Brics Summit 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટ માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. આ બે દિવસીય શિખર સંમેલનમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. ઘણા મોટા નિર્ણયો પણ લઈ શકાય છે અને કેટલીક બેઠકોની પણ અપેક્ષા રાખવામાં આવે છે. એટલે કે આ બ્રિક્સ સમિટ ભારતની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાની છે. હવે તે મહત્ત્વ ત્યારે જ સમજી શકાય છે જ્યારે આપણે બ્રિક્સનો અર્થ જાણીએ, તેનો ઇતિહાસ જાણીએ.
બ્રિક્સ શું છે અને તેનું મહત્વ શું છે?
બ્રિક્સ એ પાંચ સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રોનું જૂથ છે. તેના નામના જેટલા અક્ષરો છે તે કોઈના કોઇ દેશના નામ પર છે. BRICS માં B થી બ્રાઝિલ, R થી રશિયા, I થી ઇન્ડિયા, C થી ચીન અને S થી દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. 2001માં બ્રિક (BRIC)શબ્દનો સૌપ્રથમ વખત એક રિસર્ચ પત્રમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સમયે તેમાં એસ અક્ષર દેખાતો નથી કારણ કે ત્યાં સુધી દક્ષિણ આફ્રિકા સમિટ સાથે સંકળાયેલું ન હતું. 2010માં જ્યારે દક્ષિણ આફ્રિકા પણ જોડાયું ત્યારે તેને બ્રિક્સ નામ આપવામાં આવ્યું હતું.
જાણકારી માટે જણાવી દઈએ કે વર્ષ 2006માં બ્રિક્સે પહેલી વાર પોતાની બેઠક કરી હતી. તે વર્ષે ચાર દેશોના વિદેશ મંત્રીઓની એક મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી. ત્યાર બાદ બ્રિક્સની બેઠક વર્ષમાં એક વખત યોજાતી રહી છે. આ સમિટમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામેલ છે અને દરેક વખતે એક કોમન થીમ હેઠળ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
આ પણ વાંચો – ચંદ્રયાન 3 કેવી રીતે ચંદ્ર પર ઉતરશે? ચાર તબક્કા દરમિયાન શું થશે? જાણો તમામ વિગત
આ વખતે બ્રિક્સમાં શું છે એજન્ડા?
આ વખતે યોજાનારી બ્રિક્સની બેઠકમાં બે મુદ્દા પર સૌથી વધુ ચર્ચા થશે. એક મુદ્દો બ્રિક્સનો વિસ્તાર કરવાનો છે. હાલ ઘણા દેશો બ્રિક્સનું સભ્યપદ ઈચ્છે છે તો તેમનો ક્યાં સુધીમાં સમાવેશ કરવામાં આવશે તેના પર ચર્ચા થઈ શકે છે. આ વખતની બ્રિક્સ સમિટનો બીજો એજન્ડા તેની કરન્સીમાં બિઝનેસ કરવાનો છે. હાલ ડોલર આખી દુનિયામાં સૌથી શક્તિશાળી કરન્સી છે. તેનું વર્ચસ્વ એટલું વધી ગયું છે કે ઘણા દેશો તેનાથી પરેશાન છે. આ કારણે પોતાની કરન્સીમાં બિઝનેસ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ભારત માટે તે કેટલું ખાસ છે?
હવે આ બે એજન્ડા છે જે સમિટ દરમિયાન પાંચેય દેશો માટે મહત્વપૂર્ણ બનવાના છે. આ ઉપરાંત આ સમિટ ભારત માટે એટલા માટે પણ મહત્વની છે કારણ કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત થઇ શકે છે. કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે રીતે બંને સેનાઓ દ્વારા સરહદ વિવાદ પર સતત ચર્ચા કરવામાં આવી હતી. તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે હવે બંને નેતાઓ પણ મળી શકે છે.





