Karnataka government : કર્ણાટકમાં સત્તા સંભાળ્યાના કેટલાક દિવસો બાદ કોંગ્રેસ સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે ચાલુ નાણાકીય વર્ષમાં જ તેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપવામાં આવેલી પાંચેય ગેરંટીનો અમલ કરશે. મંત્રીમંડળની વિશેષ બેઠક બાદ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર તમામ ગેરંટીનો ધીમે ધીમે અમલ કરશે.
ગ્રુહ લક્ષ્મી યોજના હેઠળ તેમણે કહ્યું કે દરેક પરિવારની મહિલા વડાને 2,000 રૂપિયા મળશે, જે સીધા આધાર સાથે જોડાયેલા બેંક ખાતાઓમાં જમા થશે. અરજીઓ 15 જૂનથી 15 જુલાઈની વચ્ચે સબમિટ કરવાની રહેશે. આ ગેરંટી 15 ઓગસ્ટથી શરૂ કરવામાં આવશે અને તેમને 2000 રૂપિયા આપવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દરેક પરિવારે જાહેર કરવું જોઈએ કે તેના વડા કોણ હશે. વૃદ્ધાવસ્થા પેન્શન, સામાજિક સુરક્ષા પેન્શન અને વિકલાંગ મહિલાઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે.
અન્ન ભાગ્ય યોજના વિશે બોલતા સિદ્ધારમૈયાએ કહ્યું કે 10 જુલાઈથી 1 કિલો મફત અનાજનું વિતરણ કરવામાં આવશે. સરકારે કર્ણાટકની મહિલાઓ માટે મફત બસ મુસાફરીની પણ જાહેરાત કરી હતી. છોકરીઓ સહિત ઉંમરને ધ્યાનમાં લીધા વિના તમામ મહિલાઓને 11 જૂનથી સરકારી બસોમાં મફતમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. આ યોજના કર્ણાટક પૂરતી મર્યાદિત છે. મફત મુસાફરી એસી બસ, એસી સ્લીપર બસ અથવા લક્ઝરી બસોને લાગુ પડશે નહીં. કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)માં 50 ટકા બેઠકો પુરુષો માટે અનામત રાખવામાં આવશે, જ્યારે બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (BMTC)ની બસોમાં કોઈ રિઝર્વેશન નહીં હોય. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે ફ્રી બસ રાઇડ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પણ લાગુ પડશે.
આ પણ વાંચો – હિન્દુત્વની રમતમાં ભાજપને હરાવવા MP કોંગ્રેસને મદદ કરતા આધ્યાત્મિક નેતા રિચા ગોસ્વામીને મળો
નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારે જણાવ્યું હતું કે નિ:શુલ્ક બસ મુસાફરીમાં 94 ટકા સરકારી બસો આવરી લેવામાં આવશે. આ હવે તમામ મહિલાઓ માટે મફત છે પરંતુ કેટલાક દિવસો પછી તે ફક્ત કર્ણાટકની મહિલાઓ માટે લાગુ થશે.
યુવા નિધિ યોજના હેઠળ સિદ્ધારમૈયાએ કહ્યું જે લોકો ગ્રેજ્યુએશનના છ મહિના પછી નોકરી મેળવવામાં નિષ્ફળ ગયા છે, તેઓ આ યોજના માટે અરજી કરી શકે છે અને લાભ મેળવી શકે છે. જે લોકોએ વ્યાવસાયિક અભ્યાસક્રમો કર્યા છે તેમને દર મહિને રૂપિયા 3,000 (સ્નાતક વિદ્યાર્થીઓ) મળશે. જ્યારે આ યોજના માટે અરજી કરવાની તારીખથી 24 મહિના માટે ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે 1500 રૂપિયા રહેશે. આ યોજના જેન્ડર, કાસ્ટ, ધર્મ અને ભાષાને ધ્યાનમાં લીધા વિના દરેક માટે લાગુ થશે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
ગ્રુહ જ્યોતિ અંગે તેમણે જણાવ્યું હતું કે જે લોકો વાર્ષિક સરેરાશ 200 યુનિટથી ઓછા વપરાશ કરે છે તેમને વીજળીનું બિલ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે. આ 1 જુલાઇથી અમલ કરવામાં આવશે. આજ સુધીની બાકી નીકળતી રકમ ગ્રાહકે ભોગવવી પડશે. કોઈપણ પ્રકારની મૂંઝવણ સ્થિતિથી બચવા માટે 200 યૂનિટથી વધારે 10 ટકાનું બફર પણ લાગુ કરવામાં આવે છે. આ યોજના ભાડૂઆત માટે પણ લાગુ પડે છે.”
સરકાર આ યોજનાઓનો ખર્ચ કેવી રીતે ઉઠાવશે તેવા સવાલના જવાબમાં શિવકુમારે કહ્યું કે બજેટ દરમિયાન જ તેની વહેંચણી કરવામાં આવશે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો