એક અજાણ્યા વ્યક્તિએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના ભાઈ લોકેશ ગર્ગ તરફથી, છતરપુરના બમિથા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ કેસ (એફઆઈઆર) નોંધવામાં આવ્યો છે. લોકેશ ગર્ગને જ આ કોલ આવ્યો હતો. તેણે કહ્યું કે, ફોન કરનારે પહેલા તેને ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે વાત કરાવવાનું કહ્યું, ના પાડવા પર તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
પોલીસે કહ્યું- આરોપીની ઓળખ થઈ, જલ્દી ધરપકડ
છતરપુરના પોલીસ અધિક્ષક (છતરપુર એસપી) સચિન શર્માએ કેસ નોંધાયાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, છતરપુર પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ફોન કોલ કરનાર આરોપીનું નામ અમર સિંહ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આરોપી અમર સિંહ વિરુદ્ધ બમિથા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમ 506, 507 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આરોપીને પકડવા માટે પોલીસ ટીમ બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકનાર શ્યામ માનવને પણ ધમકી આપવામાં આવી હતી
બીજી તરફ, બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી સમક્ષ નાગપુરમાં પડકાર ફેંકનાર અંધારશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકર શ્યામ માનવને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. શ્યામ માનવે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવા અને તેને પડકારવા પર નાગપુરથી ભાગી જવાનો આરોપ લગાવ્યો હતો. માનવે કહ્યું હતું કે, જો ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં તેમની સામે ચમત્કાર કરે તો તેઓ તેમને 30 લાખ રૂપિયા આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેના જવાબમાં કહ્યું હતું કે, જો તેઓ આવવા માંગતા હોય તો રાયપુરના દિવ્ય દરબારમાં આવી જાય. માનવને ધમકીઓ મળી હોવાની જાણ થતાં પોલીસે તેની સુરક્ષા વધારી દીધી હતી.