કર્ણાટકમાં ભાજપને લાગશે મોટો ફટકો! કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

Karnataka Congress : એવું કહેવામાં આવી રહ્યું છે કે પરત ફરતા મોટાભાગના ધારાસભ્યો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો છે. જેમણે 2019માં પક્ષ પલટો કર્યો હતો, જેના કારણે રાજ્યમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની તત્કાલીન સરકાર પડી ભાંગી હતી

Written by Ashish Goyal
August 18, 2023 16:34 IST
કર્ણાટકમાં ભાજપને લાગશે મોટો ફટકો! કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા
ભાજપના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઇ શકે છે (તસવીર- ઈન્ડિયન એક્સપ્રેસ)

Karnataka : આ વર્ષે યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચંડ બહુમત સાથે જીત મેળવી હતી. ત્યાર બાદથી કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ભાજપને નબળી પાડવામાં લાગી ગઇ છે. હવે બેંગલુરુના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આગામી કેટલાક દિવસોમાં ભાજપના ઘણા ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ શકે છે. આગામી મહિનાઓમાં લોકસભા અને બેંગલુરુ નગર નિગમની ચૂંટણીઓ યોજાવાની હોવાથી શાસક કોંગ્રેસ આવી સંભાવનાઓથી ખુશ હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં ભાજપના નેતાઓ શાસક પક્ષમાં જોડાઈ શકે છે અને કોંગ્રેસ માટે ચૂંટણીની દિશા બદલી શકે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પરત ફરતા મોટાભાગના ધારાસભ્યો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો છે. જેમણે 2019માં પક્ષ પલટો કર્યો હતો, જેના કારણે રાજ્યમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની તત્કાલીન સરકાર પડી ભાંગી હતી. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીએ સંકેત આપ્યા છે કે કોંગ્રેસ એક નિશ્ચિત રણનીતિ મુજબ વિપક્ષી નેતાઓની ઘર વાપસી કરાવશે.

ભાજપના ધારાસભ્યએ ડીકે શિવકુમારને પોતાના ગુરુ ગણાવ્યા

ભાજપના ધારાસભ્ય એસ.ટી.સોમશેખરના તાજેતરના નિવેદનોએ ઘર વાપસીની ચર્ચાને વેગ આપ્યો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર અને ભાજપ સરકારના ભૂતપૂર્વ મંત્રીઓ થોડા દિવસો પહેલા શહેરમાં કેમ્પેગૌડા લેઆઉટના નિરીક્ષણ દરમિયાન એક સાથે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં બોલતા સોમશેખરે ડેપ્યુટી સીએમને તેમના ગુરુ ગણાવ્યા હતા. જેમણે તેમને સહકારી ક્ષેત્રમાં આગળ વધવામાં મદદ કરી હતી. ત્યાર બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, ભાજપના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઇ શકે છે.

આ પણ વાંચો – સીટ શેયરિંગ… મોદી વિરુદ્ધ કોણ? AAPની કોંગ્રેસ સાથે લડાઈ, INDIAની મુંબઈ બેઠકમાં ન નીકળ્યું સમાધાન તો વિપક્ષનું વધશે ટેન્શન!

ભાજપના ધારાસભ્ય સોમશેખર ઉપરાંત 14 કોંગ્રેસના અને જેડી(એસ)ના ત્રણ ધારાસભ્યોએ 2019માં ગઠબંધન સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધારાસભ્યોમાં સોમશેખર, શિવરામ હેબ્બર, બિરથી બાસવરાજુ અને કે ગોપાલૈયા કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે. ગોપાલૈયા અગાઉ જેડી(એસ) પાર્ટીના ધારાસભ્ય હતા. ભાજપમાં જોડાયેલા અન્ય તમામ ધારાસભ્યો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર સાથે વાતચીત કરી રહ્યા છે, જેઓ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (કેપીસીસી)ના અધ્યક્ષ પણ છે, તેમની સાથે કોંગ્રેસમાં સંભવિત વાપસી અંગે વાતચીત કરી રહ્યા છે.

ધારાસભ્યોની વાપસીનો વિરોધ નહીં થાય!

હાલમાં ચાલી રહેલા ઘટનાક્રમ પર મીડિયા સાથે વાત કરતા કર્ણાટકના ગૃહમંત્રી પરમેશ્વરે કહ્યું કે જે નેતાઓ કોંગ્રેસમાં પાછા ફરવા માંગે છે તેમણે ભૂતકાળમાં પાર્ટી માટે કામ કર્યું હતું. જ્યારે હું કેપીસીસીના પ્રમુખ હતો ત્યારે સોમશેખર (બેંગલુરુ અર્બન) કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હતા. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને જો તેઓ પાર્ટીમાં રહ્યા હોત તો આજે મંત્રી હોત. તેમણે કહ્યું કે પાર્ટીના સભ્યો તેમની વાપસીનો વિરોધ નહીં કરે.

મુનીરતને કોંગ્રેસની ઓફર ઠુકરાવી

ઘરે પાછા ફરવાની ચર્ચા કરનારા નામોમાં ધારાસભ્ય મુનીરતન પણ હતા. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે કોંગ્રેસના નેતાઓએ તેમને રાજા રાજેશ્વરી નગર સીટ પરથી રાજીનામું આપવાનું કહ્યું ત્યારે તેમની સાથેની ચર્ચાઓ તૂટી ગઈ હતી. તેના બદલે તેમને એમએલસીની ઓફર કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મુનીરતન ધારાસભ્ય જ રહેવા માંગે છે, તેથી તેમણે આ તકને ફગાવી દીધી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ