BJP Plan and Amit Shah : પંજાબ (Punjab) માં હાલના દિવસોમાં કોંગ્રેસ (Congress) પાર્ટીની ભારત જોડો યાત્રા (Bharat Jodo yatra) ચાલી રહી છે. થોડા દિવસોમાં કોંગ્રેસની આ યાત્રા જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ કરશે. કાશ્મીરમાં રાહુલ ગાંધીની શ્રીનગરની મુલાકાત પૂરી થાય તે પહેલા ભાજપે કોંગ્રેસને જવાબ આપવાની યોજના બનાવી છે.
ભાજપની યોજના હેઠળ ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં હરિયાણાના ગોહાના, સોનીપતમાં એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમિત શાહ બીજા જ દિવસે 29 જાન્યુઆરીએ પંજાબના પટિયાલામાં એક રેલીને પણ સંબોધિત કરી શકે છે. કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ શ્રીનગરમાં પૂરી થવાની છે. 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધી શ્રીનગરમાં ત્રિરંગો ફરકાવશે.
હરિયાણામાં કોંગ્રેસને સારું સમર્થન મળ્યું
હરિયાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સારી એવી ભીડ જોવા મળી હતી. હરિયાણામાં ભારત જોડો યાત્રા કુલ 8 દિવસ સુધી ચાલી હતી. 21 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધીના પ્રથમ તબક્કામાં ભારત જોડો યાત્રા ફિરોઝપુર જીરકા, નૂહ, ફરીદાબાદ અને ગુરુગ્રામ થઈને શરૂ થઈ હતી. બીજા તબક્કામાં 6 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી યાત્રા પાણીપત, કરનાલ, કુરુક્ષેત્ર અને અંબાલા થઈને નીકળી હતી.
ભાજપે દિગ્ગજોની ડ્યુટી લગાવી
હરિયાણા બીજેપી અધ્યક્ષ ઓમ પ્રકાશ ધનખરે અમિત શાહની રેલીને સફળ બનાવવા માટે અનેક સાંસદો અને ધારાસભ્યોને જવાબદારી સોંપી છે. સોનીપતના સાંસદ રમેશ ચંદ્ર કૌશિકને વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના સિવાય સિરસાના સાંસદ સુનીતા દુગ્ગલને કો-ઓર્ગેનાઈઝરની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજેપીના હરિયાણા સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ સંજય શર્માએ કહ્યું, “અમિત શાહની ગોહાના રેલી સિવાય, અમિત શાહ 3 ફેબ્રુઆરીએ હરિયાણામાં રાજ્ય સ્તરના ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપશે. સંત રવિદાસ જયંતિ પર ગુરુગ્રામ, યમુનાનગર અને નરવાનામાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, હરિયાણામાં લોકસભા ચૂંટણી પછી આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી છે.