Bihar Politics: બિહારની રાજનીતિમાં મચેલા ઘમાસાન વચ્ચે મુખ્યમંત્રી નીતિશ કુમારે (Nitish Kumar)મોટી જાહેરાત કરી છે. સોમવારે તેમણે કહ્યું કે હું મૃત્યુ સુધી ભારતીય જનતા પાર્ટી સાથે ક્યારેય હાથ મિલાવીશ નહીં. હું મરી જઇશ પણ બીજેપી સાથે હાથ મિલાવીશ નહીં. તેમણે એ પણ દાવો કર્યો કે 2020માં બીજેપીએ પાછળ પડીને જેડીયૂ (JDU)સાથે ગઠબંધન કર્યું હતું, જ્યારે તે બીજેપીને છોડી ચૂક્યા હતા.
નીતિશ કુમારે કહ્યું કે એક વખત ચૂંટણી તો થવા દો, બધાને ખબર પડી જશે કે કોણ કેટલા પાણીમાં છે. તેમનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે હાલમાં જ ભાજપની કાર્યકારિણીમાં જનતા દળ (યૂનાઇટેડ) સાથે ફરી ક્યારેય ગઠબંધન નહીં કરવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો.
રવિવારે બીજેપીના રાજ્યસભા સાંસદ અને પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત બીજેપીના કેન્દ્રીય નેતૃત્વનો નિર્ણય છે કે પાર્ટી ક્યારેય પણ નીતિશ કુમાર સાથે ગઠબંધન કરશે નહીં. દરભંગામાં રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં આ નિર્ણયની જાણ કરી હતી.
આ પણ વાંચો – કોંગ્રેસે લાલ ચોક પર તિરંગો ફરકાવવાને RSSનો એજન્ડા ગણાવ્યો હતો, હવે યૂ-ટર્ન લેતા લાલચોક પર કેમ ફરકાવ્યો તિરંગો?
તેમણે કહ્યું કે જેડીયૂના કેટલાક વરિષ્ઠ નેતા નીતિશ કુમારની એનડીએમાં વાપસીને લઇને અફવા ફેલાવી રહ્યા હતા, જે પુરી રીતે ખોટું છે. તેમણે જનાદેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને વોટ બદલવાની તાકાત પણ ગુમાવી દીધી છે. અમે કોઇપણ પરિસ્થિતિમાં ક્યારેય પણ નીતિશ કુમાર સાથે ગઠબંધન નહીં કરવાના કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આનાથી ભવિષ્યમાં બિહારમાં ભાજપાની સરકાર બનાવવાની દિશામાં પાર્ટીનું મનોબળ વધશે.