Chhattisgarh New CM Name Vishnu Deo Sai : છત્તીસગઢમાં ભાજપ દ્વારા આખરે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે આદિવાસી ચહેરો ગણાતા વિષ્ણુદેવ સાયની જાહેરાત કરવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. ભાજપના કેન્દ્રીય નિરીક્ષકો સર્વાનંદ સોનોવાલ અને અર્જુન મુંડા સરકારના વડાની પસંદગી માટે રવિવારે રાયપુર પહોંચ્યા હતા. રાયપુરમાં ભાજપ વિધાયક દળની બેઠકમાં છત્તીસગઢના ભાજપના પ્રભારી ઓમ માથુર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દુષ્યંત ગૌતમ અને છત્તીસગઢ ભાજપના પ્રમુખ અરુણ સાવ હાજર રહ્યા હતા હતા.
અરુણ સાવ અને વિજય શર્માને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા
વિષ્ણુદેવ સાયને છત્તીસગઢના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બાદ હવે બે ઉપમુખ્યમંત્રીના નામ પણ સામે આવ્યા છે. અરુણ સાવ અને વિજય શર્માને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહને વિધાનસભાના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આ જાહેરાત બાદ મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય રાજ્યપાલને મળવા ગયા હતા. તસવીરોમાં તેની સાથે અરુણ સાવ પણ જોઇ શકાય છે. પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહે વિધાયક દળની બેઠક દરમિયાન વિષ્ણુદેવ સાયના નામની જાહેરાત કરી હતી.
કોણ છે વિષ્ણુદેવ સાય?
વિષ્ણુદેવ સાય છત્તીસગઢના કુનકુરી વિધાનસભાથી આવે છે. રાજ્યમાં આદિવાસી સમુરાયની સૌથી વધુ વસ્તી છે અને સાય આ સમુદાયના છે. અજિત જોગી બાદ છત્તીસગઢમાં અન્ય કોઇ મુખ્યમંત્રી બનાવી શક્યા નથી. વિષ્ણુદેવ સાય 2020 માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. એટલું જ નહીં સાયની ગણના સંઘના નજીકના નેતાઓમાં થાય છે. તે રમણ સિંહની પણ નજીક છે. તેઓ 1999 થી 2014 સુધી રાયગઢથી સાંસદ રહ્યા હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં સાયને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેમણે સંગઠન પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
છત્તીસગઢમાં ભાજપે 54 બેઠકો જીતી
છત્તીસગઢમાં 90 સીટોમાંથી ભાજપે 54 બેઠકો પર જીત મેળવી હતી. કોંગ્રસે 35 બેઠકો જીતી છે. જીજીપીએ 1 બેઠક પર જીત મેળી હતી.ભારતીય જનતા પાર્ટીને આ વખતે સૌથી વધારે 46.3 ટકા વોટ મળ્યા છે. કોંગ્રેસને 42.33 ટકા વોટ મળ્યા છે. બન્ને વચ્ચે 4 ટકા વોટ શેરનો તફાવત છે. બીએસપીને 2.05 ટકા અને નોટાને 1.26 ટકા વોટ મળ્યા છે.