Bihar Deputy CM Tejashwi Yadav : બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગુરુવારે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીને તેમના દિલ્હી નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેજસ્વીએ બિહાર રાજ્યના અનેક રોડ પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી હતી. ગડકરીને મળ્યા બાદ મીડિયા સાથે વાત કરતા રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના નેતાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતાની પ્રશંસા કરી હતી.
તેજસ્વી યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે મને લાગે છે કે નીતિન ગડકરી વિકાસને લઇને ખૂબ જ સકારાત્મક છે. અમે બિહારમાં છેલ્લા 11-12 વર્ષથી અટકી પડેલા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાની વાત કરી હતી. તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે સૌથી મહત્વની માંગ એ હતી કે બિહારમાં એક્સપ્રેસ વે નથી. અમે ગડકરીજી પાસેથી રાજ્યમાં એક્સપ્રેસ વે ની પણ માંગ કરી છે, જેના વિશે તેઓ ખૂબ જ સકારાત્મક હતા.
પોતાના ઓફિશિયલ એક્સ (ટ્વિટર) હેન્ડલ પર તેજસ્વીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથેની મુલાકાતની તસવીર શેર કરી છે. તેજસ્વી યાદવે લખ્યું કે આજે મેં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીજી સાથે બિહારમાં માર્ગ પરિયોજનાઓ વિશે સકારાત્મક ચર્ચા કરી છે.
આ પણ વાંચો – ચંદ્રયાન-3: ભારતની સફળતા પર શું કહી રહી છે દુનિયા? વિદેશી મીડિયામાં ભારતનો જયજયકાર
બેઠકમાં બક્સરથી ભાગલપુર સુધી એક્સપ્રેસ વેનું નિર્માણ, ગંગા પર જેપી સેતુના સમાંતર પુલ, પટનાથી કોઇલવર અને અનીસાબાદથી દિદારગંજ વચ્ચે એલિવેટેડ કોરિડોર નિર્માણી માંગ કરી હતી. આ સિવાય કેન્દ્રના લાંબા સમયથી વિલંબિત પ્રોજેક્ટ્સ જેમ કે પટના-ગયા, હાજીપુર-છપરા, મહેશખુંટ-સહરસા-પૂર્ણિયા એનએચ, મુઝફ્ફરપુર બાયપાસને જલ્દી પૂર્ણ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.





