Congress president: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના એક નિવેદન પર વિવાદ થયો છે. તેમણે ભાજપા પર પ્રહાર કરતા કહ્યું કે આઝાદીની લડાઇમાં કોંગ્રેસના ઘણા નેતાઓએ પોતાનો જીવ આપ્યો છે પણ ભાજપાવાળાના ઘરમાંથી આઝાદીની લડાઇમાં એક કૂતરો પણ મર્યો નથી. એક સભાને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું હતું કે અમે દેશને આઝાદી અપાવી અને દેશની એકતા માટે ઇન્દિરા અને રાજીવ ગાંધીએ પોતાની જીવની કુર્બાની આપી હતી. તેના પર વિવાદ ઉભો થયો છે. સદનમાં ચર્ચાની પણ માંગ કરી. ભાજપના નેતાઓએ પણ વળતો પ્રહાર કર્યો છે.
મલ્લિકાર્જૂન ખડગેના નિવેદન પર ભડક્યા ભાજપના નેતા
કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર ભાજપા નેતા પ્રહલાદ જોશીએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે દ્વારા રાજસ્થાનમાં આપવામાં આવેલા નિવેદનની અમે સખત ટિકા કરીએ છીએ. આ એક ઇટાલિયન કોંગ્રેસ છે જે આજે ચાલી રહી છે. કહેવામાં આવે છે કે તે રબર સ્ટેમ્પ અધ્યક્ષ છે. કાનૂન મંત્રી કિરણ રિજિજિૂએ કહ્યું કે એક રાજનીતિક દળના અધ્યક્ષ આ રીતે બોલે તો અમને બધાને ખરાબ લાગે છે. તેની ટિકા કરવી પણ ઉચિત લાગતું નથી. અમે દુશ્મન નથી હરિફ છીએ. મલ્લિકાર્જૂન ખડગેએ જે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેના કારણે જ રાજનીતિક સ્તર ઘટે છે.
આ પણ વાંચો – AAP પાસેથી વસુલવામાં આવશે રાજકીય જાહેરાતોના 97 કરોડ રૂપિયા, LGના આદેશ બાદ કેજરીવાલ સરકાર પર ભાજપનો હુમલો
ખડગેના નિવેદનને લઇને રાજ્યસભામાં હંગામો
મલ્લિકાર્જૂન ખડગેના નિવેદનને લઇને રાજ્યસભામાં જોરદાર હંગામો થયો હતો. બીજેપી આ નિવેદન બદલ માફીની માંગણી કરી રહી છે. જ્યારે ખડગેએ માફી માંગવાથી ઇન્કાર કર્યો છે. સદનમાં હંગામા વચ્ચે રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડેએ કહ્યું કે જે રીતે હંગામો થઇ રહ્યો છે તે ખોટું છે. આપણે બધા બાળકો નથી, 135 કરોડ લોકો આપણી પર હસી રહ્યા છે. હંગામો કરીને ઘણું ખોટું ઉદાહરણ રજુ કરી રહ્યા છો. તેમણે વિપક્ષી સાંસદો સિવાય સત્તા પક્ષના લોકોને પણ સલાહ આપી હતી.
તેમણે કહ્યું કે કોઇ વાત સદનની બહાર આવેશમાં કહેવાઇ છે અને તેના પર અહીં બબાલ થાય તે ખોટું છે. વિપક્ષ કશુંક બોલે તો સત્તા પક્ષ તરફથી હંગામો થાય છે અને જ્યારે સત્તા પક્ષ કશુંક કહે તો વિપક્ષ તરફથી હંગામો કરવામાં આવે છે. અહીં જેવા સાથે તેવાની રાજનીતિ થઇ રહી છે.આપણે બાળકો નથી જે આ પ્રકારનો હંગામો કરી રહ્યા છીએ.
પીયૂષ ગોયલે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા રાજસ્થાનમાં આપેલા ભાષણનો મુદ્દો ઉઠાવ્યો
રાજ્યસભામાં સદનના નેતા પીયૂષ ગોયલે કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા રાજસ્થાનમાં આપેલા ભાષણનો મુદ્દો ઉઠાવ્યો અને તેમની પાસે માફીની માંગણી કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. પાયા વિનાની વાત કહી અને અસત્ય દેશ સામે રાખવાનો પ્રયત્ન કર્યો. હું તેની ટિકા કરું છું અને તે માફી માંગે તેવી માંગણી છે.તેમણે બીજેપી, સદન અને દેશની જનતાની માફી માંગવી જોઈએ.